અનુવાદક; નરસિંહરારાવ દિવેટિયા
પ્રેમળ જ્યોતિ તારો દાખવી
મુજ જીવન-પંથ ઉજાળ. ધ્રુ0
દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર,
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ.
મારો જીવન-પંથ ઉજાળ. 1
ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ;દૂર નજર છો ન જાય,
દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલુંબસ થાય,
મારે એક ડગલું બસ થાય. 2
આજ લગી રહ્યો ગર્વમાં હું ને માગી મદદ ન લગાર,
આપ-બળે માર્ગ જોઈને ચાલવા હામ ધરી મૂઢ બાળ,
હવે માગું તુજ આધાર. 3
ભભકભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષોને લોપ સ્મરણથી સ્ખલન થયાંજે સર્વે,
મારે આજ થકી નવું પર્વ. 4
તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ આજ લગી પ્રેમભેર,
નિશ્ચે મને તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમળ જ્યોતિની સેર. 5
કર્દમભૂમિ કળણ ભરેલી, ને ગિરિવર કેરી કરાડ,
ધસમસતા જળ કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર. 6
રજની જશે ને પ્રભાત ઊજળશે, ને સ્મિત કરશે પ્રેમાળ,
દિવ્યગણોનાંવદન મનોહર મારે હ્રદય વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયાં હતાં ક્ષણ વાર. 7
કારડિનલ ન્યૂમેનની આ પ્રાર્થના છે. આપ્રાર્થનાનો અનુવાદ પંડિતયુગના કવિ નરસિંહરાવ દિવેટિયા એ કર્યો છે. ‘ભજનાંજલિ’માં કાકાસાહેબ કાલેલકરે આ વિશે જે લખ્યું છે તે જાણવા જેવું છે:
ગાંધીજીએ જ્યારે દક્ષિણ આફ્રિકામાં સામુદાયિજ જીવન જીવવાનો પ્રારંભ કર્યો ત્યારે ત્યાં રોજ સાંજે પ્રાર્થના થતી હતી.એમાં એમને ગમેલાં અંગ્રેજી ભજનો પણ ગવાતાં,એમાંથી એમને જે ભજન અત્યંત પ્રિય હતું તેના ગુજરાતી અનુવાદો ભારત કાયમ માટેરહેવા આવ્યા ત્યારે ગાંધીજીએ અનેક કવિઓ પાસેથી મગાવ્યા એમા આ અનુવાદ એમને સૌથી વધારે ગમ્યો.
ગુજરાત સદ ભાગી છે કે મહાત્મા ગાંધી જેવી વ્યક્તિએ ‘આશ્રમ ભજનાવલિ ‘ નું સંપાદન કર્યું છે. ગાંધીજીને રામ કે રહીમના ક્રાઈસ્ટ કે કૃષ્ણના ભેદ ન હોય. મંદિર, મસ્જિદ,દેવળ, ગુરુદ્વારાનો ભેદ ન હોય.’આશ્રમભજનાવલિ’ માં એક રીતે જોઈએ તો સર્વધર્મની પ્રાર્થના છે ,એમાં સંસ્કૃતના શ્લોકો છે. સિંધી, બંગાળી ભજનો છે.કુરાનમાંથી પણ પ્રાર્થનાઓ છે.ઉપનિષદ ના અંશો છે. આટલી નાની ભજનાવલિમાં ગાંધીજીએ શું-શું નથી સમાવ્યું?!
મંત્રો ઉચ્ચારવાનાહોય છે એટલે જ મંત્રોચ્ચારનો મહિમા છે. મંત્રોચ્ચારના ધ્વનિથી દીવાલોમાં પણ સ્પંદનો જાગે છે તો માનવહ્રદયને તોઅસર કરી જ જાય. ભજન વાંચવાની વસ્તુ નથી. એકાંતમાં ગુંજવા ને ગાવાની કોઈ અલૌકિક ચીજ છે. ભજન સમૂહ માં ગવાતું હોય તો પણ અંતેતો પ્રત્યેકજીવનો લયબદ્ધ સંવાદ છે. કીર્તન સામૂહિક પ્રાર્થના જ છે એટલે તો એકસાથે બે શબ્દો ‘ ભજન કીરતન ‘ બોલીએ છીએ.
જીવનમાં આસપાસ ચારેકોર અંધારું છવાયેલું હોય.એકાદ કિરણની પણ આશા ન હોય.અંધકારને ઉકેલવાની આપણીપાસે કોઈ ભાષા ન હોય ત્યારે આપણા જીવનપંથને ઉજાળે છે. પરમકૃપાળુ પરમાત્માની જ્યોતિ. આ જ્યોતિ કોરી નથી હોતી .એટલે જ કવિએ kindly light નો અનુવાદ પ્રેમળ જ્યોતિ કર્યો.સામાન્ય રીત જ્યોતિ સ્ત્રીલિંગ શબ્દ છે પણ અહીં કવિએ પુલ્લિંગમાં એનો પ્રયોગ કર્યો છે, કારણ કે ખ્રિસ્તીઓ ઈશ્વરને પિતા તરીકે જુએ છે.
