પાંડવોનો જન્મ
(પાના:18 થી 21)
(બાળકોનું મહાભારત/ભાગ પહેલો/રમણલાલ નાનાલાલ)
ધૃતરાષ્ટ્રનાં લગ્ન થઈ ગયા પછી પાંડુનો વારો આવ્યો. યદુવંશી રાજા શૂરસેનની પુત્રી પૃથાની સાથે મહારાજ પાંડુના લગ્ન ધામધૂમથી થયા.
પૃથાનું બીજું નામ કુંતી હતું.
એ કુંતીની એક બીજી અગત્યની વાત કહેવાની રહી ગઈ. કુંતી રાજકન્યા હતી ત્યારે એક વાર રાજા શૂરસેનને ત્યાં દુર્વાસા ઋષિ પધાર્યા હતા. કુંતીએ એમની સેવાચાકરી રૂડી રીતે કરી હતી. ઋષિએ પ્રસન્ન થઈ કુંતીને મંત્ર આપ્યા હતા. એ મંત્રમાં એવું બળ હતું કે તેથી પુત્ર ઉત્પન્ન થાય.
કુંતીએ સ્ત્રીસ્વભાવને વશ થઈ એ મંત્રોમાંના એક મંત્રનું પારખું કરી જોવા પ્રયત્ન કર્યો.એણે મંત્ર ભણી સૂર્યદેવને આહ્વાન કર્યું. મંત્રને પ્રતાપે કુંતીને કુમારી અવસ્થામાં એક પુત્ર પ્રસવ્યો. લોકલાજની બીકે કુંતીએ છૂપી રીતે પુત્રને પેટીમાં મૂકી નદીમાં વહેતો મૂકી દીધો.
પેટી તરતી તરતી આગળ ને આગળ તણાવા લાગી, ને છેવટે અધિરથ નામના સારથિને મળી આવી. એણે પેટી લઈ પોતાની સ્ત્રીને આપી. સ્ત્રીનું નામ રાધા હતું. એને પુત્રપરિવાર કંઈ હતું નહિ. અનાયાસ પુત્ર આવેલો જોઈ, એણે એને પેટના દીકરાની જેમ ઉછેર્યો. એનું નામ પાડ્યું કર્ણ. કર્ણને હોંશીલાં માબાપે બહુ જતન કરી સારું શિક્ષણ આપ્યું. કર્ણ રાજકુમારીનો દીકરો હોવાથી કાંતિમાન હતો. તેમાં એને બધી જાતનું શિક્ષણ મળ્યું એટલે એના જેવો બળવાન ને સ્વરૂપવાન કુંવર શોધવો મુશ્કેલ બને એવું થયું. ધર્મિષ્ઠ ને દાનેશ્વરી તરીકે કર્ણની કીર્તિ આજે પણ અમર છે.
કુંતીની સાથે લગ્ન કર્યા બાદ, ભીષ્મની સંમતિ લઈ પાંડુ રાજાએ મદ્રદેહના રાજા શલ્યની બહેન માદ્રીની સાથે લગ્ન કર્યું. માદ્રી એ કાળે બહુ જ સુંદર અને સ્વરૂપવાન ગણાતી.
માદ્રીની સાથે લગ્ન કર્યા પછી મહારાજ પાંડુ જુદા જુદા દેશો ઉપર દિગ્વિજય કરી પાંડુ રાજા પાછા ફર્યા ત્યારે હર્ષઘેલી પ્રજાએ એમનો ભવ્ય સત્કાર કર્યો.
મહારાજ પાંડુના સમયમાં રાજ્યમાં બહુ શાંતિ હતી. એ રાજાના રાજ્યઅમલમાં પ્રજા આનંદ અને સંતોષમાં આબાદીભર્યો કાળ ગાળતી હતી.
આમ રાજા પાંડુનો રાજકાળ સંતોષથી વીતતો હતો, ત્યાં રાજા ઉપર “પાંડુ” નામના દરદે સખત હુમલો કર્યો. એક ઋષિએ રાજાને રાજ્ય છોડી દઈ કોઈ એકાંત સ્થળે વસી તદ્દન શાંત જિંદગી ગાળવાની સલાહ આપી.
પાંડુ રાજા રાજ્ય છોડી હિમાલય તરફ નિર્જન પ્રદેશમાં એક એકાંત રમણીય સ્થળ શોધી કાઢીત્યાં રહેવા લાગ્યા. એમણે ઘણી ના કહી છતાં વનમાં એમની સાથે એમની બંને રાણીઓ કુંતી અને માદ્રી પણ આવી હતી.
વનમાં કુંતીને મંત્ર દ્વારા ત્રણ અને માદ્રીને કુંતીની મદદથી મળેલા મંત્ર દ્વારા બે, એમ કુલ પાંચ પુત્રો જન્મયા. કુંતીના ત્રણ પુત્રોનાં નામ યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન પાડ્યાં. માદ્રીના પુત્રોનાં નામ નકુળ અને સહદેવ પાડ્યાં.
પાંચે પુત્રો ધીમેધીમે મોટા થતા ગયા. દરેક પુત્રમાં અવનવાં લક્ષણો હતાં. યુધિષ્ઠિર મહાન સત્યવાદી ને ધર્માત્મા નીવડ્યા. આજ પણ યુધિષ્ઠિરને ધર્મરાજાનો અવતાર કહેવામાં આવે છે.
ભીમસેન શરીરે મહા બળવાન અને કદાવર હતો. પાંચ પુત્રોમાં એના જેવો તોફાની, ટીખળી છતાં ભોળો કુંવર બીજો એકે નહોતો. અર્જુન બાણાવળી નીકળશે એમ એનાં લક્ષણો કહી આપતાં હતાં.આટલી નાની ઉંમરમાં પણ તે અચ્છો તાકોડી હતો. એ દેખાવમાં બહુ ફાંકડો હતો, ને સૌ કોઈને જોતાં ગમી જાય એવોહતો.
સહદેવ જ્યોતિષશાસ્ત્રમાં મોટપણે બહુ પ્રવીણ નીકળ્યો.
પાંચે પુત્રો પાંડુ રાજાના, માટે પાંડવો કહેવાયા.
***************************
I want to buy these books ( Balakonu Mahabharat by shri Ramanlal Shah) – tried to google ” Viral Prakashan ” but could not find.Pl help!