ગોપીગીત/સુરેશ દલાલ શ્લોક:15
અટતિ યદ્ ભવાનહિ કાનનં ત્રુટિર્યુગાયતે ત્વામપશ્યતામ્
કુટિલકુંતલં શ્રીમુખં ચ તે જડઉદીક્ષતાં પક્ષ્મકૃદ્ દશામ.
હે પ્રિયતમ ! તમારો દિવસનો સમય એટલે વનમાં વિહાર કરવાનો સમય : તમે વનમાં હો એટલે દેખાવ નહીં દર્શન નહીં પણ અ-દર્શન. તમારા વિનાની પ્રત્યેક ક્ષણ એટલે કે એક યુગ.સાંજને સમયે તમે પાછા વળો, તમારા ઘૂઘરિયાળા કેશ તમારા મુખ પર છવાયેલા હોય. તમારું એ દર્શન અમને મોહ પમાડનાર.આ વિધાતા, આ બ્રહ્મા એ પણ ભારે જડ છે. અમારે તમની ધારીધારીને જોવા છે. અને આ પાંપણો પલક્યા કરે છે,એની પલકને કારણે તમારા દર્શનમાં પણ અમને મુશ્કેલી પડે છે.
‘ મારી નાડ તમારે હાથ રે’
કોઇને પણ થાય કે આટલું બધું પુનરાવર્તન શા માટે? એનો એક જવાબ એ હોઇ શકે કે પ્રત્યેક શ્લોક અલગ અલગ ગોપી કૃષ્ણને કહે છે. આ ગોપીની અંતરતમ વાતો છે.એક ગોપીએ કૃષ્ણને શું કહ્યું છે એ બીજીને ખબર નથી.કૃષ્ણ એક જ છેપણ પ્રત્યેક ગોપીનો કૃષ્ણ જુદો છે.દરેક ગોપીપોતાની ગુપ્ત લાગણીનો ઘૂમટો માત્ર અંતરયામી પાસે જ ખોલે છે. કોણે શું કહ્યું એની જાણકૃષ્ણને છે પણ અન્ય ગોપીને નથી. છતાં પણ વાત ગોપીની છે એટલે દરેકની લાગણીના તાર વિવિધ રીતે છેડાતા હોય તો પણ એનો સમ તો એક જ રહેવાનો. વિરહ વિષમ છે તારા દર્શન વિના જીવી શકીએ એમ નથી.એકરીતે જોઇએ તો આ ગોપીગીત સમૂહગીત પણ છે. એના અંતરાઓ બદલાય છે.પણ એની ધ્રુવ પંક્તિ એક છે. બીજીરીતે વિચાર કરીએ તો આ સમૂહગીત હોવા છતાં પણ પ્રત્યેક ગોપીનું એકોક્તિ ગીત છે.
