નરસિંહ મહેતાના ભજનો
(1)વૈષ્ણવજન
વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે ;
પરદુ:ખે ઉપકાર કરે તો યે મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે;
વાચ-કાછ –મન નિશ્ચલ રાખે, ધન્ય ધન્ય જનની તેની રે.
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી,પરસ્ત્રી જેને માત રે;
જિહ્ વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.
મોહ-માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેનાં મનમાં રે;
રામનામ-શું તાળી લાગી, સકળ તીરથ તેનાં તનમાં રે.
વણલોભી ને કપટરહિત છે, કામક્રોધ નિવાર્યા રે,
ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યા રે.
==========================================
(2) ધ્યાન ધર હરિ તણું
રાગ કેદારો
ધ્યાન ધર હરિ તણું, અલ્પમતિ આળસુ ! જેણે કરી જન્મનાં દુ:ખ જાયે;
અવર ધંધો કર્યે અરથ કંઈ નવ સરે, માયા દેખાડીને મૃત્યુ વહાયે. 1
સકળ કલ્યાણ શ્રીકૃષ્ણનાં ચરણમાં, શરણ આવ્યે સુખ-પાર ન્હોયે;
અવર વેપાર તું મેલ મિથ્યા કરી, કૃષ્ણનું નામ તું રાખ મોંએ. 2
ષટક માયા પરી, અટક ચરણે-હરિ, વટક મા વાત સુણતાં જ સાચી;
આશનું ભવન આકાશ સુધી રચ્યું, મૂઢ ! જો મૂળમાં ભીંત કાચી. 3
અંગ-જોબન ગયું, પલિત પિંજર થયું, તોયે લહેતો નથી કૃષ્ણ કહેવું;
ચેત રે ચેત, દિન ચાર છે દાવના, લીંબુ લહેકાવતાં રાજ લેવું. 4
સરસ ગુણ હરિ તણા, જે નરે અનુસર્યા, તે તણા સૃજશ તો જગત બોલે;
નરસૈંયા રંકને પ્રીત પ્રભુ-શું ખરી, અવર વેપાર નહિ કૃષ્ણ તોલે. 5
=============================================
(3)રાત રહે જાહરે….
રાગ પ્રભાતી
રાત રહે જાહરે પાછલી ખટઘડી, સાધુ પુરુષે સૂઈ ન રહેવું;
નિદ્રાને પરહરી સમરવા શ્રીહરિ, ‘એક તું એક હું’એમ કહેવું. 1
જોગિયા હોય તેણે જોગ સંભાળવા,ભોગિયા હોય તેણે ભોગ તજવા.
વેદિયા હોય તેણે વેદ વિચારવા,વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા. 2
સુકવિ હોય તેણે સદ્ ગ્રંથ બાંધવા, દાતાર હોય તેણે દાન કરવું;
પતિવ્રતા નારીએ કંથને પૂછવું, કંથ કહે તે તો ચિત્ત ધરવું. 3
આ પેરે આપણા ધર્મ સંભાળવા, કર્મનો મર્મ લેવો વિચારી;
નરસૈંના સ્વામીને સ્નેહથી સમરતાં ફરી નવ અવતરે નર ને નારી. 4
(4) અખિલ બ્રહ્માંડમાં……
રાગ કેદારો
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તત્ત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. 1
પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા ! વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,શિવ થકી જીવ થયો એ જ આશે. 2
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે: કનકકુંડળ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે. 3
ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરે ખરી, જેહને જે ગમે તેને પૂજે;
મન-વચન-કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ : મન એમ સૂઝે. 4
વૃક્ષમાં બીજ તું , બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈંયો :એ મન તણી શોધના ; પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. 5
(5)જાગીને જોઉં તો….
જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય-વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે. 1
પંચ મહાભૂત પરિબ્રહ્મથી ઊપન્યાં, અરસપરસ રહ્યાં તેહને વળગી;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણ્વાં, થડ થકી ડાળ નવ હોય અળગી. 2
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે : કનકકુંડળ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે. 3
જીવ ને શિવ તે આપ-ઈચ્છાએ થયો,ચૌદ લોક રચી જેણે ભેદ કીધા;
ભણે નરસૈંયો ‘એ તેજ તું’ ‘એ તેજ તું’એને સમર્યથી કંઈ સંત સીધ્યા. 4
==============================================
Leave a comment