આપણે ઈશ્વરને પરમ શક્તિ રૂપે,દેવી સ્વરૂપે પણ જોઈએ છીએ, આપણે ત્યાં દેવીમાહાત્મય પણ છે.ઈશ્વરને આપણે નરરૂપે, નારાયણરૂપે પણ જોઈએ છીએ.
અહીં કવિ અંધકારમાંથી પ્રકાશ તરફ જવા માટે પ્રાર્થના કરે ચે જેથી જીવનનો પંથ ઊજળો થાય. અહીં સ્થૂળ અંધકારનો સંકેત નથી. આપણું અજ્ઞાંપણ એક અંધકાર જ છે. જેટલા આપણે અજ્ઞાની અને ભક્તિભાવ વિનાના એટલાજ આપણી ઈશ્વરના ધામથી દૂર.અંધારામાં કોઈ ખોવાઈ ગયેલું બાળક હોય એવી જીવની સ્થિતિ છે અને ઈશ્વરના સંતાન જેવા આપણી સંભાળ પરમ પિતા સિવાયતો કોણ લઈ શકે?
એક તો અંધકાર, કાળોડિબાંગ. નજીકનું કે દૂરનું કશું નદેખાય.ક્યાં પહોંચશું અને ક્યારે પહોંચશું એની કોઈ ગતાગમ આતમને ન હોંય ત્યારે આપણી આંગળી ઝાલીને કોઈ સહેજ પણ આગળ લઈ જાય તો એક ડગલું પણ પૂરતું છે. માણસને મારી નાખે છે એનો ગર્વ, એનો અહંકાર. આશા વિનાનો અને અસહાય હોય તોપણ પોતા પર એટલો મુસ્તાક હોય કે મનમાં એક વિચારને ઘૂંટ્યા કરે: હું શું કામ કોઈની મદદ માગું? આ ગર્વમાં નેગર્વમાં જ મદદ માગી નહીં. મનમાં હતું કે આપબળે માર્ગને ઓળંગી જઈશ, પણ એ નરી મૂર્ખતા એક વાર ખબર પડી જાય કે ઈશ્વરની ઈચ્છા વિના પાંદડુ પણ હલતું નથી ત્યારે સૂર્યના કિરણથી જેમ્બરફ ઓગળવા માડે એમ આપણો અહંકાર ઓગળી જાય.
બાહ્ય વૈભવ જુદો છે. છકાવી દેનારો છે, એમાં ભય અને ગર્વ બંને ભળેલા છે.આંતરપ્રકાશ મરજીવાને સાંપડેલા મોતી જેવો છે. વર્ષોનાં વર્ષો બાહ્ય ભભક્માં ગયાં, આ ભભકના સ્મરણનો જો કાયમ માટેલોપ થાય અને એની સાથે સંકળાયેલાસર્વ સ્ખલનોઅલોપ થાય તો પ્રકાશનું નવું પર્વ પ્રાપ્ત થાય.
આપણો પગ તો હંમેશાં ડગમગ થતો હોય છે, પણ પ્રભુની મહેર હોય તો એ આપણા ડગમગતા પગનેસ્થિર કરી શકે.ઈશ્વરને કોઈ વહાલાં દવલાં નથી હોતાં.કોઈકે કહ્યું‘તું કે આપણે ઈશ્વરમાં માનીએ છીએ કે ન માનીએ ઈશ્વર આપણામાં માને છે. ઈશ્વર આપણનેઓશિયાળા બનાવીને નિભાવતો નથી. પણ પૂર્ણ પ્રેમથી નિભાવે છે અને એને જ કારણે કાળીરાતમાં એજ પોતે આપણા પગને ધીર કરીને ઘેર પહોંચાડશે.
આપણે આપણા અરણ્યમાં અટવાયા છીએ.આપણે આપણા અરણ્યમાં હોઈહોઈ ને હોય શું? સિવાય કે વેરઝેરનાં ઝાડ. આપણે આપણા કાદવમાં આળોટીએ છીએ. આંખ સામે પ્રચંડ પહાડો છે. પગમાં આપણને તાણી જતો ધસમસતા જળનો પ્રવાહ છે આ બધાને, કૃપાળુની કૃપા હોય તો જ તરી જઈએ. શંકા હોય ત્યાં શ્રદ્ધા નથી હોતી અને શ્રદ્દા હોય પછી કશાની જરૂર પણ નથી.શ્રદ્દાપૂર્વક હ્રદય કહે છે કે રાત વહી જશે. પ્રભાત ઊઘડશે. પ્રેમાળ સ્મિત મળશે. અને હ્રદયમાં ચિરકાળ વસેલા દિવ્ય્ગણોના ચહેરા જોવા મળશે. આચહેરાઓ આપણી અંદર જ છે. પણ આપણે એને ક્ષણવાર માટે જ જોયા હતા.ક્ષણનોજે સાક્ષાત્કાર થયો એનો તંતુ તૂટી ન જાય તોએ ક્ષણ પર શાસ્વતીની મુદ્રા અંકિત થયા વિના રહે નહીં. પછી તો ટાગોરના એક કાવ્યમાં આવે છે એમ આપણે માત્ર એટલું જ કહેવાનું રહે:
ધન્ય ક્ષણ: ધન્ય અવસર
સવારના સોનેરી ગાલીચે તમે બિરાજ્યા હે પરમેશ્વર