થોડાંક સમય માટે છૂટાં પડવું, છૂટાં પડવાની ખબર હોય ને છૂટાં પડવું એ પણ કઠે તો છે જ. આમ અચાનક કૃષ્ણનું અદૃશ્ય થઇ જવું એ તો કેટલે હદે આઘાત પહોંચાડનારું છે,જ્યારે કૃષ્ણ સાથે હતા ત્યારે પણ ગોપીઓને કૃષ્ણનો નિત્યક્રમ ખબર હતો.ખબર હોવા છતાં પણ કૃષ્ણનું આ રીતે વનમાં વિહાર કરવા જવું એ ગોપીને માટે ગમતી વાત નથી. પ્રેમ એવો છે કે કોઇપણ વિઘ્નને સાંખે નહીં અને વિઘ્ન પણ એવાં પ્રબળ હોયછે કે ભલભલા પ્રેમને ગાંઠે નહીં. ગોપીએ અત્યાર સુધીમાં જાતજાતની ઇર્ષા કરી છે ,જાતજાતની નિંદા કરી છે. શંકા-કુશંકાઓ સેવી છે. વાંસળી સાથે વાંકુ પાડ્યું છે. હવે ગોપીને સ્થળ સાથે વાંકુ પડે છે.તારું આ કાનન-વનમાં અટવાવુંએ બહુ સારી વાત નથી.તું શું અમથો પ્રયોજન વિના ભટક્યા કરે છે. અમને છોડીને તારી આંખ કેમ ઠરતી હશે? અમે તો તારી અનુરાગવતી ગોપીઓ છીએ.એકએક ક્ષણ અમને યુગ જેવડી લાગે છે. સાથે હોઇએ ત્યારે સમયને પાંખ ફૂટે છે.છૂટાં પડીએ છીએ ત્યારે સમય અપંગ થઇ જાય છે. તારા વિનાના સમયની ગતિ એ ગોકળગાયની ગતિ છે.તારા વિનાના સમયમાં હરણાંની છલાંગ નથી. તારા વિના સમય થંભી જાય છે,થીજી જાય છે. કાળ પોતાનો ગુણધર્મ ગુમાવી શકે છે.હે કૃષ્ણ ! તારે સમજવું જોઇએ કે અમે તો તારી સાવ ઘેલી ગોપીઓ છીએ,જેણે દૃષ્ટિમાત્રથી કામને બાળી મૂક્યો’તો એ શંકર પણ તને પ્રાણનો પ્રાણ ગણે છે અમારા જેવી સ્ત્રીઓ તારા પર આટલી ઓવારી જાય એમાં નવું શું અને નવાઇ જેવું શું? કૃષ્ણ, તને બધી ખબર ન હોય એમ તો કેમ મનાય? પણ શંકરે કામને બાળ્યો એ પહેલાં કામતો ગભરાઇને અમારા હૃદયમાં છુપાઇ ગયો. અને તારે કારણે તો અમારો કામ નિર્ભય છે. કાંટો કેમ કાંટાથી નીકળે એમ તું કામનું શમન પાન કરી શકે છે.તીવ્ર ભક્તિયોગ દ્વારા ભગવાન સંપૂર્ણ કામનાઓની પૂર્તિ કરીને મોક્ષનું પ્રદાન કરે છે.એમ પણ કહેવાય છે. શ્લોક છે: અકામઃ સર્વકામો વા મોક્ષકામ ઉદારધીઃ તીવ્રેણ ભક્તિયોગેન યજેત પુરુષ પરમ્ કામનો દેનારો સ્વયં કામને હણે છે ગોપી તો એક જ વાત ઘૂંટે છે કે વૈરાગી શંકરને મન તારું આટલું મહત્વ છે તો અમારું મમત્વ તો અત્યંત સ્વાભાવિક છે. અહીં એક નાનકડો પ્રસંગ યાદ આવે છે. શકુંતલા કણ્વ ઋષિ ના આશ્રમમાંથી વિદાય લે છે .કન્યાવિદાયનો પ્રસંગ છે. કણ્વ ઋષિ એ શકુંતલાને ઊછેરી છે.એ તો ઋષિ છે.આ ઋષિનું હૃદય પણ કન્યાવિદાય વખતે આટલું વલોવાતું હોય તો સામાન્ય સંસારીનું શું થતું હશે? ચંદ્રવદન મહેતાએ આ પંક્તિને અનુવાદમાં આમ ઉતારી છે :
સંસાર તારી શી દશા થતી હશે, પુત્રી જતાં સાસરે.
કૃષ્ણ વિનાનો સમય અને કૃષ્ણ વિનાનો કાળ, આ કાળ કૃષ્ણ સાથે હોય છે ત્યારે પ્રેમાળ અને સૌમ્ય છે. કૃષ્ણ સાથે નથી ત્યારે રુદ્ર અને વિકરાળ છે. અહીં ગોપીની કૃષ્ણ માટેની તાલાવેલીને અદભુત વાચા મળી છે. કૃષ્ણના દર્શન વિના લોચન અળખામણાં લાગે છે.તારલાનું તેજ ખૂંચે છે. ફૂલોનો રંગ વીંધે છે,આવતા જતા વાયુની લહેરખી પૂછે છે કે તારો વ્હાલમ ક્યાં છે?અને વનની ડાળી પર એક ખાલી હિંડોળો ઝૂલ્યા કરે છે. તું ન હોય તો આ આંખ આંખ નથી,પણ માત્ર કાચની કીકી છે, એ તો અમે ગોપીઓ મૂરખી કે તને મુક્ત રાખ્યો. રાજેન્દ્ર શાહ કહે છે એમ, અમારે એવું જ કરવું’તું કે ‘હરિ મારે નયને બંદીવાન’ કે જયંત પાઠકના શબ્દોમાં કહીએ તો ‘કાનજી ને કીકીમાં કેદ કરી લીધા.’ ગોપીની સ્થિતિ ખરેખર વિચિત્ર છે.સૂફી કવિ રૂમિની પંક્તિ યાદ આવે છે. “I am ashamed to call this love human,and afraid at God to call divine.”.આ પ્રેમ માનવીય છે એવું જો કહીએ તો અલ્પોક્તિ ગણાય. આ પ્રેમ દિવ્ય છે એવું જો કહી નાખીએ તો એ કહેતાં ઇશ્વરનો પણ ભય લાગે,અને અતિશયોક્તિ જેવું પણ લાગે. અદર્શનમાં તો વ્યથા હોય,પણ દર્શનમાં યે વિઘ્ન ઓછાં નથી.થાકીને, કંટાળીને, રખડીને પાછો વળેલો શ્યામ ધૂળથી મલિન ચહેરો. કેશને માટે પણ જે વિશેષણ છે એ ઘણુંબધું કહી જાયછે. કેશ કેવા, તો કહે કુટિલ,ચહેરો પૂર્ણપણે દેખાય નહીં. ગમે એવો શરદપૂનમનો ચંદ્ર હોય પણ વાદળ પાછળ ઢંકાયેલો હોય તો એનો શો અર્થ? અને આ બ્રહ્મા વિધાતા તો જડ છે. –અમને આંખ ઉપર પાંપણો આપી. પાંપણો પલકપલક થયા કરે, નિષ્પલક રહેવું એ પાંપણના સ્વભાવમાં નથી.રાજેન્દ્ર શુક્લની પંક્તિઓ છે:
કીડી સમી ક્ષણોની આ આવજાવ શુંછે?
મારું સ્વરૂપ શું છે? મારો સ્વભાવ શું છે?
પર્વતને ઊંચકું પણ,
પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે?
આ કારી ઘાવ શું છે?
ગોપીના સંદર્ભમાં એક નાનકડી કથા યાદ આવેછે. કામવનની પાસેના વનમાં એક મહાત્માની જટા ગીચ ઝાડીમાં ગૂંચવાઇ ગઇ,આવતાં-જતાં કેટલાં યે કહ્યુંકે અમે મુક્ત કરી આપીએ.મહાત્માએ કહ્યું કે ભલે આમ ને આમ રહે. જેણે ગૂંચવી છે એ કાઢશે.ગોપીઓ પણ મહાત્મા જેવી જ છે. કૃષ્ણ અદૃશ્ય થયા અને વિરહની દશામાં મૂકતા ગયા.તો આ વિરહનું ઔષધ આપવાનું કૃષ્ણ સિવાય કોઇનું કામ નહીં.આ રોગને મટાડવા માટે એક જ વૈદ “હરિ,મારી નાડ તમારે હાથ રે”
સુરેશ દલાલની કલમે ગોપીગીત માણવાની ખૂબ મઝા આવે છે.
પર્વતને ઊંચકું પણ,
પાંપણ ન ઊંચકાતી,
રાજેન્દ્ર શુક્લની આ પંક્તિઓ ખૂબ ગમી.
આભાર.