નરસિંહ મહેતાના ભજનો

narsih)mehta

નરસિંહ મહેતાના ભજનો

(1)વૈષ્ણવજન

વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે ;

પરદુ:ખે ઉપકાર કરે તો યે મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે;

વાચ-કાછ –મન નિશ્ચલ રાખે, ધન્ય ધન્ય જનની તેની રે.

સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી,પરસ્ત્રી જેને માત રે;

જિહ્ વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ-માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેનાં મનમાં રે;

રામનામ-શું તાળી લાગી, સકળ તીરથ તેનાં તનમાં રે.

વણલોભી ને કપટરહિત છે, કામક્રોધ નિવાર્યા રે,

ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યા રે.

==========================================

 

(2) ધ્યાન ધર હરિ તણું

રાગ કેદારો

 

ધ્યાન ધર હરિ તણું, અલ્પમતિ આળસુ ! જેણે કરી જન્મનાં દુ:ખ જાયે;

અવર ધંધો કર્યે અરથ કંઈ નવ સરે, માયા દેખાડીને મૃત્યુ વહાયે.   1

સકળ કલ્યાણ શ્રીકૃષ્ણનાં ચરણમાં, શરણ આવ્યે સુખ-પાર ન્હોયે;

અવર વેપાર તું મેલ મિથ્યા કરી, કૃષ્ણનું નામ તું રાખ મોંએ.     2

ષટક માયા પરી, અટક ચરણે-હરિ, વટક મા વાત સુણતાં જ સાચી;

આશનું ભવન આકાશ સુધી રચ્યું, મૂઢ ! જો મૂળમાં ભીંત કાચી.     3

અંગ-જોબન ગયું, પલિત પિંજર થયું, તોયે લહેતો નથી કૃષ્ણ કહેવું;

ચેત રે ચેત, દિન ચાર છે દાવના, લીંબુ લહેકાવતાં રાજ લેવું.       4

સરસ ગુણ હરિ તણા, જે નરે અનુસર્યા, તે તણા સૃજશ તો જગત બોલે;

નરસૈંયા રંકને પ્રીત પ્રભુ-શું ખરી, અવર વેપાર નહિ કૃષ્ણ તોલે.     5

 

=============================================

(3)રાત રહે જાહરે….

રાગ પ્રભાતી

રાત રહે જાહરે પાછલી ખટઘડી, સાધુ પુરુષે સૂઈ ન રહેવું;

નિદ્રાને પરહરી સમરવા શ્રીહરિ, ‘એક તું એક હું’એમ કહેવું.           1

જોગિયા હોય તેણે જોગ સંભાળવા,ભોગિયા હોય તેણે ભોગ તજવા.

વેદિયા હોય તેણે વેદ વિચારવા,વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા.       2

સુકવિ હોય તેણે સદ્ ગ્રંથ બાંધવા, દાતાર હોય તેણે દાન કરવું;

પતિવ્રતા નારીએ કંથને પૂછવું, કંથ કહે તે તો ચિત્ત ધરવું.             3

આ પેરે આપણા ધર્મ સંભાળવા, કર્મનો મર્મ લેવો વિચારી;

નરસૈંના સ્વામીને સ્નેહથી સમરતાં ફરી નવ અવતરે નર ને નારી.    4

 

(4) અખિલ બ્રહ્માંડમાં……

રાગ કેદારો

 

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે;

દેહમાં દેવ તું, તત્ત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.           1

પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા ! વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;

વિવિધ રચના કરી અનેક રસ લેવાને,શિવ થકી જીવ થયો એ જ આશે. 2

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે: કનકકુંડળ વિશે ભેદ ન્હોયે;

ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.            3

ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરે ખરી, જેહને જે ગમે તેને પૂજે;

મન-વચન-કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ : મન એમ સૂઝે.    4

વૃક્ષમાં બીજ તું , બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે;

ભણે નરસૈંયો :એ મન તણી શોધના ; પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.   5

(5)જાગીને જોઉં તો….

જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;

ચિત્ત ચૈતન્ય-વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.              1

પંચ મહાભૂત પરિબ્રહ્મથી ઊપન્યાં, અરસપરસ રહ્યાં તેહને વળગી;

ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણ્વાં, થડ થકી ડાળ નવ હોય અળગી.    2

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે : કનકકુંડળ વિશે ભેદ ન્હોયે;

ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.          3

જીવ ને શિવ તે આપ-ઈચ્છાએ થયો,ચૌદ લોક રચી જેણે ભેદ કીધા;

ભણે નરસૈંયો ‘એ તેજ તું’ ‘એ તેજ તું’એને સમર્યથી કંઈ સંત સીધ્યા. 4

 

==============================================

 

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

Leave a comment

વાચકગણ
  • 780,076 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
ડિસેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો