Shreemad bhagwad gita ch.12
પદ્ય અનુવાદ:શ્રી કિશોરલાલ મશરૂવાળા
ગદ્ય સમજૂતિ: શ્રી ગાંધીજી
પુરુષોત્તમનાં દર્શન અનન્ય ભક્તિથી જ થાય એમ હોવાથી ભગવાનના દર્શન પછી તો ભક્તિનું સ્વરૂપ આલેખાય.
આ બારમો અધ્યાય બધાએ મોધે કરી લેવો જોઇએ. નાનામાં નાનામાંનો આ એક છે. આમાં ભક્તનાં લક્ષણ નિત્ય મનન કરવા જેવાં છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા :અધ્યાય;12
ભક્તિતત્ત્વ
અર્જુન બોલ્યા–
નિત્યયુક્ત થઇ આમ, જે ભક્ત તમને ભજે,
ને જે અક્ષર, અવ્યક્ત,–તે બે માંહી ક્યા ચડે?……1
અર્જુન બોલ્યા: આમ જે ભક્તો તમારું નિરંતર ધ્યાન ધરતા તમને ઉપાસે છે ને જેઓ તમારા અવિનાશી અવ્યક્ત સ્વરૂપનું ધ્યાન ધરે છે તેમાંના ક્યા યોગી શ્રેષ્ઠ ગણાય?…..1
શ્રી ભગવાન બોલ્યા–
મારામાં મનને પ્રોઇ, નિત્યયુક્ત થઇ મ’ને,
ભજે પરમ શ્રધ્ધાથી, તે યોગી ચડતા ગણું……2
શ્રી ભગવાન બોલ્યા:
નિત્ય ધ્યાન ધરતા, મારામા6 મન આરોપીને જેઓ પરમ શ્રધ્ધાપૂર્વક મને ઉપાસે છે તેમને હું શ્રેષ્ઠ યોગી ગણું છું……2
જેઓ અચિંત્ય, અવ્યક્ત સર્વવ્યાપક, નિશ્ચળ,
એકરૂપ, અનિર્દેશ્ય, ધ્રુવ અક્ષરને ભજે;……3
બધી ઇન્દ્રિયોને વશમાં રાખીને, બધે સમત્વ જાળવીને જેઓ અચિંત્ય, દૃઢ, અચળ,ધીર, સર્વવ્યાપી, અવ્યક્ત, અવર્ણનીય, અવિનાશી સ્વરૂપને ઉપાસે છે તે સર્વ પ્રાણીઓના હિતમાં પરોવાયેલા મને જ પામે છે. ….3-4
ઇન્દ્રિયો નિયમે રાખી, સર્વત્ર સમબુધ્ધિના,
સર્વભૂતહિતે રક્ત, તેયે મ’ને જ પામતા…..4
અવ્યક્તે ચિત્ત ચોંટાડે, તેને ક્લેશ થતો વધુ;
મહાપરિશ્રમે દેહી, પામે અવ્યક્તમાં ગતિ…….5
જેમનું ચિત્ત અવ્યક્તને વિશે ચોંટેલું છે તેમને કષ્ટ વધારે છે. અવ્યક્ત ગતિને દેહધારી કષ્ટ વડે જ પામી શકે……5
નોંધ:દેહધારી મનુષ્ય અમૂર્ત સ્વરૂપનો માત્ર કલ્પના જ કરી શકે, પણ તેની પાસે અમૂર્ત સ્વરૂપને સારુ એક પણ નિશ્ચયાત્મક શબ્દ નથી તેથી તેને નિષેધાત્મક’નેતિ’ શબ્દથી સંતોષ પામવો રહ્યો. એટલે જ મૂર્તિપૂજાનો નિષેધ કરનાર પણ સૂક્ષ્મ રીતે જોતા6 મૂર્તિપૂજક જ હોય છે. પુસ્તકની પૂજા કરવી, દેવળમા6 જઇને પૂજા કરવી, એક જ દિશામાં મુખ રાખી પૂજા કરવી એ બધાં સાકાર-પૂજાના6 લક્ષણ છે. આમ છતાં સાકારની પેલી પાર નિરાકાર અચિંત્ય સ્વરૂપ છે એમ તો બધાએ સમજ્યે જ છૂટકો. ભક્તિની પરાકાષ્ઠા એ કે ભક્ત ભગવાનમા6 શમી જાયને છેવટે કેવળ એક અદ્વિતીય, અરૂપી ભગવાન જ રહે.પણ આ સ્થિતિને સાકારની મારફતે સહેલાઇથી પહોંચાય તેથી નિરાકારને સીધા પહોંચવાનો માર્ગ કષ્ટસાધ્ય કહ્યો.
**************
મારામાં સર્વ કર્મોનો કરી સંન્યાસ, મત્પર,
અનન્ય યોગથી મારાં કરે ધ્યાન-ઉપાસના,…..6
પણ, હે પાર્થ !જેઓ મારામાં પરાયણ રહી, બધાં કર્મો મને સમર્પણ કરી
એકનિષ્ઠાથી મારું ધ્યાન ધરતા મને ઉપાસે છે અને મારામા6 જેમનુ6 ચિત્ત પરોવાયેલું છે એવાઓને મરણધર્મી સંસારસાગરમા6 થી હું ઝટ તારી લઉં છું…6—7
મારામાં ચિત્ત પ્રોતા તે ભક્તોનો ભવસાગરે
વિના વિલંબ ઉધ્ધાર કરું છું, પાર્થ, હું સ્વયં…..7
હું—માં જ મનને સ્થાપ, નિષ્ઠા મારી જ રાખ તું;
તો મારામાં જ નિ:શંક, તું વસીશ હવે પછી…..8
તારું મન મારામા6 રાખ, તારી બુધ્ધિ મારામાં પરોવ, એટલે આ ભવ પછી નિ:સંશય મને જ પામીશ. ….8
જો ન રાખી શકે સ્થિર હું-માં ચિત્ત સમાધિથી,
તો મ’ને પામવા ઇચ્છ, સાધી અભ્યાસ—યોગને….9
હવે જો તું મારે વિશે તારું મન સ્થિર કરવા અસમર્થ હોય તો હે ધનંજય ! અભ્યસયોગ વડે મને પામવાની ઇચ્છા રાખ……9
અભ્યાસેયે ન જો શક્તિ, થા મત્કર્મપરાયણ;
મારે અર્થે કરે કર્મો, તોયે પામીશ સિધ્ધિને….10
એવો અભ્યાસ રાખવા પણ તું અસમર્થ હોય તો કર્મમાત્ર મને અર્પણ કર. એમ મારે નિમિત્તે કર્મ કરતો કરતો પણ તુ6 મોક્ષ પામીશ…….10
જો ન કરી શકે તેયે, આશરી મુજ યોગને,
તો સૌ કર્મફળો ત્યાગ, રાખીને મનને વશ…..11
અને જો મારે નિમિત્તે કર્મ કરવા જેટલી પણ તારી શક્તિ ન હોય તો યત્નપૂર્વક બધાં કર્મોનાં ફળનો ત્યાગ કર…..11
ઊંચું-અભ્યાસથી જ્ઞાન, જ્ઞાનથી ધ્યાન તો ચડે;
ધ્યાનથી ફળનો ત્યાગ, ત્યાગથી શાંતિ સત્વર….12
અભ્યાસમાર્ગ કરતાં જ્ઞાનમાર્ગ શ્રેયસ્કર છે. જ્ઞાનમાર્ગ કરતા6 ધ્યાનમાર્ગ વિશેષ છે. અને ધ્યાનમાર્ગ કરતા6 કર્મફલત્યાગ સરસ છે, કેમ કે એ ત્યાગને અંતે તુરંત શાંતિ જ હોય. ….12
નોંધ:અભ્યાસ એટલે ચિત્તવૃત્તિનિરોધની સાધના; જ્ઞાન એટલે શ્રવણમનનાદિ; ધ્યાન એટલે ઉપાસના. આટલાને પરિણામે જો કર્મફલત્યગ ન જોવામાં આવે તો તે અભ્યાસ અભ્યાસ નથી, જ્ઞાન તે જ્ઞાન નથી, અને ધ્યાન તે ધ્યાન નથી.
[નોંધ: ચિત્ત અશાંત હોય તો ધ્યાન સંભવે નહીં, અને અશાંતિનું કારણ તો જાતજાતની ફળ-વાસના જ છે, માટે ફળત્યાગ પ્રથમ કરવો જોઇએ.એ ત્યાગ પછી ધ્યાનને આવશ્યક એવી શાંતિ તરત મળી શકે છે.—કાકાસાહેબ કાલેલકર]
અદ્વેષ સર્વ ભૂતોનો, મિત્રતા, કરુણા, ક્ષમા,
નિર્મમ, નિરહંકાર, સુખદુ:ખે સમાનતા;……13
જે પ્રાણીમાત્ર પ્રત્યે દ્વેષરહિત, સર્વનો મિત્ર, દયાવાન, ક્ષમાવાન, અહંતા—મમતા- રહિત, સુખદુ:ખને વિશે સરખો, સદાય સંતોશી, યોગયુક્ત, ઇન્દ્રિય—નિગ્રહી, અને દૃઢ નિશ્ચયવાળો છે, તેમ જ મારે વિશે જેણે પોતાનાં બુધ્ધિ ને મન અર્પણ કર્યાં છે, એવો મારો ભક્ત મને પ્રિય છે…..13—14
યોગી સદાય સંતોષી, જિતાત્મા દૃઢ નિશ્ચયી,
મનબુધ્ધિ મ’ને અર્પ્યાં તે મદ્ ભક્ત મ’ને પ્રિય…..14
જેથી દુભાય ના લોકો, લોક્થી જે દુભાય ના;
હર્ષ-ક્રોધ-ભય-ક્ષોભે છૂટ્યો જે તે મ’ને પ્રિય….15
જેનાથી લોકો ઉદ્વેગ નથી પામતા, જે લોકોથી ઉદ્વેગ નથી પામતો, જે હર્ષ, ક્રોધ, અદેખાઇ, ભય, અને ઉદ્વેગથી મુક્ત છે તે મને પ્રિય છે….15
પવિત્ર, નિસ્પૃહી,દક્ષ, ઉદાસીન, વ્યથા નહીં,
સૌ કર્મારંભ છોડેલો, મારો ભક્ત મને પ્રિય……16
જે ઇચ્છા-રહિત છે, પવિત્ર છે, દક્ષ એટલે સાવધાન છે, ફલપ્રાપ્તિ વિશે તટસ્થ છે, ભય કે ચિંતારહિત છે, સંકલ્પમાત્રનો જેણે ત્યાગ કર્યો છે તે મારો ભક્ત છે, તે મને પ્રિય છે…..16
ન કરે હર્ષ કે દ્વેષ, ન કરે શોક કે સ્પૃહા;
શુભાશુભ ત્યજ્યાં જેણે, ભક્તિમાન મ’ને પ્રિય…..17
જે હર્ષ પામતો નથી, જે દ્વેષ કરતો નથી, જે ચિંતા નથી કરતો, જે આશાઓ નથી બાંધતો, જે શુભાશુભનો ત્યાગ કરનારો છે, તે ભક્તિ-પરાયણ મને પ્રિય છે….17
સમ જે શત્રુ ને મિત્રે, સમ માનાપમાનમાં;
ટાઢે-તાપે સુખે—દુ:ખેસમ, આસક્તિહીન જે:…….18
સમાન સ્તુતિ નિંદામાં, મૌની સંતુષ્ટ જે મળે;
સ્થિરબુધ્ધિ, નિરાલંબ, ભક્ત જે, તે મ’ને પ્રિય…..19
શત્રુ-મિત્ર, માન-અપમાન, ટાઢ-તડકો, સુખ-દુ:ખ – આ બધાંને વિશે જે સમતાવાન છે, જેણે આસક્તિ છોડી છે, જે નિંદા ને સ્તુતિમાં સરખો વર્તે છે ને મૌન ધારણ કરે છે, જે કાંઇ મળે તેથી જેને સંતોષ છે, જેને પોતાનું એવું કોઇ આશ્રયનું સ્થાન નથી, જે સ્થિર ચિત્તવાળો છે, એવો ભક્ત મને પ્રિય છે. 18—19
આ ધર્મામૃતને સેવે શ્રધ્ધાથી જેમ મેં કહ્યું,
મત્પરાયણ જે ભક્તો, તે મ’ને અતિશે પ્રિય……20
આ પવિત્ર અમૃતરૂપ જ્ઞાન જેઓ મારામાં પરાયણ રહીને શ્રધ્ધાપૂર્વક સેવે છે તે મારા અતિશય પ્રિય ભક્ત છે…..20
ૐતત્સત્
જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગ શાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેનાસંવાદનો ‘ભક્તિયોગ’ નામનો બારમો અધ્યાય અત્રે પૂરો થાય છે.
ગીતાજીના બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોની વાત, બારમા અધ્યાયમાં પરમ ભક્તનાં લક્ષણોની વાત અને ચૌદમા અધ્યાયમાં ત્રિગુણાતીત માનવીનાં લક્ષણોની વાત એક જ છે. ફક્ત જુદા જુદા શબ્દો છે. સ્થિતપ્રજ્ઞ, પરમ ભક્ત કે ત્રિગુણાતીત એ એકબીજાના પર્યાય છે.
એટલે બીનજરુરી ગુંચવાવાની જરુર નથી.