વિસામો/વેણીભાઇ પુરોહિત

 Visamo/venibhai

વિસામો/વેણીભાઇ પુરોહિત

 

થાકે ન થાકે છતાંયે હો માનવી! ન લેજે વિસામો!

ને ઝૂઝ્જે એકલ બાંયેહો માનવી! ન લેજે વિસામો!   

 

તારે ઉલ્લંઘવાના મારગ ભુલામણા,

તારે ઉધ્ધરવાના જીવન દયામણાં :

હિમ્મત ન હારજે તું ક્યાં યે

હો માનવી ! ન લેજે વિસામો !

 

જાજે વટાવી તુજ આફતનો ટેકરો,

આગે આગે હશે વણખેડ્યાં ખેતરો :

ખંતે ખેડે એ બધાં યે

હો માનવી ! ન લેજે વિસામો ! 

 

ઝાંખા જગતમાં એકલો પ્રકાશજે,

આવે અંધાર તેને એકલો વિદારજે :

છોને આ આયખું હણાયે

હો માનવી ! ન લેજે વિસામો !

 

લેજે વિસામો ન ક્યાંયે હો માનવી ! ન લેજે વિસામો !

તારી હૈયા વરખડીને છાંયે હો માનવી ! દેજે વિસામો !

ન લેજે વિસામો….

 

 

આ કાવ્ય વિસામોપાછળ એક નાનકડો ઇતિહાસ છે. આપણા યુગની મહાન વિભૂતિમહાત્મા ગાંધીના જીવનમાં આ કાવ્યમાં રહેલા સંદેશે કેવું સ્થાન મેળવ્યું હતું તેનો નિર્દેશ ગાંધીજીના નિકટના અંતેવાસી શ્રી મનુબહેન ગાંધી એ બાપુના સંસ્મરણો લખતાં કર્યો છે. એવાં ત્રણ અવતરણો આ રહ્યા:

 

એમણે (સ્વ.શ્રી મહાદેવ દેસાઇ) જતાં પહેલાં મારી પાસે નીચેનું ગીત ગવડાવ્યું. એમને આ ગીત બહુ જ ગમતું હતું. હું કરાંચીમાં મારા શાળાના અભ્યાસ દરમિયાન શીખી હતી તેથી મારી પાસે વારંવાર ગવડાવતા:

થાકે ન થાકે છ્તાંયે

હો માનવી!ન લે જે વિસામો ‘…(વિગેરે)…..

આ ગીત એમને અને બાપુજીને બહુ જ વહાલું હતું;અને એમણે તો આવાં આવાં કેટલાંયે ગીતોને જીવનમાં ઉતારી  જીવન સાર્થક કર્યું હોય તેમ છેલ્લી કડી:

લેજે વિસામો ન ક્યાંયે હો માનવી ! દેજે વિસામો

તારી હૈયાવરખડીને છાંયે, હો માનવી ! દેજે વિસામો

તેમ એમણે     પચ્ચીસ પચ્ચીસ વર્ષ સુધી બાપુની સેવા કરી. ન જોયો ટાઢતડકો, કે ન જોયાં રાત-દિવસ, અને છેલ્લા શ્વાસ પણ બાપુજીની સેવા કરતાં કરતાં જ બાપુજીમાં જ પોતાના પ્રાણને સમાવીને હૈયાવરખડીને છાંયે જ વિસામો લીધો.

એટલે શું એમણે આગાહીરૂપે છેલ્લે મારી પાસે આ ગીત ગવડાવ્યું હશે?

પોતાને મોઢે નહોતું આવડતું, તેમ હજુ સૂરેય નહોતો બેઠો, પણ જેણે જીવનમંત્ર કર્યો હોય તેને સૂરની શી પરવા?’મને એક કાગળ ઉપર ઝટપટ ઉતારી આપ’.મેં એક કાગળ પર ઉતાર્યું અને તે કાગળ પોતાના ઝબ્બાનાઆગળના ખિસ્સામાં સાચવીને મૂક્યો અને સેવાગ્રામ આશ્રમ કાયમને માટે છોડ્યો.

                                        (બાબાપુની શીળી છાંયામાં)

 

હું (ગાંધીજી) નહોતો જાણતો કે મારામાં આટલી શક્તિ છે અને આ લોકો સામે હું ટકી શકીશ; કે મને છોડશે તો મારાથી આમ આનંદપૂર્વક નભાશે.એ બધો પ્રતાપ રામનામનો. બાકી આશ્વાસન મળે છે ગુરુદેવના એકલા ચલોના ભજનમાં અને પેલા થાકે ન થાકે છ્તાંયે હો માનવી! ન લેજે વિસામોમાં.  તેમાંય એક કડી તો બહુ ભારે છે કે:

                   ‘ઝાંખા જગતમાં એકલો પ્રકાશજે,

                   આવે અંધર તેને એકલો વિદારજે;    

                        છોને આ આયખું હણાયે

                    હો માનવી ! ન લેજે વિસામો.

                    (‘ભાવનગર સમાચાર’,તા.28/07/1951ના અંકમાંથી)

 “નિયમ મુજબ 30મી એ (30મી જાન્યુઆરી, 1948) સવારના 3.30 વાગ્યે બાપુજીએ પ્રાર્થના માટે અમને ઉઠાડ્યા.એક બહેન પ્રાર્થના માટે ઊઠ્યા નહિ,તેથી બાપુજીએ દાતણ કરતાં કરતાં મને કહ્યું,’હું જૌં છું કે મારો પ્રભાવ મારી પાસે રહેનારમાંથી ચાલ્યો ગયો છે.પ્રાર્થના એ તો આત્માને સાફ કરવાની સાવરણી છે. અને હું તો પ્રાર્થનામાં અડગ શ્રધ્ધા ધરાવું.અને કહ્યું કે આજે મારે પેલું થાકે ન થાકે છતાંયેભજન સાંભળવું છે એટલે એ ગાજે

મેં એ ભજન ગાયું….. કોઇ દિવસ નહિ અને સવારની બ્રાહ્મમુહર્તની પ્રાર્થનામાં આ ભજનની બાપુજીએ પસંદગી કરી તેમાંય કેવું ગૂઢ રહસ્ય ભર્યું હતું !

                                          વેણીભાઇ પુરોહિત

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

Leave a comment

વાચકગણ
  • 776,387 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
જૂન 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો