તૃણાવર્ત રાક્ષસનો વધ [દશમો સ્કંધ: શ્રીમદ્ ભાગવત સંક્ષેપ/હસુમતીબેન મેહતા]

Leave a comment

TRUNAAVRAT  VADHA

તૃણાવર્ત  રાક્ષસનો વધ

શક્ટાસુરને મારી નાખવામાં આવ્યો તે ખબર કંસને મળ્યા. ફરી પાછોબીજો રાક્ષસ બાલકૃષ્ણને મારવા ગોકુળ મોકલ્યો. યશોદાજી બાલ કનૈયાને સ્તનપાન કરાવતા હતા ત્યાં તૃણાવર્ત નામનો રાક્ષસ આવ્યો. તૃણાવર્ત એટલે જોરથી ફૂંકાતો પવન. માતા યશોદા બાળકને દૂધ પિવડાવવામાં મશગૂલ હતા. તૃણાવર્ત હમણા બાળકને લઇ લઉં કરતો જોરથી ધૂળ ઉડાડવા લાગ્યો. યશોદા આંખો ચોળવા લાગ્યા. ત્યાં તો તૃણાવર્ત ભગવાનને યશોદાના ખોળામાંથી ઊંચકી લઇ આકાશમાં ઊડવા લાગ્યો.આકાશમાં જ કનૈયાએ તૃણાવર્તને મારી નાખ્યો. મોટા અવાજ સાથે તૃણાવર્ત જમીન પર પટકાયો.

શુકદેવજી કહે, “ હે પરીક્ષિત ! યદુવંશના પુરોહિત 90 વર્ષના ગર્ગાચાર્ય હતા. તેમની પાસે ઠાકોરજીની નિજ સેવા હતી. દરરોજ ભાવપૂર્વક ઠાકોરજીની સેવા કરે. અંતરના ઊંડાણથી એવી ઇચ્છા રાખે કે ઠાકોરજી પ્રત્યક્ષ આવે અને મારી ધરાવેલી સામગ્રી આરોગે.હરિનું નામ જ ગર્ગાચાર્યનું જીવન હતું. ગર્ગાચાર્ય વસુદેવ-દેવકી પાસે આવ્યા. વસુદેવે ગર્ગાચાર્યની પૂજા કરી અને કહ્યું, “  અમે તમને પગે પડીએ છીએ. આપ અમારા પુરોહિત છો. કૃપા કરી નંદરાયને ઘરે જાવ, અમારા લાલાના જન્મ પછી લાલાને તેમના ઘરે ગોકુળ મોકલ્યા છે. લાલાને આશીર્વાદ આપો. લાલાનું નામ પાડો. ત્યાં જઇ પાછા અહીં આવજો અને ત્યાંના સમાચાર આપજો. અમારી એવી ઇચ્છા છે કે અમારો લાલો તેજસ્વી, પરાક્રમી થાય.” વસુદેવ—દેવકીની વિનંતી સાંભળી ગર્ગાચાર્ય પોતાની નિજ સેવાને બગલમાં દબાવી, ઇશ્વરસ્મરણ કરતાં કરતાં ગોકુળમાં આવ્યા. ગર્ગાચાર્યને જોતાં જ યશોદાએ કહ્યું, “ કોઇ ભગવાનના ભક્ત આંગણે આવ્યા લાગે છે.” નંદરાયે ગર્ગાચાર્યને આવકાર આપ્યો, “પધારો પધારો.” ગર્ગાચાર્યે કહ્યું, “ ઠાકોરજીને ભોગ ધરાવજો.” ગર્ગાચાર્ય કહે, “ મારે રહેવા અલગ વ્યવસ્થા કરી આપો જેથી હું હાથે ઠાકોરજીની સામગ્રી બનાવી ધરાવું.” ગર્ગાચાર્ય પરમ વૈષ્ણવ હતા. અસ્પૃશ્યતા પાળે. સ્નાન કરી રેશમી વસ્ત્ર ધારણ કરી પોતાના હાથે સામગ્રી બનાવી ઠાકોરજીને ધરાવે. નંદરાયે કહ્યું, “ આ સામેનો ઓરડો ખાલી છે. તમારા માટે જ છે. લાલાના જનમ પછી આપ પહેલાવહેલા પધાર્યા છો. ગાયના દૂધ, માખણ, ઘી મોકલાવું છું. આપ નિજ સેવા પતાવો પછી મારા લાલાના જન્માક્ષર જોઇ આપો. અમારો દીકરો કેવો થશે તે આપ કહેતા જાવ, અને તેના નામકરણ સંસ્કારપણ આપ કરતા જાવ.” ગર્ગાચાર્ય કહે, “ભલે, હું મારું નિત્યક્રમ પહેલા પતાવી દઉં.” ગર્ગાચાર્ય નાહ્યા. ઠાકોરજીને નવડાવ્યા. યશોદાજીએ પૂછ્યું,“ આપ ઠાકોરજીને રાજભોગમાં શું ધરાવશો.” ગર્ગાચાર્ય કહે, “ દૂધની સામગ્રી ધરાવશું.ખીરનો રાજભોગ મારા ઠાકોરજી માટે તૈયાર કર્યો છે. ચાલો, પહેલાં તમારાં બાળકોનો નામકરણ સંસ્કાર કરીએ.” ગર્ગાચાર્યે બાળકોને બ્રહ્મસ્મરણ કરાવ્યું,પૂજા કરાવી. નંદરાય કહે, “આ બાળકોના જન્માક્ષર પણ જુઓ. દીકરાઓ કેવા થશે?” પહેલા આ મોટા દીકરાની વાત કરું. ગર્ગાચાર્ય કહે, “મોટાને જન્મ વખતે ખેંચવો પડેલો તેથી સંકર્ષણ કહેવાશે. બળ વધુ તેથી બળદેવ કહેવાશે. આવરદા, પત્ની, બાળકો, ભાઇઅનું સુખ પૂરેપુરું છે. મગજ થોડું ગરમ રહેશે. સોમરસ પીવાની આદત પડશે.

વસુદેવનો નાનો દીકરો વાસુદેવ કહેવાશે. કાળો હોવાથી કૃષ્ણ કહેવાશે. ગુરુ બળવાન છે. પરાક્રમ પ્રમાણે અનેક નામ પડશે. એકથી વધુ સ્ત્રીઓ થશે. દરેક સ્ત્રીને દશ દશ દીકરા થશે. અનેક પરાક્રમ કરશે.” ગર્ગાચાર્ય નામ સંસ્કરણ કરતાં બાલકૃષ્ણની સામે જુએ છે. મારા ઠાકોરજી જેવી જ આંખો છે. અહીં મારા ઠાકોરજી આવ્યા છે એવી મને ભ્રાંતિ થઇ ! ગર્ગાચાર્ય યશોદાજીને કહે, “  હવે હું ઠાકોરજીને રાજભોગ ધરી આવું. રાજભોગ પર વસ્ત્ર ઢાંકી હું યમુનાપાન કરવા જાઉં છું. આવીને આરતી કરીશ અને પછી પ્રસાદ આપીશ. તમારા બાળકો નાના છે. યશોદાજી, ધ્યાન રાખજો, કોઇ ઠાકોરજીની સામગ્રીને અડે નહીં.”

યમુનાપાન કરી ગર્ગાચાર્ય આવ્યા. જોયું તો ઠાકોરજીને ધરાવેલો રાજભોગ અર્ધો થઇ ગયેલો. આ ઘરમાં નાના છોકરાં છે.તેના સિવાય બીજું તો કોઇ ઠાકોરજીને ધરાવેલી સામગ્રીને ન અડકે? કોના પર આક્ષેપ કરવો? ગર્ગાચાર્ય મૌન રહ્યા. પોતે પ્રસાદી લીધી. નંદ-યશોદાને પ્રસાદી આપી. કોણ જાણે અહીં પ્રસાદી ઉત્તમ થઇ. મનમાં વિચારે છે કે આનું કારણ શું હશે? બીજે દિવસે યશોદા મૈયા કહે, “ ગર્ગાચાર્યજી, આજે તમારા ઠાકોરજી માટે શીરો બનાવજો.” ગર્ગાચાર્ય કહે, “ યશોમતી, એક વિનંતી કરું છું, આક્ષેપ નથી કરતો. ગઇકાલે ખીરની તપેલી અર્ધી થઇ ગયેલી. આજે હું યમુનાપાન કરવા જાઉં ત્યારે તમે અહીં ધ્યાન રાખવા બેસજો. કોઇ અંદર ન આવે.” યશોદા કહે, “ હું અહીં બારણામાં લાકડી લઇ ચોકી કરું છું. કોઇ અંદર નહીં જાય.” ગર્ગાચાર્ય યમુનાપાન કરવા ગયા. યશોદાજી ઠાકોરજીને રાજભોગ ધરાવ્યો છે ત્યાં ચોકી કરે છે. ગોવાળિયાઓ કનૈયાને કહે છે, “ કાલે જેમ ખીર આપી હતીને તેમ આજેય અમને આપ.” કનૈયો કહે, “ મૂંગા રહો ! આજે તો મા ચોકી કરવા બેઠી છે. કોઇ યુક્તિ કરવી પડશે.” કનૈયાએ વાછરડાંને છોડી મૂક્યા એટલે ગાયો ભાંભરવા માંડી. યશોદા ગાયો પાસે ગયા એટલામાં ભગવાન અને ગોવાળિયા અંદર જઇ રાજભોગનો શીરો ખાવા માંડ્યા. જલદી જલદી ખાઇ મોઢાં લૂછી નાખ્યા. ગર્ગાચાર્ય હરિસ્મરણ કરતાં કરતાં યમુનાપાન કરીને પાછા ફર્યા. રાજાભોગનું તપેલું અર્ધું થઇ . ગયું હતું. તેમણે યશોદાને પૂછ્યું, “ આમ કેમ ? યશોદાજી કહે, “  હું તો અહીં જ લાકડી લઇ બેઠી છું. પછી આમ કેમ થયું?” ગર્ગાચાર્ય સેવા સાથે હાથ જોડી ઊભા રહ્યા. આંખ બંધ કરી સ્તુતિ કરે છે. “ હે ઠાકોરજી, પ્રત્યક્ષ દર્શન આપો તો જ માનીશ કે મારી સેવા ફળી.” શંખ,ચક્ર. ગદા, પદ્મ ધારણ કરેલા ચતુર્ભુજ સ્વરૂપ, પીળા પીતાંબર પહેરેલાં, કૌસ્તુભ મણિ ધારણ કર્યો છે તેવા વિષ્ણુ ભગવાને પ્રત્યક્ષ દર્શન ગર્ગાચાર્યને કરાવ્યા. તેમણે ભગવાનને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. તેમને  નંદ-યશોદાને કહ્યું.” “ તમારી સંપત્તિ, સમૃદ્ધિ આબાદ રહે. તમારો દીકરો વિશ્વવિખ્યાત થશે.” પછી ગર્ગાચાર્ય ગોકુળથી વૃંદાવન આવ્યા. ત્યાંથી દેવકી-વાસુદેવ પાસે આવ્યા. તેમણે ગોકુળના સમાચાર કહી સંભળવ્યા. શુકદેવજી કહે, “  હે પરીક્ષિત !ભગવાન કૃષ્ણ દેખાવે સુંદા હતા. તેમની પાછળ આખું ગોકુળ ગાંડું થયેલું. ઊઠતાંવેંત ભગવાનનું મ્ઢું જોવા લોકો આવે. બાલકૃષ્ણ પર વહાલથી હાથ ફેરવે, ચુંબન કરે. પોતાને ઘરે લઇ જાય. પરમકૃપાળુ પરમેશ્વર બાલ સ્વરૂપે ધીમે ધીમે મોટા થવા લાગ્યા. ધીમે ધીમે પગે ચાલવા માંડ્યા. આવનાર ગોપગોપીઓના ટોળા ભગવાનની સ્તુતિ કરતા જાય અને કનૈયાને સાથે લેતા જાય. યશોદા-નંદના આનંદનો પાર ન હતો. બાલકૃષ્ણ માખણ આરોગતા. યશોદાજી આપે અને ગોપીઓ પણ આપે. ધીમે ધીમે ગોપીઓ પોતાની સાથે કનૈયાને લઇ જાય. ગોવાળિયાઓ સાથે કનૈયો રમે અને માખણ ખાય. યશોદાજી કાનુડા માટે  સામગ્રી તૈયાર કરે, કનૈયો હજી જમે તે પહેલાં બીજાઓ ભગવાનને લઇ જાય. આખું ગોકુળ ગામ “ બાલકૃષ્ણ લાલકી જય.” પોકારવા લાગ્યું. પ્રેમલક્ષણા ભક્તિથી ભગવાન રીઝે છે. પ્રેમથી ગોપગોપીઓ જે આપે તે ખાય અને ખવડાવે. પરમકૃપાળુ પરમાત્મા ગોવાળિયાઓ સાથે ગોપીઓના ઘરે જઇ માખણ ચોરીને ખાય છે.ગોપીઓ યશોદાને ફરિયાદ કરે છે. યશોદા કહે, “ તમારી વાત સાચી છે. હું જમાડું તે પહેલાં તમે મારા કાનને લઇ જાવ છો, મારે કાનુડાને શોધવા નીકળવું પડે છે. આજે તમારી ફરિયાદ છે.” યશોદાજી ગુસ્સે થઇ ગયા. કાનુડાને આજે ઘરબહાર જવાની મનાઇ કરી. ભગવાન બાલકૃષ્ણની  પ્રકૃતિ ચંચળ.મોટાભાઇઅ બળદેવે માતા યશોદાને કહ્યું, “ આ કનૈયાએ માટી ખાધી છે. તમે તેને આજે માખણ આપ્યું નહીં ને એટલે” કાનુડો કહે, “ મેં નહીં, આ મોટાભાઇએ માટી ખાધી છે.” માતા યશોદા કહે, “  તું જ નટખટ છે. તારા જ પરાક્રમ છે. ઉઘાડ  તારું મોઢું.”  ઠાકોરજીએ મોઢું ઉઘાડ્યું. કાનુડાએ યશોદાજીને સાક્ષાત્ વૈકુંઠના દર્શન પોતાના મોઢામાં કરાવ્યા. યશોદાજીએ ભગવાનને પ્રણામ કર્યા.” શુકદેવજી કહે, “ હે પરીક્ષિત ! ઠાકોરજી હવે ચાર વર્ષના થયા. યશોદાજીએ કાનુડાને ગોવાળિયાઓ સાથે તેઓના ઘરે જવાની છૂટ આપી. તેમને ઘરે જાય. ઘી, દૂધ, માખણ ખાય અને બધા બાળગોપાળ આમ સાથે મળી આનંદ કરે. દરરોજ વારાફરતી જુદા જુદા ગોવાળિયાના ઘરે જવાનું. ઘરે જઇ પ્રેમપૂર્વક દહીં-માખણ આરોગવાના. એક પછી એક બધા ગોવાળિયાનો વારો. આજે એક  ગોવાળિયાનો વારો હતો જેની માનું નામ પ્રભાવતી. ગોવાળિયાએ માને કહ્યું, “ મા ! આવતીકાલે બધા ગોવાળિયાઓ અને બાલ કનૈયો આપણે ઘરે માખણ ખાવા ભેગા થશે. આપણો વારો છે.” પ્રભાવતી કહે, “ ના, આપણે ઘરે નહીં. તમે બધા ભેગા મળી ખૂબ તોફાન મસ્તી કરો છો. ઢોળ- ફોડ કરો છો. આવતીકાલે જવાનું જ રહેવા દે.” ગોવાળિયો કહે, “ મા ! મેં કાનુડાને વચન આપ્યું છે હું તો જરૂર જઇશ અને આપણે ઘેર પણ બોલાવીશ.”

પ્રભાવતી સવારે ચાર વાગ્યે ઊઠી માખણ કાઢી ઊંચે શીકામાં મૂકીને ઘરને તાળું મરી બહાર ચાલી ગઇ. કાનુડા પાસે ગોવાળિયો રડવા લાગ્યો. “ મારા ઘરને મારી મા તાળું મારીને બહાર વઇ ગઇ છે.” કાનુડો કહે, “ ગભરાઇશ નહીં, તારે ઘેર જ આજે

જઇશું અને તારી માએ કાઢેલ માખણ પણ ખાઇશું.” પ્રભાવતી પોતાના ઘર પાછળ ઊભી રહી છે. ઠકોરજીએ પ્રભાવતીના ઘરના તાળાને હાથ લગાડ્યો  અને તાળું ખુલી ગયું. સાંકળ ખોલી કાનુડો ઘરમાં પેસ્યો. ખૂબ પ્રકાશ થયો. ગોવાળિયાએ તેની માતાએ ઊંચે શીકે ટાંગેલુ માખણ દેખાડ્યું..હાથ ઊંચા કરી જોયા પણ ન પહોંચાયું, બાજુમાં પડેલ ખાંડણિયો ઊંધો પાડી કાનુડો તેના પર ચડ્યો. તોયે ન પહોંચાયું. સુદામને ખાંડણિયા પર અંગૂઠા પકડાવ્યા. તેના પર ચડી ગોવાળિયાને કહ્યું,” જો, સામે ડામચિયા નીચે પથ્થર છે તે લાવ.” ગોવાળિયાએ પથ્થર આપ્યો. પથ્થર આપતાં ગોવાળિયો વિચાર કરે છે કે મારા ઘરમાં પથ્થર ક્યાં છે તેની મને ખબર નથી તો આ કાનુડાને કેવી રીતે ખબર પડી ? પથ્થરથી કનૈયાએ દોણી ફોડી, માખણ બહાર ઢોળાયું . કાનુડાએ બધાને ખવડાવ્યું અને પોતે પણ ખાધું. તરત જ પ્રભાવતી ઘરમાં આવી અને ચોર-ચોર બૂમો પાડવા લાગી. કાનુડાનું કાંડુ પકડી કહે, “ આજે યશોદાને પ્રત્યક્ષ કરાવું કે તારો કાનો માખણની ચોરી કરે છે.” ગોવાળિયા બધા રડવા મંડ્યા.કાનુડો કહે, “તમે બધા રડો નહીં. બધા મારી પાછળ આવો.” પ્રભાવતીએ કનૈયાનું કાંડું પકડ્યું છે. પ્રભાવતીના કાકાજી રસ્તામાં મળ્યા. પ્રભાવતીએ ઘૂમટો તાણવા હાથ ઉપર કર્યો. એટલીવારમાં કનૈયો સરકી ગયો અને પ્રભાવતીએ પોતાના જ દીકરાનો હાથ પકડી લીધો.કનૈયો દોડતો દોડતો ઘરે જઇ યશોદા માતાને ફરિયાદ કરવા લાગ્યો કે,  “ મા, મા, પ્રભાવતી મને મારે છે.” ઘરમાં જઇ ગોળી પાછળ પોતે સંતાઇ ગયો. પ્રભાવતી યશોદા પાસે આવી. યશોદા  કહે, “તે મારા કાનુડાને બહુ માર્યો છે, ધમકાવ્યો છે.” પ્રભાવતી હાથ પકડી લાવેલા બાળકને કાનુડો સમજી યશોદાને કહે છે,  “ આ તારો કાનુડો ઘર ઘરમાં જઇ માખણ ચોરે છે, દોણી ફોડે છે અને તોફાન કરે છે.” યશોદા કહે, “ ક્યાં છે મારો કાન? આ તો તારો દીકરો છે પ્રભાવતી ! ઠાકોરજી તો સર્વત્ર છે. માતા યશોદાએ બાલકૃષ્ણને ઠપકો આપ્યો.

પ્રભાવતી પોતના ઘરે ગઇ. ઘરમાં જઇને જોયું તો અનેક જાતનાં ઐશ્વર્ય તો પોતાના ઘરમાં જોયાં. ભગવાન કહે છે, “ મને એકવાર પણ હું તારો છું કહે તે જીવને  હું “અભય” આપું છું.” પ્રભાવતીના પ્રસંગથી ગોકુળ ગામનાં  લોકો ખૂબ પ્રભાવિત થયા. દરેક નાના મોટા માંગલિક પ્રસંગે કાનુડાને પોતાના ઘરે લઇ જવા લાગ્યા.

આજે ગોકુળમાં સુમંગલ નામના બ્રાહ્મણને ઘરે દીકરીનું વેવિશાળ છે. વેવાઇઓ ઘરે આવવાના છે, સુમંગલની પત્નીએ યશોદજી પાસે આવી વિનંતી કરી. આમંત્રણ આપી ગઇ, કે આવતીકાલે સવારે નવ વાગ્યે કાનુડાને અમારે ત્યાં જમવા મોકલજો. યશોદાજીએ કાનુડાને કહ્યું, “ કાના, આવતીકાલે સવારે તારે સુમંગલને ત્યાં જમવા જવાનું છે.” કાન સવારે સુમંગલને ત્યાં પહોંચી ગયો. જેવો કાનુડો આવ્યો કે તરત કરેલી ગાદી પર બેસાડ્યા. પૂજા કરીને પછી  સામગ્રી આરોગવા માટે ધરી. ભગવાનને જમાડવામાં હરખઘેલ થયેલા. ભૂલથી લાપસીમાં મીઠું અને દાળમાં સાકર નાખી દીધી. જેવા વેવાઇ આવ્યા કે ભગવાન ઊભા થઇ ગયા. વેવાઇને આવકાર આપ્યો. ગાદી પર બેસાડ્યા. ગોળનું પાણી આપ્યું. વેવાઇ પૂછવા લાગ્યા કે,” “ આ નાનકડો છોકરો કોણ છે?” વેવિશાળની વિધિ શરૂ થઇ અને કનૈયો છૂ થઇ ગયો. અમે ત્રીજા દીકરાનું સગપણ કરીએ છીએ. બધે સામગ્રી આરોગી છે પણ તમારી સામગ્રી ખાતાં પેટ ધરાતું નથી ! શું કારણ? સમજાતું નથી.”

પવિત્ર ભાવના અને પ્રેમથી ભગવાન બગડેલાં  કામને પણ સુધારી દે છે. શીરામાં મીઠું નખાયું પણ કનૈયાની કૃપાથી શીરો અધિક મીઠો બની ગયો.

બાલ કનૈયો વૃજમાં અનેક પ્રકારના  તોફાન કરે છે. ગોપીઓ યશોદાને ફરિયાદ કરે છેકે,  “ માતા યશોદા તમરા કાનુડાને વારો.” યશોદા કહે છે, “ આવવા દો કાનને સાંજે.” કનૈયો સાંજ પડે ઘરે આવ્યો કે તરત જ યશોદાજીએ હુકમ કર્યો, “ કાલે તારે ગોવાળિયાઓ સાથે જવાનું નથી.” કાનુડો ઘરે રહ્યો. ગોવાળિયા કાનુડાને બોલાવવા ઘરે આવ્યા.  “ હે કનૈયા ! દરરોજ તું માખણ આપે છે તેવુ6 આજે પણ માખણ ખાવું છે. તું આવ અને અમને માખણ ખવડાવ.” કાનુડો કહે, “ કાલે મારે ઘેર માખણ ખાવાનો વારો. કાલે બધા અહીં મારે ઘેર આવજો. “ ગોવાળિયા કહે,” “ તને તો માએ બાંધ્યો છે, તો તું શી રીતે માખણ આપીશ?“ કાલે વાત. કાલે વહેલી સવારે બધા આવજો. અને બારી પાસે ઊભા રહેજો.” સવારે યશોદા માએ વહેલા ઊઠી કાનુડાને નવડાવી શણગાર કરી શયનખંડમાં બેસાડ્યો. મા યશોદા ગોળીમાં રવાઇ નાખી દહીં વલોવવા લાગ્યા. ગોવાળિયા બારી પાસે આવી કાનુડાને બૂમ પાડે છે. કાનો કહે,  “ મૂંગા રહો, મા સાંભળી જશે.” શયનખંડમાંથી ધીરે ધીરે કાનુડો મા જ્યાં વલોણું કરતી હતી ત્યાં આવ્યા. મા યશોદાએ બાલકૃષ્ણને ખોળામાં બેસાડ્યા. માખણ તૈયાર થઇ ગયુ હતું, બહાર કાઢવાનું જ બાકી હતું. મા સામે મૂકેલું ચૂલા પરથી દૂધ ઉતારવા  ગયા. તેટલીવારમાં કાનુડાએ ગોળીમાંનું તૈયાર થયેલું માખણ ગોવાળિયાઓને ખવડાવી દીધું. કનૈયો કહે,  “ હવે પેટ ભરાઇ ગયું હોય તો અહીંથી છૂ થઇ જાવ.”  કનૈયાએ ગોળીને પથ્થર માર્યો, ગોળી ફૂટી ગઇ. છાશનો રેલો યશોદાના પગ પાસે આવ્યો. યશોદાને ખ્યાલ આવતાં જ બોલ્યા, “ લોકોની ફરિયાદ સાચી છે. આજે મને પ્રત્યક્ષ અનુભવ થયો.” પરીક્ષિત પૂછે છે પથ્થર કેમ માર્યો?” શુકદેવજી કહે, “ કાનુડાને યશોદામાએ  ખોળામાંથી, ઊભરાતા દૂધને ચૂલા પરથી ઉતારવા બાજુ પર બેસાડ્યો. કાનુડાને રીસ ચડી. માને મારા કરતાં દૂધ વધારે વહાલું  લાગ્યું? “ હે પરીક્ષિત ! “ ગોવાળિયાઓએ ઠાકોરજી પાસે માખણ માંગ્યું. ઠાકોરજીએ જાણ્યું કે મા યશોદાનું પૂણ્ય ખૂબ છે. તેણે સૌ ગોવાળિયાઓને વહેંચી આપ્યું.”  

નોંધ: નળકુબેર અને મણિગ્રીવનો ઉદ્ધાર ની કથા  ટૃંક સમયમાં મૂકાશે.

           

 

કમાલ /પ્રદીપજી

Leave a comment

KAVI  PRADIPJI

પ્રદીપજી

કમાલ

ઉપર ગગન વિશાલ, નીચે ગહરા પાતાલ

બિચ મેં ધરતી , વાહ મેરે માલિક, તૂને કિયા કમાલ…

એક ફૂંકસે રચ દિયા તૂને, સૂરજ અગન કા ગોલા

એક ફૂંકસે રચા ચંદ્રમા, લાખોં સિતારોં કા ટોલા

તૂને રચાયા પવન ઝકોલા, યે પાની ઔર યે શોલા

યે બાદલ કા ઉડનખટોલા, જિસે દેખ હમારા મન ડોલા

સોચ સોચ કર કરે અચમ્ભા,

નજર ન આતા એક ભી ખંભા

ફિર ભી યે આકાશ ખડા હૈ, હુએ કરોડો સાલ

માલિક, તૂને કિયા કમાલ…

 તૂને રચા એક  અદ્ ભુત પ્રાણી, જિસકા નામ ઇન્સાન

જિસકી નન્હી જાન કે ભીતર, ભરા હુઆ તૂફાન

ઇસ જગ મેં ઇન્સાન  કે દિલ કો, કૌન સકા પહચાન

ઇસમેં હી શૈતાન છુપા હૈ, ઇસમેં હી ભગવાન

બડા ગજબ કા હૈ તે ખિલૌના,

ઇસ કી નહીં મિસાલ

માલિક, તૂને કિયા કમાલ…

મોબાઇલ ફોન પ્રેમીઓને સાદર અર્પણ

1 Comment

Mobile devaaya samarpanam

મોબાઇલ ફોન પ્રેમીઓને સાદર અર્પણ

( ચિંતા કરશો નહીં, હું પણ તેમાંનો એક, આજની તારીખે તો છુંજ.)

મોબાઇલ ટાવરને કારણે ચકલીઓ અદૃશ્ય

(મુંબઇ સમાચાર, મંગળવાર તા. 29/05/2012 ને જેઠ સુદ આઠમ, 2068) સંશોધકોએ આસામ અને દેશમાં અન્ય સ્થળે ચકલીઓ અદૃશ્ય થવાનું મુખ્ય કારણ જણાવતાં કહ્યું કે મોબાઇલના ઇલેક્ટ્રોમેગ્નેટિક ટાવરમાંથી નીકળતાં કિરણો, વાહનોમાં વધુ પડતા વપરાતા પેટ્રોલ તથા પાકમાં વપરાતા કેમિક્લ્સને પેસ્ટીસાઇડ્સને કારણે આકાશમાંથી ચકલીઓ અદૃશય થવા લાગી છે.

લખીમપુર પ્રદેશના રીજનલ એગ્રિકલ્ચર રિશર્ચ સેંટરના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ.પ્રબલ સાઇકીઆએ કહ્યું કે હકીકત છે કે આસામમાં અને દેશના ઘણા વિસ્તારમાં ઘરની કે બહાર ઝાડ પરની ચકલીઓ અદૃશ્ય થઇ ગઇ છે.

સાઇકીઆએ દિખૌમુખ પ્રદેશ માટે જણાવ્યું કે ત્યાંનું ઓછું પ્રદુષણયુક્ત વાતાવરણ, મોટા પ્રમાણમાં ઝૂંપડાઓ, તથા વાતાવરણ પ્રત્યેની જાગરૂકતાને કારણે ચકલીઓ જોવા મળે છે.

 પર્યાવરણ અને વન ખાતાના પ્રધાને ધ બૉમ્બે નેચરલ હિસ્ટરી સોસાઇટીના ડૉ. અસદ રહમાનીના માર્ગદર્શન હેઠળ સમિતિ રચી ટાવરને કારણે પંખી અને માખી પર વધુમાં વધુ કેટલી અસર પડે છે તેનું તારણ કાઢવા જણાવ્યું હતું. અહેવાલે માહિતી આપતાં જણાવ્યું કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટાવરને કારણે ચકલી અને માખીઓની સંખ્યા ઘટતી જાય છે.

===============================================================

નોંધ: અમરેલીના શ્રીજિતેન્દ્ર તલાવિયા(મો0-09427206162) પૂંઠાના ચકલીને રહેવા માટેના માળા સસ્તા દામે  વહેંચીને  ચકલીઓને બચાવવાનું શુભ કામ કરે છે.  

પૂતનાવધ અને શકટાસુર વધ//[દશમો સ્કંધ: શ્રીમદ્ ભાગવત સંક્ષેપ/હસુમતીબેન મેહતા]

2 Comments

POOTNA VADHA

પૂતનાવધ

[દશમો સ્કંધ: શ્રીમદ્ ભાગવત સંક્ષેપ/હસુમતીબેન મેહતા]

કંસે પોતાના વેરીને મારવા પોતાની બહેન પૂતનાને શહેરો, ગામડાં વગેરેમાં બાળકોનો નાશ કરવા મોકલી. પૂતના ગોકુળમાં આહીરાણીના રૂપમાં આવી. દહીં, દૂધ, પીળાં વસ્ત્ર વગેરે લઇ લોકો યશોદાને અભિનંદન આપવા આવેલા હતા. આ ટોળામાં પૂતના ભળી ગઇ. પૂતનાને જોતાં બાળક કનૈયાએ આંખો મીંચી દીધી. પૂતના જરાક આઘી ખસી એટલે ઠાકોરજીએ ફરી આંખો ખોલી. ઘડીના છઠ્ઠાભાગમાં પૂતના બાળ કનૈયાને હીંચકામાંથી ઉપાડી ધવડાવવા માંડી.પૂતનાની છાતીમાં હળાહળ ઝેર ભર્યું હતું. ઠકોરજીએ પૂતનાની છાતીને મોં લગાડતાં જ પૂતનાના પ્રાણ હરી લીધા. ભગવાન બાલકૃષ્ણે છઠ્ઠીના દિવસે જ પૂતનાનો સંહાર કર્યો. પૂતનાના પ્રાણ જતાં તે જમીન પર પડી અને પડવાનો મોટો અવાજ થયો. અવાજ સાંભળતાં જ જશોદાજી દોડતાં દોડતાં આવ્યા. પૂતનાને પડેલી જોઇ તેની બાજુમાં રમતા બાલકૃષ્ણને જલદીથી ઉપાડી લઇ છાતી સરસા ચાંપી દીધા. નંદરાય ઘેર ન હતા. વસુદેવને આશ્વાસન આપવા મથુરા ગયા હતા. વસુદેવ કહે, હે નંદરાય, અમે સાંભળ્યું છે કે ગોકુળના બધા નવજાત શિશુને મારી નાખવા કંસે હુકમ કર્યો છે. તમે વહેલી તકે ઘરે જાવ. નંદરાય આ સાંભળી ઉતાવળા ઉતાવળા ગોકુળ આવ્યા. ત્યાં  પૂતનાને મરેલી જોઇ. પૂતનાનું તેજ ભગવાનમાં ભળી ગયું. નંદરાયે પૂતનાનો અગ્નિસંસ્કાર કર્યો. ભગવાનને દુશ્મન જાણી વેર ભાવે ભજે તેનોય પ્રભુ ઉદ્ધાર કરે છે. પૂતના આગલા જન્મમાં બલિરાજાની પુત્રી રત્નમાલા હતી. વામનજીને જોઇ ખવડાવવાની ઇચ્છા થઇહતી. વામન ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કરી ત્રણ પગલાં પૃથ્વી, સ્વર્ગ અને ત્રીજું પગલું માપતાં બલિરાજાને પાતાળમાં ચાંપી દીધેલા. પોતાની સંપત્તિ, સ્વર્ગનુ6 રાજ્ય લઇ લીધેલું ત્યારે મનોમન રત્નમાલાએ નક્કી કરેલું કે આ વામનને મારી નાખીશ અને તેથી બીજા જન્મમાં પૂતના થઇ.

ભગવાનની પ્રેરણાથી યશોદાને યાદ આવ્યું કે રોહિણી તારા પ્રતાપે મારે ઘેર બાળકનો જન્મ થયો. તારો બાળ અને મારો બાળ બે ભાઇઓ. રોહિણીના બળદેવ અને યશોદાનો કનૈયો.

======================================================================================

શકટાસુર વધ

ભગવાન બાલકૃષ્ણને ચોથો મહિનો ચાલતો હતો. 108મો  દિવસ હતો. ત્રીજા અને ચોથા મહિનામાં બાળકને પોટી ફેરવવાની વિધિ કરવા હવેલીમાં લઇ જવામાં આવે છે. નંદરાયે યશોદા અને રોહિણીને કહ્યું,આજે લાલાનો પડખું ફેરવવાનો દિવસ છે. આખા ગોકુળગામને જમાડીએ. આપણા બગીચામાં ગાડામાં દૂધ, ઘી, મધના ઘડા ભરી રાખીએ અને તે ગાડા નીચે બન્ને ભાઇઓનાં પારણા બાંધીએ. આખા ગોકુળગામને નિમંત્રણ આપવામાં આવ્યુંછે અને બાલકૃષ્ણના પોટી ફેરવવાનો સંસ્કાર કરવાના છે. કંસને આ વાતની ખબર પડી. કંસે સભામાં પૂછ્યું, આ સારો અવસર છે. કૃષ્ણને મારવા કોણ જશે? એક રાક્ષસ જવા તૈયાર થયો. શક્ટાસુર નામનો રાક્ષસ કનૈયાને મારવાના આશયથી ગોકુળમાં આવ્યો. યશોદા અને રોહિણી રસોદામાં હતા. મિષ્ટાન્નની સુગંધ આવતી હતી. બગીચામાં ગાડા નીચે પારણામાં ઠાકોરજી અને બલરામ સૂતા હતા. શક્ટાસુર ભગવાનના પારણા નજીક જેવો આવ્યો તેવીબાલકૃષ્ણે  જમણા પગથી તેની છાતીમાં લાત મારી. ત્યાંને ત્યાં જ શક્ટાસુર મરી ગયો. તેના પડવાનો અવાજ સાંભળી યશોદાજી દોડતાં દોડતાં બગીચામાં આવ્યા. એક મોટો ભયંકર રાક્ષસ બગીચામાં પડેલો જોયો. કનૈયાને ઉપાડી લઇ છાતી સરસો ચાંપી દીધો. કનૈયા પર ગંગાજળ છાંટ્યું. જન્મના 108મા દિવસે જ  કનૈયાએ  શક્ટાસુરને માર્યો. શક્ટાસુરનો અગ્નિસંસ્કાર કર્યો.

===============================================

નોંધ: હવે તૃણાવર્ત રાક્ષસના વધનો પ્રસંગ આવશે.

 

 

જૂન મહિનામાં જન્મેલા ગુજરાતી સાહિત્યકારોની યાદી

Leave a comment

SAHITYAKAAR (JUNE  BORN)

  જૂન મહિનામાં જન્મેલા ગુજરાતી સાહિત્યકારોની યાદી

ક્રમ નામ જન્મ તારીખ પ્રયાણ દિવસ
1 જન્મશંકર.મ. બૂચ   30.06.1877 24.03.1947
2. ન્હાનાલાલ.દ.કવિ 17.06.1877 09.01.1946
3. પૂજાલાલ દલવાડી 17.06.1906 27.12.1985
4. રામપ્રસાદ શુક્લ 22.06.1907 14.04.1996
5. રણજિત પટેલ’અનામી’ 26.06.1918  
6. ‘ચન્દ્ર’પરમાર 26.06.1920 16.09.1944
7. મુકબિલ  કુરેશી 24.06.1925  
8. અબ્દુલ કરીમ શેખ 15.06.1935  
9. વૃજલાલ વઘાસિયા 26.06.1935  
10. રમેશ શાહ 10.06.1937  
11. ગભરુ ભડિયાદરા 15.06.1940  
12. પ્રતાપસિંહ રાઠોડ ‘સારસ્વત’ 01.06.1941  
13. શ્યામ સાધુ(શામળદાસ સોલંકી) 15.06.1941 16.12.2001
14. હરબંસ પટેલ’તન્હા’ 04.06.1945  
15. પ્રબોધ પરીખ 19.06.1945  
16. દિલેરબાબુ 14.06.1946  
17. નીલેશ રાણા 04.06.1947  
18. હર્ષદ ચંદારાણા 26.06.1947  
19. સરૂપ ધ્રુવ 19.06.1948  
20. રશીદ મીર 01.06.1950  
21. વિનોદ ગાંધી 08.06.1953  
22. ઉષા ઉપાધ્યાય 07.06.1956  
23. પથિક પરમાર 15.06.1956  
24. દત્તાત્રેય ભટ્ટ 08.06.1958  
25. જયંતિભાઇ નાયી 01.06.1962  
26. સંજય પંડ્યા 13.06.1963  
27. હરજીવન દાફડા 20.06.1963  
28. ભરત ભટ્ટ 21.06.1963  
29. મકરંદ  મુસળે 15.06.1965  
30. સલીમ શેખ ‘સાલસ’ 10.06.1966  
31. પ્રમોદ અહિરે 01.06.1974  
32. ચંદ્રેશમકવાણા   ‘નારાજ’ 01.06.1976  
   આ યાદીમાં સુધારા-વધારા કે ઉમેરો કરવામાં વાચકો સહકાર આપશો એવી નમ્ર અરજ સાથે ગોપાલ પારેખ     

 

નંદ ઘેર આનંદ ભયો…… //[દશમો સ્કંધ: શ્રીમદ્ ભાગવત સંક્ષેપ/હસુમતીબેન મેહતા]

Leave a comment

Shree krishna  janmakatha

નંદ ઘેર આનંદ ભયો……

[શ્રી કૃષ્ણ જન્મ કથા]

[દશમો સ્કંધ: શ્રીમદ્ ભાગવત સંક્ષેપ/હસુમતીબેન મેહતા]

દશમા સ્કંધને નિરોધ કહેવામાં આવે છે. દશમ સ્કંધને શ્રીનાથજીનું હ્રદય કહેવામાં આવે છે. દરેક માનવે પોતાના હ્રદયની ગતિને સંસારમાં જતી રોકીને ઇશ્વર તરફ વાળવા કોશિશ કરવી જોઇએ.

શ્રી કૃષ્ણ જન્મ કથા

શુકદેવજી કહે, હે પરીક્ષિત ! દશમા સ્કંધમાં પરમ કૃપાળુ શ્રીકૃષ્ણના જીવનની કથા હું તને કહી સંભળાવીશ.વસુદેવ અને દેવકીને ઘરે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો. વસુદેવ શ્રીકૃષ્ણને ગોકુળમાં નંદરાયને ઘરે મૂકી આવ્યા.

મથુરા એટલે માનવીની કાયા. વસુદેવ એટલે માનવીનો જીવ અને દેવકી એટલે માનવીની બુદ્ધિ. માણસ અંત:કરણપૂર્વક હ્રદયમાં રહેલા ભગવાનને સાક્ષાત્ કરવા પ્રયત્ન ક્રે તો બુદ્ધિ અને જીવ માનવને મદદ કરે. કૃષ્ણએ છઠ્ઠીના દિવસથી જ સંઘર્ષ શરુ કરી જીવન પર્યંત સંઘર્ષ જ કર્યો. બ્રહ્મા, શંકર, સરસ્વતી, દેવ્દેવીઓ ભગવાનની આરાધના કરવા ગયા. ભગવાને કહ્યું, હું મથુરામાં જન્મી ગોકુળમાં જવાનો છું. તમે બધા ગોપી અને ગોવાળિયા બની મને મારા કાર્યમાં મદદ કરવા આવજો.

મથુરાનો રાજા કંસ જુલ્મી હતો. કંસના અનેક જુલ્મો મથુરાની પ્રજા સહન કરે છે. ઉગ્રસેનની દીકરી દેવકીનું વેવિશાળ વસુદેવ સાથે થયું. રાજા ઉગ્રસેને દીકરીના લગ્ન લીધાં. દીકરીને ઘણું આપ્યું. દેવકીનો ભાઇ કંસ પોતાની બહેન ને વિદાય આપવા જાય છે. કંસ જાતે પોતાના બહેનબનેવીનો રથ હાંકવા બેઠો છે. એટલામાં આકાશવાણી થઇ, હે કંસ ! તારી બહેન દેવકીનો આઠમો ગર્ભ તારો કાળ બનશે. આકાશવાણી સાંભળી કંસ ગુસ્સે ભરાયો. તલવાર ઉગામી બહેનબનેવીને મારવા તૈયાર થયો. વસુદેવે કંસને કહ્યું, હે કંસ ! મેં તારી બહેન દેવકી સાથે લગ્ન કર્યા છે. હજી તો મીંઢળ છૂટ્યા નથી. લગ્ન પછી સંસાર ભોગવવાની અમારી ઇચ્છા છે. અમે અમારા જેટલા સંતાનો થાય તે તમને આપી દઇશું.દેવકી કહે, વસુદેવ ! મામો ભાણેજને કાંઇક ભેટ આપે તેને બદલે મારા બાળકો જ કંસને આપી દેવા? દેવકીને દુ:ખ થાય છે.

દેવકી-વસુદેવને પાંચ દીકરા થયા. એક દિવસ કંસ રાજસભામાં બેઠેલો. દેવકીના બાળકોને મારી નાખવાની યોજના કરે છે. તે જ વખતે નારદજી શ્રીમન્ન નારાયણ નારાયણ’નો જપ કરતાં કરતાં કંસની સભામાં આવે છે. કંસને જોતાં નારદજીએ કહ્યું, હે કંસ ! તમે કેમ આમ સુકાઇ ગયા છો? કંસે નારદજીને આકાશવાણીની વાત કરી. નારદજી કહે, હે કંસરાજા ! કોઇપણ વાત સાંભળો તેના પર ધીરજથી વિચાર કરજો. દેવકીનો આઠમો બાળક તમારો કાળ છે પણ તે આઠમો પહેલેથી કે છેલ્લેથી? કંસે આ સાંભળતાં જ દેવકી-વસુદેવના બધા પુત્રોને નારિયેળ વધેરીએ તેમ વધેરી નાખ્યા. વસુદેવ-દેવકીને જેલમાં પૂર્યા. દેવકી ખૂબ કલ્પાંત કરવા લાગ્યા. મારા નિર્દોષ બાળકોને મામાએ મારી નાખ્યા. વસુદેવ, દેવકીને ધીરજ આપતા કહે છે, હે દેવકી ! ઇશ્વરને જે ગમે તે સહન કરવું. હ્રદયમાં ઇશ્વરને રાખી તેનું સ્મરણ કરવું અને દુ:ખમાં ધીરજ રાખવી. એમ કરતાં કરતાં દેવકીના સાતમા ગર્ભની શરૂઆત થઇ. દેવકી-વસુદેવ ઇશ્વરનું આરાધન કરવા લાગ્યા. હે ભગવાન ! તમારા સિવાય અમારું કોઇ નથી ને જો તમારી સાચી ભક્તિ કરી હોય તો અમારા સંકટના સમયમાં અમારી વહારે ધાજો. ભગવાનના  ભક્તો ચાર પ્રકારના હોય છે. 1.આર્ત. અનેકવિધ પીડાતો. 2.જિજ્ઞાસુ 3.અર્થાર્થી  4.જ્ઞાની. દરેક પોતપોતાની રીતે ભગવાનની ભક્તિ કરે છે.

વસુદેવ  દેવકીને કહે છે, હે દેવકી ! ભગવાન પાસે કાંઇ ન માંગવું.ભગવાનનું ભજન કરો. ભગવાને યોગમાયાને કહ્યું, દેવકીના સાતમા ગર્ભને ખેંચી રોહિણીના ગર્ભમાં મૂકી આવ અને તું ગોકુળમાં યશોદાના પેટે જન્મ લે.

ગોકુળના રાજા નંદરાયને ઘરે અનેક ગાયો હતી પણ સંતાન ન હતું. નંદરાય શાંડિલ્ય ઋષિને કહે છે અમારી કુંડળી માંડો અને કહો કે અમારા નસીબ આવા કેમ? શાંડિલ્ય ઋષિએ કહ્યું, હે નંદરાય તમે અને યશોદાજી એકાદશીનું વ્રત કરો. નંદરાય અને યશોદા બારે મહિના એકાદશીનું વ્રત કરે છે.

યોગમાયાએ દેવકીના સાતમા ગર્ભને રોહિણીના પેટમાં મૂકી દીધો અને યશોદાના પેટે જન્મ લીધો. ભગવાન દેવકીના આઠમા ગર્ભમાં રહ્યા. વસુદેવ-દેવકી દિવસ-રાત ઇશ્વરસ્મરણ કરે છે. નંદરાય અને યશોદા એકાદશી વ્રત કરે છે. દશ માસ ને દશ દિવસ થયા છે, ઝરમર ઝરમર વરસાદ વરસે છે. બ્રાહ્મણો વેદ મંત્રો બોલે છે. જેલના ચોકીદારો યોગનિદ્રામાં પડ્યા છે.( ઘોરે છે.) શ્રાવણ વદ આઠમને બુધવાર, રોહિણી નક્ષત્ર, રાત્રે બાર વાગ્યે મથુરાની જેલમાં પરમકૃપાળુ પરમાત્મા ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. વસુદેવ-દેવકીએ ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા.  હે પ્રભુ !  આપ આપનું ચતુર્ભુજ સ્વરૂપ સંકેલી લો. ભગવાન કહે, હે વસુદેવ-દેવકી ! ત્રણ જન્મથી તમે મારી આરાધના કરતા હતા. જ્યારે તમે અદિતિ અને કશ્યપના સ્વરૂપે હતા ત્યારે તમારે ત્યાં વામન સ્વરૂપે મેં જન્મ લીધેલો. પાંચ વર્ષની ઉંમરે માતાપિતાનો ત્યાગ કરી ઇશ્વરાઅરાધના અર્થે ચાલી નીકળેલો. આજે તમારી આશા પૂરી કરવા હું તમારા બાળક તરીકે આવ્યો છું. હું મારું ચતુર્ભુજ સ્વરૂપ સંકેલી બાળસ્વરૂપ ધારણ કરું છું. જુઓ, સામે કરંડિયો પડ્યો છે. તેમાં મને મૂકી ગોકુળ લઇ જાવ. ત્યાં યશોદા માતાને દીકરી જન્મી છે. તેને લાવી મારી જગ્યાએ મૂકી દેજો. પરમ કૃપાળુ પરમાત્માએ ચતુર્ભુજ સ્વરૂપ સંકેલી લીધું અને બાળ સ્વરૂપ ધારણ કર્યું. વસુદેવે બાળકૃષ્ણને કરંડિયામાં મૂક્યા. પીળું વસ્ત્ર ઓઢાડ્યું. ચુંબન કર્યું. માથા પર કરંડિયો મૂકી જેવા નીકળ્યા કે જેલના દરવાજા આપોઆપ ખૂલી ગયા. પહેરેદારો યોગનિદ્રામાં પોઢી ગયા. ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. શેષનાગે બાળકૃષ્ણ પર છાયો કર્યો. મહારાણી યમુના બાળકૃષ્ણના ચરણસ્પર્શ કરવા જોર જોરથી ઊછળવા લાગ્યા. વસુદેવ યમુનાજીમાં ઊતર્યા. બાળકૃષ્ણના જમણા પગના અંગૂઠાને મહારાણી યમુનાએ સ્પર્શ કરી લીધો. ધીમે ધીમે યમુનાનો વેગ શાંત થયો અને વસુદેવને યમુનાજીએ માર્ગ કરી આપ્યો. વહેલી સવારે ધીમે ધીમે વસુદેવ ગોકુળ પહોંચ્યા. યશોદાના પડખામાં સૂતેલી દીકરી સ્વરૂપ યોગમાયાને લઇ તેની જગ્યાએ બાળકૃષ્ણને મૂકી વસુદેવ મથુરા પાચા આવી ગયા.

યોગમાયાને દેવકીના પડખામા6 મૂકી. ચોકીદારો એ જાગીને કંસને ખબર આપી કે દેવકીએ દીકરીને જન્મ આપ્યો છે. તરત જ કંસે આવી યોગમાયાને બે પગથી પકડી પથ્થર પર પછાડવા જતો હતો ત્યાં જ યોગમાયા આકાશમાં જઇ પહોંચી અને કંસને કહેતી ગઇ. હે કંસ ! તારો વેરી તો ક્યારનો કોઇક સ્થળે જન્મી ચૂક્યો છે.

નંદરાયના ઘર આગળ દૂધના ઘડા લઇ ગોવાળિયાઓ  બાળજન્મની વધામણીની રાહ જુએ છે. યશોદાની બહેને બહાર આવી નંદરાયને વધાઇ આપી લાલો ભયો હૈ નંદરાયના ગળામાં મોંઘી માળા હતી તે યશોદાની બહેનને આપી દીધી.(ન્યોછાવર કરી દીધી) . વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી નાળછેદનવિધિ કરાવ્યો. પુત્ર જન્મની ખુશાલીમાં નંદરાયે બ્રાહ્મણોને ગાયો દાનમાં આપી. સારાયે ગોકુળમાં જાહેરાત થઇ કે નંદરાયને ઘરે યશોદાને પેટે  લાલાનો જન્મ થયો છે નેઆખું  ગોકુળગામ ગાંડુ થયું છે ને જોરજોરથી ગાય છે નંદ ઘેર આનંદ ભયો હૈ, જય કનૈયા લાલકી. ભગવાન બાળકૃષ્ણનો  જન્મ થયો.

શુકદેવજી કહે, હે પરીક્ષિત ! આ તારો પાંચમો દિવસ છે. ગોકુળમાં ઠાકોરજીના પ્રાદુર્ભાવમાં ગોકુળગામ આખું ગાંડું થયું છે. લાખો ગાયોના માલિક, અઢળક સંપત્તિ છતાં નંદરાયને ઘરે આજદિન સુધી શેર માટીની ખોટ હતી. ભગવાન બાળકૃષ્ણના જન્મથી નંદરાય-યશોદાના આનંદની સીમા ન રહી.

માતા યશોદા પાસે એક દિવસ સર્પધારી બાવો આવ્યો. યશોદા માતાને કહે, હે માતા ! મારે તમારા લાલાના દર્શન કરવા છે. યશોદા મનોમન વિચારવા લાગ્યા કે આ બાવાને જોઇ મારો લાલો ડરી જશે. તેથી નંદરાયને કહ્યું બાળજન્મનો ઉત્સવ મનાવવા ઋષિ આવ્યા છે. એમને દક્ષિણા આપી દો. બાવો કહે, મા ! મારે દક્ષિણા નથી જોઇતી. મારે તો લાલાના દર્શન કરવા છે. અંદર બાળકૃષ્ણ રડવા રડવા લાગ્યા. માતા યશોદા ઘણા વાના કરે છે પણ કનૈયો છાનો રહેતો નથી. બાવાજી કહે, બાળકને અહીં લાવો. મારી પાસે બાળકને છાનો રાખવાનો મંત્ર છે. યશોદાજી કહે, બાવાજી દૂર ઊભા રહો, હું મારા બાળકને લઇને આવું છું. બાવાજી પણ રડવા લાગ્યા. બાળક બાવાજીને જોતાં જ હસવા લાગ્યું. બન્ને હસ્યા. બાવાજી સાક્ષાત્  શિવજી હતા.ઠાકોરજીના બાળ સ્વરૂપનાં દર્શન કરવા આવેલા.હરિ અને હર મળ્યા, સાથે રડ્યા, સાથે હસ્યા.

આ બાજુ મથુરામાં કંસે વિચાર કર્યો, મારો વેરી જન્મી ચૂક્યો છે તો આજે મારા રાજ્યમાં જન્મેલા તમામ બાળકોને મારી નાખો. આજે ચૌદશ હતી. બાળ કનૈયાની છઠ્ઠી હતી. વિધાતા આજે કનૈયાના લેખ લખવાની હતી. અનેક પ્રકારની તૈયારીઓ ગોકુળમાં થઇ રહી હતી. આજના ઉત્સવમાં ભાગ લેવા માનવમહેરામણ ઊમટ્યો હતો.

===============================================

નોંધ: હવે પછી પૂતનાવધનો પ્રસંગ આવશે.           

શકુંતલા અને દુષ્યંતની કથા (નવમો સ્કંધ: શ્રીમદ્ ભાગવત સંક્ષેપ/હસુમતીબેન મેહતા)

Leave a comment

 

શકુંતલા અને દુષ્યંતની કથા

(નવમો સ્કંધ: શ્રીમદ્ ભાગવત સંક્ષેપ/હસુમતીબેન મેહતા)

શુકદેવજી કહે, હે પરીક્ષિત ! પરશુરામ અને રામની કથા પછી હવે હું તને શકુંતલા અને દુષ્યંતની કથા કહીશ.

વૃષપર્વા નામે એક રાજા, તેને શર્મિષ્ઠા નામની દીકરી. તે પોતાની સખીઓ સાથે વનમાં ફરવા ગઇ. દેવયાની રાજગુરુની દીકરી, તે પણ શર્મિષ્ઠાની બહેનપણી. વનમાં એક સુંદર સરોવર . શર્મિષ્ઠા બધી બહેનપણીઓ સાથે નાહવા સરોવરમાં પડી. સરોવર પાસે શિવજી આવ્યા. કન્યાઓ શરમાણી. શર્મિષ્ઠાએ ભૂલમાં દેવયાનીના કપડા પહેરી લીધા. દેવયાની કહે,અમે બ્રાહ્મણ બીજાના કપડા પહેરતા નથી. દેવયાની ગુરુ શુક્રાચાર્યની દીકરી હતી શ્ર્મિષ્ઠા અને તેની બહેનપણીઓએ દેવયાનીને નિવસ્ત્ર કરી કૂવામાં નાખી દીધી, અને ચાલી નીકળી. દેવયાની કૂવામાં પડી પડી બચાવો-બચાવો એમ બૂમ પાડતી હતી. કૂવા પાસેથી રાજા યયાતિ પસાર થતાં, તેણે આ બૂમ સાંભળી. યયાતિએ કન્યાને મદદ કરવા પોતાનો ખેસ કૂવામાં નાખ્યો અને દેવયાનીએ અર્ધો ખેસ શરીર પર વીંટી લીધો અને અર્ધાથી યયાતિ એ દેવયાનીને બહાર ખેંચવા માંડી. દેવયાનીનો જમણો હાથ પકડી યયાતિએ તેને કૂવામાંથી બહાર કાઢી. દેવયાનીએ યયાતિને કહ્યું, તમે મારો જમણો હાથ પકડ્યો છે તેથી હું તમને જ વરીશ. યયાતિએ કહ્યું,અમે ક્ષત્રિય અને તમે બ્રાહ્મણ. તારા પિતાજી આ વાત સહન નહીં કરી શકે. દેવયાની કહે,  મને કચનો શાપ છે તેથી કોઇ બ્રાહ્મણ મને નહીં વરે, માટે બાધ નથી. શુક્રાચાર્યે વૃષપર્વા પાસે જઇ કહ્યું,  હે રાજા ! તારી દીકરી શર્મિષ્ઠાએ મારી દીકરી દેવયાની ને કૂવામાં નાખી દીધેલી. આજથી હું તમારા ગુરુપદનો ત્યાગ કરું છું. શર્મિષ્ઠા અને યયાતિ સંબંધ થયો. દેવયાનીને ખબર પડતાં પોતાના પિતા શુક્રાચાર્યને વાત કરી. ગુસ્સે ભરાયેલા શુક્રાચાર્યે યયાતિને શાપ દીધો.હે રાજા યયાતિ ! તારી આ ભરજુવાનીમાં ઘડપણ આવી જશે. તારો દીકરો પોતાની જુવાની તને આપી દે તો જ ફરી જુવાની પ્રાપ્ત થશે. યયાતિની નજર પોતાના દીકરા યદુ પર પડી. યદુ કહે, પિતાજી, સાઠે બુદ્ધિ નાઠી લાગે છે ! યદુએ પોતાની જુવાની આપવાની ના પાડી. યયાતિએ કહ્યું, યયાતિને રાજગાદી નહીં મળે. યદુ વંશમાં પરમ કૃપાળુ પરમાત્મા શ્રીકૃષ્ણનો જન્મ થયો. શુકદેવજી કહે, હે પરીક્ષિત ! આજે તારો ચોથો દિવસ પૂરો થાય છે. હવે હું જે વાત કરું છું તે તું ધ્યાનથી સાંભળ.

80 વર્ષના વિશ્વામિત્ર તપ કરે છે. શરીર ઘસાતું જાય છે. આવરદા પૂરી થતી જાય છે છતાં તપના બળથી ઇન્દ્ર ડરે છે. તેણે સ્વર્ગની અપ્સરા મેનકાને કહ્યું, જા પૃથ્વી પર અને ઋષિ વિશ્વામિત્રના તપનો ભંગ કરાવ. વિશ્વામિત્ર જ્યાં તપ કરે છે ત્યાં 16 વર્ષની મેનકા આવી નૃત્ય કરવા લાગી. તેનો ગાવાનો ને ઝાંઝરનો અવાજ સાંભળી વિશ્વામિત્ર તપભંગ થયા. તેમનું પતન થયું. મેનકા સાથે સંબંધ થયો. પરિણામે એક દીકરી થઇ. દીકરીને જંગલમાં એકલી મૂકીને વિશ્વામિત્ર અને મેનકા ચાલ્યા ગયા. જંગલનાં પક્ષીઓએ બાળકીને મોટી કરી તેનું નામ શકુંતલા પાડ્યું. જંગલમાં અનાથ છોકરીને કણ્વ ઋષિએ જોઇ. તે બાળકીને પોતાના આશ્રમમાં લાવ્યા. દીકરી શકુંતલા કણ્વ ઋષિના આશ્રમમાં જોતજોતામાં મોટી થતી ગઇ. રાજા દુષ્યંત શિકાર કરતો કરતો કણ્વ ઋષિના આશ્રમમાં આવ્યો. શકુંતલાને જોઇ. બંને ગાંધર્વવિવાહથી જોડાઇ ગયા.

શકુંતલા આજે સાસરે જવાની છે. આશ્રમના તપસ્વી બાળકોએ આજે વેદોચ્ચાર કરવો છોડી દીધો છે. હરણાંઓએ ઘાસ ખાવાનું છોડી દીધું છે. શકુંતલા પિતા કણ્વને પગે લાગે છે. કણ્વ ધ્રૂસ્કએ ધ્રૂસકે રડે છે. કણ્વ શકુંતલાને કહે છે, હે દીકરી ! તું મારી પાલકપુત્રી, તને સાસરે વળાવતા મને આટલું દુ:ખ થાય છે તો જન્મ દેનાર માતાને કેટલું દુ:ખ થતું હશે? શકુંતલા સગર્ભા છે. સગર્ભા દીકરીને સાસરે વળાવવા ગયા. દુષ્યંત રાજા શકુંતલાને જોઇ કહે,કોણે લગ્ન કર્યા છે? લગ્નની વાત રાજા ભૂલી ગયો. શકુંતલાએ કહ્યું, તમે વીંટી બદલાવી છે. શકુંતલા પોતાના હાથમાં દુષ્યંત વીંટી બતાવવા જાય છે, પણ હાથમાં વીંટી ન હતી. શકુંતલાના હાથની વીંટી નદી પાર કરતાં માછલી ગળી ગ ઇ હતી. શકુંતલાનો દુષ્યંતે અનાદર કર્યો. શકુંતલાએ વનમાં આશ્રમમાં દીકરાને જન્મ આપ્યો તેનુ6 નામ ભરત પાડ્યું. સમય જતાં એક માછીમાર રાજદરબારમાં વીંટી લઇને આવ્યો. વીંટીને જોતાં જ દુષ્યંતને શકુંતલા સાથેના લગ્ન યાદ આવી ગયા. રાજા દુષ્યંત જંગલમાં જઇ શકુંતલા અને ભરત્ને પોતાના રાજ્યમાં લઇ આવ્યા.

===========================================

નોંધ: હવે દશમ સ્કંધની કથા — જેમાં કૃષ્ણ જન્મ ની કથા આવશે.     

રામાવતાર // નવમો સ્કંધ: શ્રીમદ્ ભાગવત સંક્ષેપ/હસુમતીબેન મેહતા

Leave a comment

RAAMAAVATAR

રામાવતાર

નવમો સ્કંધ: શ્રીમદ્ ભાગવત સંક્ષેપ/હસુમતીબેન મેહતા

પરશુરામના નામથી ક્ષત્રિયો ધ્રૂજતા હતા. પરશુરામે એક પોતાનું ધનુષ્ય જનક રાજાને ભેટ આપેલું અને કહેલું ,હે રાજા, મારું આ ધનુષ્ય કોઇ તોડે નહીં.

જનકરાજાએ નક્કી કર્યું કે આ ધનુષ્ય કોઇની તાકાત નથી કે તોડી શકે પણ કોઇ ધનુષ્યને તોડે નહીં પણ ચડાવે તેને હું મારી દીકરી સીતા પરણાવીશ. અનેક રાજાઓ સીતા સ્વયંવરમાં આવ્યા. આ ધનુષ્યને પણછ ચડાવવા પ્રયત્ન કર્યો પણ વ્યર્થ. જનકરાજા કહે, મને લગે છે કે ધરતી પર નરવીરો રહ્યા જ નથી? રાજાઓમાં પહેલાના જેવી શૂરવીરતા રહી નથી?  આ વાત ચાલે છે ત્યાં રામ લક્ષ્મણને લઇ વિશ્વામિત્ર જનકના દરબારમાં આવીને રામને ધનુષ્ય ચડાવવા કહ્યું, રામે ધનુષ્યને ફૂલને ઉપાડતા હોય તેમ ઉપાડી લીધું. ઉપાડતાંની સાથે જ ધનુષ્ય તૂટી ગયું.  ધનુષ્યના તૂટવાનો અવાજ પરશુરામે સાંભળ્યો. દોડ્તાં દોડતાં જનકપુરીમાં આવ્યા. સીતા અને રામનાં લગ્ન થઇ ગયા હતા. પરશુરામને જોઇ દશરથ રાજા પણ થરથર ધ્રૂજવા લાગ્યા. એકવીસ વખત જેણે ક્ષત્રિયોનો સંહાર કર્યો છે એનાથી ક્યો ક્ષત્રિય ન ડરે? દશરથે રામને કહ્યું,પરશુરામ ગુસ્સે થયા છે. રામે ખૂબ ધીરજથી જવાબ આપ્યો, હે મુનિ ! તમે નાહકના હ્રોધ ન કરો. તમારું ધનુષ્ય તૂટી ગયું તેમાં મારો વાંક નથી. અતિશય જૂનું હોવાથી ઉપાડતા વેંત જ તૂટી ગયું પરશુરામ રામની વાત સાંભળી થોડા શાંત થયા. તેણે રામને વિષ્ણુનું ધનુષ્ય આપ્યું અને કહ્યું આ વિષ્ણુના ધનુષ્યને ચડાવી બતાવ. રામે વિષ્ણુનું ધનુષ્ય પણ પળવારમાં ચડાવી બતાવ્યું. પરશુરામ રામના પગમાં પડ્યા. પરશુરામને સમજાયું કે હવે આ જગતમાં મારું કાર્ય પૂરું થાય છે. રામે પરશુરામને કહ્યું,મેં વિષ્ણુનું ધનુષ્ય ચડાવ્યું પણ મારું ક્યાં? રામનું બાણ એળે ન જાય. પરશુરામે કહ્યું,  હે રામ તારું ચડાવેલું બાણ ઉત્તર દિશામાં માર. હું પણ ઉત્તરમાં જ જાઉં છું. પરશુરામ ચાલ્યા ગયા. કહેવાય છે , પરશુરામ કર્મથી હજી પણ જીવે છે. પરશુરામ ગયા અને રામ આવ્યા.

શુકદેવજી કહે, હે પરીક્ષિત ! હવે હું તને ભગવાન રામની કથા કહીશ. બાહુક નામે એક રાજા હતા. દુશ્મનોએ તેનું રાજ્ય જીતી લીધેલું. તેથી પોતાની પત્ની સાથે વનમાં ચાલ્યા ગયા. વનમાં દુશ્મનોએ રાજા બાહુકને મારીનાખ્યા. જંગલમાં તેની રાણી પતિ પાછળ સતી થવા તૈયાર થયા. તે જ વખતે એક ઋષિઓનું ટોળું ત્યાં આવ્યું. તેઓએ જોયું કે એક સ્ત્રી પોતાના પતિ પાછળ સતી થવા તૈયાર થઇ છે, સ્ત્રી સગર્ભા છે. ઋષિઓએ કહ્યું, સ્ત્રી સગર્ભા હોય તે સતી ન થઇ શકે. ગર્ભ કાઢી લીધા પછી જ સતી થઇ શકે. રાણીએ બાળકને જન્મ આપ્યો. બાળકનું નામ સગર રાખ્યું. ગર એટલે ઝેર . સગર એટલે ઝેરવાળું આમ ઝેર આપીને જેનો જન્મ થયો તેથી સગર કહેવાયો. સગર મોટો થયો. તેણે એક યજ્ઞ કર્યો. ઇન્દ્રે સગરના ઘોડાને બાંધી દીધો. સગરના દીકરાઓ ઘોડો શોધવા નીકળ્યા. પાછા વળતાં કપિલના આશ્રમ પાસે યજ્ઞનો ઘોડો જોયો, તેમણે કપિલ મુનિનું અપમાન કર્યું. એ અપરાધથી અનાયાસે બળીને ભસ્મ થઇ ગયા. આ અકાળે મરેલા દીકરાઓની સદ્ ગતિ કરવા માટે ગંગાજી સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવવી જરૂરી હતી કારણકે આ સગરના દીકરાઓની ભસ્મ પર ગંગાજળનો છંટકાવ કરવામાં આવે તો જ સદ્ ગતિ થાય.

સગર રાજાની ત્રીજી પેઢીએ ભગીરથ રાજા થયા. તેમણે પોતાના પિતૃઓના ઉદ્ધાર્માટે ગંગામાતાનું તપ કર્યું. ગંગાજી ભગીરથ રાજા પર પ્રસન્ન થયા. ભગીરથે કહ્યું, હે માતા ! અમારા પૂર્વજોના ઉદ્ધાર માટે આપ પૃથ્વી પર પધારો. ગંગાજી કહે, મારો વેગ એટલો બધો છે કે મને પૃથ્વી પર ઝીલનાર કોઇ નહીં હોય તો પાતાળમાં પહોંચી જઇશ. ભગીરથ રાજાએ શિવજીની આરાધના કરી ,શિવજી પ્રસન્ન થયા અને ગંગાજીના વેગને શિવજી પોતાના મસ્તક પર ઝીલવા તૈયાર થયા. ગંગાજી કહે, મારા પવિત્ર જળમાં પૃથ્વીવાસીઓ સ્નાન કરશે અને મારું જળ અપવિત્ર થશે. તેથી મારી ઇચ્છા પૃથ્વી પર આવવાની નથી. ભગીરથે કહ્યું, ભગવાનને હ્રદયમાં ધારણ કરનાર સંતો તારામાં સ્નાન કરશે ત્યારે ભગવદ્  ચરણસ્પર્શથી તારાં તે પાપ દૂર થઇ જશે. ગંગાજી તૈયાર થયા. શિવજીએ પોતાની જટા છૂટી મૂકી. ગંગાજી શિવજીની જટામાં પ્રથમ આવ્યા તે પછી સૌથી પહેલાં પૃથ્વી પર હરિદ્વારમાં આવ્યા, જ્યાં સગરના દીકરાઓ બળી ગયા હતા તે જગ્યા પર ગંગાનાં પાણી ફરી વળ્યાં. સગરના દીકરાઓનો ગંગાજીના પાણી અડતાં જ ઉદ્ધાર થયો. ભગીરથ રાજાએ ગંગાને પૃથ્વી પર ઉતાર્યા તેથી ગંગાનું નામ ભાગીરથી પડ્યું. પરીક્ષિત કહે, હે શુકદેવજી ! તમે મને હવે શ્રીરામની કથા કહો.. શુકદેવ કહે, સગર વંશમાં એક દિલીપ નામે રાજા થયા. તેના પુત્ર રઘુરાજા. રઘુનો અજ અને અજને ઘરે દશરથનો જન્મ થયો, અને દશરથ રાજાને ઘેર રામે જન્મ લીધો. પરીક્ષિતે શુકદેવજીને પૂછ્યું, ભગવાન રામે દશરથ રાજાને ઘેર જ કેમ જન્મ લીધો તે મને કહો. શુકદેવજી કહે, હે પરીક્ષિત ! પૂર્વ જન્મમાં દશરથ એક બ્રાહ્મણ હતા. તેર વર્ષની ઉંમરથી તે બ્રાહ્મણપુત્ર દરરોજ એક હજાર આઠ તુલસીપત્ર ચૂંટી ઠાકોરજીને ચડાવી પછી જ ભોજન કરતો. બ્રાહ્મણની ઉંમર પચ્ચીસ વર્ષની થઇ ત્યારે તેના લગ્ન થયા. પોતાની પત્નીને બ્રાહ્મણે પોતાના વ્રતની વાત કરી અને નિયમ સમજાવ્યો. પત્ની પણ પોતાના પતિના વ્રતમાં જોડાઇ. આમ તુલસી વડે આરાધના કરતાં સાત વર્ષ વીતી ગયા. બ્રાહ્મણ હવે બત્રીસ વર્ષનો થયો. એક દિવસ તેની પત્નીએ તેને  પૂછ્યું,   તમે ભગવાનના પરમ ભક્ત છો. હું પણ તમારા નિયમને અનુસરૂં છું પરંતુ આપણે ત્યાં બાળક કેમ નથી? બ્રાહ્મણે પત્નીને કહ્યું, ભૂલી જા. માણસે સતત ઇશ્વર સ્મરણ કરવું એમ કરતાં કરતાં બ્રાહ્મણ ચોપન વર્ષનો થયો. એક દિવસ રાત્રે બ્રાહ્મણને ખૂબ તાવ આવ્યો. પત્નીને કહ્યું, મને ગોદડું ઓઢાડ. આખી રાત તાવ રહ્યો. રોજના નિયમ પ્રમાણે વહેલી સવારે ચાર વાગ્યે ઊઠી સ્નાન કરી તુલસી ચૂંટવા જવાનું . પત્ની કહે,   તાવવાળા શરીરે એકલા જવું ઠીક નથી. હું પણ તમારી સાથે આવું. બ્રાહ્મણે તાવને વિનંતી કરી,  તાવ ! થોડીવાર માટે તું હટી જા ! મારે નિયમ પ્રમાણે ભગવાનની પૂજા કરવી છે. હે ઇશ્વર ! મને શક્તિ આપો. બ્રાહ્મણ તુલસી ચૂંટતાં ચૂંટતાં ઇશ્વરસ્મરણ કરતો હતો. ભગવાનની પૂજા કરવા જતો હતો ત્યાં પત્નીએ કહ્યું, તમને તાવ આવ્યો છે. હું તમારી સાથે આવું. બ્રાહ્મણે પોતાની પત્નીને ના કહી. રસ્તામાં બ્રાહ્મણ જતો હતો ત્યાં બચાવો-બચાવો એવી કોઇ સ્ત્રીની બૂમ તેને સંભળાઇ. બ્રાહ્મણ સ્વસ્થ થઇ કાન દઇ સાંભળવા લાગ્યો. જમણી બાજુથી અવાજ આવતો લાગ્યો. તે જમણી તરફ ગયો. જોયું તો ગુફામાં એક સ્ત્રી પાણી-પાણી કરતી હતી. ઠાકોરજીને ચડાવવાનું જળ તે સ્ત્રીના મોઢામાં મૂક્યું. હજી વધુ આપો સ્ત્રીએ કહ્યુંબ્રાહ્મણે પૂછ્યું,તમે કોણ છો? હું તમને કઇ રીતે ઉપયોગી થઇ શકું? સ્ત્રી બોલી,હું પિશાચિની છું. નીચ કર્મ કરનારી છું. મારો જીવ જતો નથી. સ્ત્રીનું શરીર ઊછળવા લાગ્યું. જીવ જતો ન હતો. બ્રાહ્મણે કહ્યું, આજ દિન સુધી મેંએકાદશી વ્રત કર્યું હોય તો આ જીવ શાંત થાય.. તરત જ તે પિશાચિનીનો જીવ શાંત થયો. શબને અડવાથી સૂતક લાગે. સૂતકમાં ઠાકોરજીની સેવા ન થઇ શકે. આજે બ્રાહ્મણની ઠાકોરજીની સેવા પડી. આજુબાજુથી બ્રાહ્મણોને બોલાવી અગ્નિસંસ્કાર કર્યા. બ્રાહ્મણે અગ્નિદેવને પ્રાર્થના કરી, હે અગ્નિદેવ, મારા આ સગા આવે છે તેનો સ્વીકાર કરો. અગ્નિદેવે બ્રાહ્મણને કહ્યું, હે બ્રાહ્મણ ! તેં ભગવાનની નિયમિત નિષ્ઠાપૂર્વક પૂજા કરી છે. તારી પત્ની પુત્રની ઝંખના રાખે છે. આવતા જન્મમાં તુ રાજા દશરથ થઇશ. તારી પત્ની  પટરાણી થશે. ઇશ્વર તારે ઘેર પુત્ર થઇને અવતરશે.

બીજા જન્મમાં બ્રાહ્મણ દશરથ રાજા થયા. તેની સ્ત્રી પટરાણી કૌશલ્યા થયા. દશરથને ત્રણ રાણી હતી. કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી. દશરથ અને કૌશલ્યાના સહયોગથી ચૈત્ર સુદ નોમને દિવસે પુનર્વસુ નક્ષત્રમાં પરમ કૃપાળુ પરમાત્મા રામચંદ્રજીનો જન્મ થયો. દશરથ રાજાને ત્યાં ઘણી મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો.તે પછી સુમિત્રાથી લક્ષ્મણ અને શત્રુઘ્ન અને કૈકેયીથી ભરતનો જન્મ થયો.  આમ દશરથ રાજાને ત્યાં ચાર દીકરા થયા. સૌથી  મોટા રામ હતા. રામના જન્મ પછી અયોધ્યામાં વિશ્વામિત્ર દશરથ રાજા પાસે આવ્યા. કૌશલ્યાએ દશરથને કહ્યું,ચારેય રાજકુમારોને વિશ્વામિત્ર પાસે લઇ જઇ તેમના આશીર્વાદ લઇએ. બધા રાજકુમારો વિશ્વામિત્ર પાસે આવ્યા. ચારી વિશ્વામિત્રને પ્રણામ કર્યા. રાજા દશરથે  વિશ્વામિત્રને પ્રણામ કરી પૂછ્યું, હે મુનિ, વિશ્વામિત્ર ! આપને અમે શી દક્ષિણા આપીએ?વિશ્વામિત્રે કહ્યું, જંગલમાં રાક્ષસો યજ્ઞ કરવા દેતા નથી. યજ્ઞમાં અનેક વિઘ્નો નાખે છે. તમારા મોટા બે દીકરાને તે રાક્ષસોનો સંહાર કરવા મારી સાથે મોકલો. દશરથ રાજાએ વિશ્વામિત્રની વાતનો સ્વીકાર કર્યો. રામ અને લક્ષ્મણને વિશ્વામિત્ર સાથે મોકલ્યા. વિશ્વામિત્ર વિચારે છે કે આ બે રાજકુમારો પારકી થાપણ છે, તેનું ગમ્મે તેવી  મુશ્કેલીમાં રક્ષણ કરવું પડે અને યોગ્ય સમયે તેના માતાપિતાને પાછા સોંપવા પડે. વિશ્વામિત્રે રામ અને લક્ષ્મણને ધુર્વિદ્યા શીખવી. અનેક પ્રકારનું જ્ઞાન આપ્યું. રામ-લક્ષ્મણ આશ્રમની ચોકી કરતાં ને જંગલના કનડતા રાક્ષસોનો સંહાર કરતા.

જનકપુરીમાં જનકરાજાને ત્યાં દીકરી સીતાનો જન્મ થયો. સીતા દિવસે દિવસે મોટી થવા લાગી.

ઉંમરલાયક થતાં જનકરાજાએ સ્વયંવર રચ્યો. જનકરાજાને પરશુરામે શિવજીનું એક ધનુષ્ય આપ્યું હતું અને કહેલું કે આ ધનુષ્ય જે ઉપાડે તેની સાથે દીકરી સીતાનાં લગ્ન કરજો. વિશ્વામિત્રે વિચાર્યું, આ સુંદર મોકો છે હું આ બે રાજકુમારોને લઇ સ્વયંવરમાં જઉં.

જનકપુરીમાં સીતાના સ્વયંવરની જાહેરાત થતાં અનેક રાજાઓ આવ્યા. બધાનો સત્કાર કરવા જનક ઊભા હતા. એક વિમાનમાં બેસી રાજા રાવણ પણ આવ્યો. જનકે તેનો સત્કાર કર્યો. વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઇ સાદા વેશમાં સ્વયંવરમાં આવ્યા. બન્ને બાળકો જોઇ જનકરાજાએ કહ્યું, આ બાળકો ક્ષત્રિય હોય તો મારી દીકરી તેમને જરૂર પસંદ કરી શકે છે. ક્રમ અનુસાર શિવજીનું ધનુષ્ય તોડવા એક પછી એક રાજાઓ આવ્યા, પણ કોઇ શિવજીના ધનુષ્યને તોડી ન શક્યા. જનક બોલ્યા, શું આ સભામાં કોઇ નરવીર જ નથી? સાંભળતાં જ લક્ષ્મણ ગુસ્સે થઇ ગયા. ઊભા થઇ બોલ્યા,મારા મોટાભાઇઅને ધનુષ્ય આપો. રામે શિવજીના ધનુષ્યને ઘડીના છઠ્ઠા ભાગમાં ટુકડે ટુકડા કરી નાખ્યા. જનકરાજાએ પૂછ્યું,આ શૂરવીર બાળક કોણ છે?  દશરથ રાજા નો દીકરો રામ છે.જનકરાજાએ કહ્યું, દશરથરાજાને ખબર આપો કે શિવધનુષ તોડનાર નરવીર તમારા દીકરા રામને મારી દીકરી સીતા સાથે પરણાવો.

દશરથ રાજા વાજતે ગાજતે જનકપુરી આવ્યા. રામના સીતા સાથે લગ્ન થયા. દશરથ રાજાની છાતી આનંદથી ગજગજ ફૂલી સમાતી ન હતી.

એક વખત કૈકેયીના પિતાએ સંદેશો મોકલ્યો કે દીકરા ભરતને અમારે ત્યાં થોડો વખત મોકલો. ભરતને દશરથ રાજાએ મોસાળ મોકલ્યા.

દશરથ રાજા હવે સાઇઠ  વર્ષના થયા હતા. હાથપગ કાંપવા લાગ્યા હતા. ગુરૂ વશિષ્ઠને કૌશલ્યાએ પૂછ્યું,હે ગુરૂદેવ, રાજા દશરથના હાથ કેમ ધ્રૂજે છે? વશિષ્ઠે કહ્યું,હવે રામને રાજગાદી પર બેસાડો અને રાજા દશરથને નિવૃત થવા દો.

ગુરૂ વશિષ્ઠના કહેવા મુજબ સારો દિવસ જોઇ રામનો રાજ્યાભિષેક કરવાનું દશરથે નક્કી કર્યું. રાણી કૈકેયીની દાસી મંથરા કૈકેયીને કહે છે, હે રાણી મા ! ભરતની ગેરહાજરીમાં રામને દશરથ રાજા ગાદી પર બેસાડશે. હે કૈકેયી ! તમારે રાજા દશરથ પાસે બે વરદાન માંગવાના બાકી છે તે માંગી લો. આજે સારો મોકો છે. એક તો ભરતને રાજગાદી અને બીજું રામને ચૌદ વર્ષનો વનવાસ. રાજા દશરથ સાંજે કૈકેયીની સાથે ભોજન લેવા પધાર્યા. ત્યાં મોકો જોઇને કૈકેયીએ દશરથને યાદ કરાવ્યું કે,મારે તમારી પાસે બે વરદાન માંગવાના છે. આજે મારી ઇચ્છા બન્ને વરદાન માગી લેવાની છે. દશરથે કહ્યું,માગી લે. કૈકેયીએ કહ્યું, પહેલું વરદાન ભરતને રાજગાદી આપો ને બીજું રામને ચૌદ વર્ષ વનવાસ. આવતી કાલે રામ માટે રાજ્યાભિષેકને બદલે વનવાસના કપડા મંગાવો. દશરથને ખૂબ જ આઘાત લાગ્યો. કૈકેયીને કહ્યું, તું વિશ્વાસઘાતી થઇ? તે આ શું માગ્યું?

સવારે દશરથ મોડા પડ્યા. કૌશલ્યા વિચારવા લાગ્યા કે આજે રામનો રાજ્યાભિષેક છે અને આમ મોડા કેમ? દશરથ આવ્યા, પગ લચકાય છે. કૌશલ્યાએ પૂછ્યું, શું થયું? જ્યારે માણસને આઘાત લાગે, દુ:ખ થાય ત્યારે ગળું સુકાય છે. દશરથે પાણી માગ્યું. કૌશલ્યાએ કહ્યું, કુલગુરૂ વશિષ્ઠને બોલાવો. વશિષ્ઠ આવ્યા. બાજુમાં કૌશલ્યા બેઠા છે. દશરથે વશિષ્ઠને કહ્યું, રામનો રાજ્યાભિષેક નહીં થાય. રામે વનમાં જવાનું છે. આ વાત મારે રામને કહેવાની છે. રામને બોલાવો. રામ આવ્યા. દશરથે કૈકેયીએ માગેલા બે વરદાનની વાત કરી. રામે કહ્યું,પિતાજી આપની આજ્ઞા મને શિરોમાન્ય છે. હું વનમાં જવા તૈયાર છું. સમય સમય બલવાનહૈ, નહીં મનુષ્ય બલવાન સુખ અને દુ:ખ બે જોડિયા ભાઇ જેવા છે. બન્ને સાથે જ ચાલે છે. ગઇ કાલે રાજા થનાર રામ આજે વનવાસી થવાના છે.

આજે રામની વનવાસ જવાની તૈયારી ચાલે છે. રામ સીતા સાથે સીતા અને લક્ષ્મણ પણ વનમાં જવા તૈયાર થયા. ત્રણે જણા અયોધ્યા છોડી વનવાસી થયા. રામ અને લક્ષ્મણે વનમાં અનેક રાક્ષસો માર્યા. રામ જતાં દશરથે ભોજનનો ત્યાગ કર્યો. દશરથને ભૂતકાળ યાદ આવવા લાગ્યો. યુવાન બ્રાહ્મણ પુત્ર શ્રવણને હરણ સમજી બાણથી વીંધી નાખેલો, તે યાદ આવ્યુ%ં. શ્રવણના આંધળાં મા-બાપે દશરથને ચોધાર આંસુએ રડતાં રડતાં શાપ આપેલો, હે રાજા દશરથ ! જીવનમાં જુવાન દીકરો જાય ત્યારે માતા-પિતાનું જીવન કેટલું ખાટું થઇ જાય ! અમને અમારો શ્રવણ જતાં જીવન જીવવા જેવું રહ્યું નથી. તારા અંતકાળે અમારા જેવો પુત્રવિયોગ થશે. શાપ આપી શ્રવણના મા-બાપે પ્રાણત્યાગ કર્યો. પુત્રશોકથી દશરથના પ્રાણ ગયા. તેના અંતકાળ વખતે ચાર દીકરામાંથી એકેય દીકરો પાસે નહીં. મોસાળ ગયેલ ભરતને  પિતાના અવસાનના દુ:ખદ સમાચાર મળતાં ખૂબ જ આઘાત લાગ્યો. અયોધ્યા અવી માતા કૌશલ્યાને પ્રણામ કરી ભરતે કહ્યું, હે મા, જો મેં રાજગાદીનો વિચાર સુદ્ધાં કર્યો હોય તો મને બ્રહ્મહત્યાનું પાપ લાગે. ભરત મોટાભાઇ રામ પાસે તપોવનમાં આવ્યા. રામને રાજ્યમાં આવી રાજકારભાર સંભાળી લેવા ખૂબ સમજાવ્યા, પરંતુ રામે કહ્યું,ભાઇ ! પિતાના વચન મુજબ હવે ચૌદ વર્ષ પછી જ હું રાજગાદી સંભાળીશ.ત્યાં સુધી તું અયોધ્યાની સંભાળ રાખજે. ભાર્તે રામની ચરણ-પાદુકા અયોધ્યાની રાજગાદી પર રાખી જવની ભાખરી ખાઇ  રાજ કારભાર સંભાળ્યો.

રામ, સીતા,લક્ષ્મણ વનમાં રહેતા હતા. સોનાના મૃગનો શિકાર કરવા રામ મૃગની પાછળ ગયેલા. સુવર્ણ મૃગ, મૃગ ન હતો, તે રાવણે મોકલાવેલ માયવી મૃગ રાક્ષસ હતો. રાવણ બ્રાહ્મણવેશ ધારણ કરી ભિક્ષાના બહાને આવી સીતાનું હરણ કરી ગયો. રામનું બાણ માયાવી મૃગને લાગતાં માયાવી તે રાક્ષસ બની ગયો અને મરી ગયો. લક્ષ્મણ,લક્ષ્મણ પોકારતો ગયો. આ પોકાર સીતાએ સાંભળ્યો. આ પોકાર સીતાએ સાંભળ્યો. લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણભાઇ, તમારા ભાઇ મુશ્કેલીમાં લાગે છે. તમને બોલાવે છે. તમે રામની મદદે જાવ. લક્ષ્મણ સીતાની કુટિર પાસે લક્ષ્મણરેખા દોરી રામને શોધવા ગયા.

રાવણ બ્રાહ્મણવેશે જ્યારે ભિક્ષા લેવા આવ્યો ત્યારે સીતા લક્ષ્મણરેખા વટાવી બહાર ભિક્ષા આપવા આવ્યા. કે તરત જ રાવણ સીતાને ઉપાડી ગયો. રામલક્ષ્મણ કુટિરમાં આવ્યા. સીતાજી કુટિરમાં ન હતા.ચારેબાજુ તપાસ કરી. તપાસ કરતાં ખબર પડી કે રાવણ સીતાને ઉપાડી લંકામાં લઇ ગયો છે. શ્રીરામે રાવણના ભાઇ વિભીષણ ને બોલાવી રવણને સમજાવવા કહ્યું, સીતાને બળજબરીથી ઉપાડી જવી એ ખૂબગંભીર અન્યાય થયો છે, પણ રાવણ માન્યો નહીં. યુદ્ધ થયું. રામે રાવણને માર્યો. સીતાજીને લઇ આવ્યા. સીતાજી સર્વાંગ શુદ્ધ હતા. સીતાની અગ્નિકસોટી કરી. ચૌદ વર્ષ પૂરા થયા એટલે રામ અયોધ્યા આવવા નીકળ્યા. પુષ્પક વિમાનમાં બેસી રામ-લક્ષ્મણ-સીતા-હનુમાન આવ્યા હતા. રસ્તામાં ભરતને રામના અવવાના સમાચાર આપ્યા. પૂજામાં બેઠેલા ભરતે હનુમાનને જોય. સ્વાગત કર્યું. ભરતે રામ, લક્ષ્મણ, સીતાનું સ્વાગત કર્યું. બધા અયોધ્યા આવ્યા. રામનો રાજ્યાભિષેક કર્યો.

એક દિવસ રામ, લક્ષ્મણ, સીતા રથમાં બેસી જતા હતા, ત્યારે સીતાએ રામને કહ્યું,આપણી આટલી બધી સેવા હનુમાનજીએ કરી તેને તમે કાંઇ ભેટ આપી કે નહીં? રામ કહે, હનુમાનના આપણા ઉપર ઉપકાર એટલા બધા છે કે તેને હું શું આપું? સીતાના ગળામાં અમૂલ્ય  કિંમતની

માળા હતી. સીતાજીએ તે  હનુમાનજીના ગળામાં પહેરાવી દીધી. એમણે ગળામાંથી માળાના મણકા ભાંગવા માંડ્યા.સીતાએ કહ્યું આપ આ શું કરો છો? હનુમાનજી કહે, આ મણકામાં  રામનું નામ ક્યાં છે? સીતા કહે,હનુમાનજી, રામ તો હ્રદયમાં જોઇએ. તરત જ હનુમાનજીએ પોતાની ચાતી ફાડીને રામનાં દર્શન કરાવ્યા.

ગૃહસ્થાશ્રમ ભોગવવાની રામ-સીતાએ શરૂઆત કરી. સીતા સગર્ભા થયા. રામે સીતાને પૂછ્યું,તારી કોઇ ઇચ્છા છે? સીતાએ કહ્યું,મારે પંચવટી જઇ ગોદાવરીમાં સ્નાન કરવું છે. આજે દિનચર્યા કરવા જતાં રામને કાને શબ્દો પડ્યા, હું રામ જેવો નથી જે ભાગી ગયેલી સ્ત્રીને ઘરમાં રાખે. આ શબ્દો સાંભળી અયોધ્યાના રાજા મનોમન નક્કી કરે છે કે મારા રાજ્યને રામરાજ્ય બનાવવું હોય તો મારે પણ ભોગ આપવો પડે. મારે સીતાનો ત્યાગ કરવો જોઇએ. રામે લક્ષ્મણને બોલાવી કહ્યું. સીતાને ઋષિ વાલ્મીકિના આશ્રમમાં મૂકી આવ. સીતાને રથમાં બેસાડ્યા. લક્ષ્મણ સાથે ગયા. સીતાએ લક્ષ્મણને કહ્યું. વીર આર્ય કેમ આપણી કેમ આપણી સાથે નથી આવતાં? લક્ષ્મણે રસ્તામાં સીતાને આખી વાત કરી. સીતાએ રામને સંદેશો કહેવડાવ્યો કે હું અહીં વનમાં મારું જીવન એક તપસ્વિનીની જેમ વીતાવીશ.

રાજમહેલમાં સીતા જતાં રામે ઘીનો દીવો કર્યો. ભોંય પથારીમાં સૂવું, મિષ્ટાન્ન ન ખાવું, બીજા લગ્ન ન કરવાની દીવા સમક્ષ પ્રતિજ્ઞા લીધી.

સીતાજી વાલ્મીકિ ઋષિના આશ્રમમાં લવ અને કુશ એમ બે દીકરાને જન્મ આપ્યો. ઋષિ વાલ્મીકિએ રામાયણની રચના કરી. લવ અને કુશને શસ્ત્ર વિદ્યા અને બીજી અનેક વિદ્યાઓમાં પાવરધા બનાવ્યા. આ બાજુ રામે અયોધ્યામાં અશ્વમેઘ યજ્ઞ કર્યો. યજ્ઞના ઘોડને છૂટા મૂક્યા. લવકુશે રામના ઘોડાને બાંધી લીધા. રામ પોતે ઘોડાને બાંધનાર લવકુશ જોડે લડવા આવ્યા. લવકુશને જોઇ રામ મનમાં વિચારે છે કે આ ઋષિકુમારોને જોઇ ધનુષ ચડાવતાં મારા હાથ કેમ ધ્રૂજે છે?વાલ્મીકિ ઋષિએ રામને ઓળખાણ પાડી, આ તમારી મૂડી. વાલ્મીકિએ રામને લવકુશ અને સીતાજીને સોંપી દીધા. રામ, સીતા અને લવકુશને લઇ અયોધ્યા આવવા નીકળ્યા. સીતાજીએ રસ્તામાં ધરતીમાતાને પ્રાર્થના કરી,હે ધરતી મા ! હું તરી પુત્રી છું. મેં કોઇ પાપ કર્યું નથી. તું મને તારામાં સમાવી દે ! ધરતીએ માર્ગ આપ્યો અને સીતાજી ધરતીમાં સમાઇ ગયા.

=======================================

નોંધ: હવે પછી શકુંતલા અને દુષ્યંતની કથા આવશે.   

 

 

ધન્ય છે આ દાક્તરને…………….

1 Comment

ધન્ય છે આ દાક્તરને…………….

એક છોકરાની તાત્કાલિક સર્જરી માટેના એક ફોન પછી ડૉક્ટર ઉતાવળા હોસ્પિટલમા પ્રવેસે છે. તરત કપડા બદલી શસ્ત્રક્રિયા માટે તૈયાર થઈ ઑપરેશન રૂમ તરફ રાહ સાધી. હૉલ મા પ્રવેસતા તે છોકરાની માતા તેમની રાહ દિઠતી નજરે પડે છે.ડૉક્ટરને જોઇ છોકરાની માતા ગુસ્સેથી બોલીઃ “કેમ આવવામાં આટલુ મોડુ કર્યુ ? તમને ખબર નથી કે મારા પુત્રની હાલત ખુબ ગંભીર છે ? તમને તમારી જવાબદારીનું ભાન છે કે નહી ?”

ડૉક્ટર મંદ હાસ્ય સાથે બોલે છે કેઃ “મારી ભુલ બદલ માફી માંગુ છુ, ફોન આવ્યો ત્યારે હું હૉસ્પિટલમાં હાજર નહોતો, જેવી ખબર પડી કે તરત આવવા નિકળી ગયો, રસ્તામાં ટ્રાફિક હોવાથી પહોચતા થોડુ મોડુ થઇ ગયુ. હવે તમે નિશ્ચિંત રહો હું આવી ગયો છુ અલ્લાહની મરજીથી સૌ સારુ થઈ જશે, હવે વિલાપ કરવાનુ છોડી દો.”

છોકરાની માતા વધારે આક્રંદ સાથેઃ “વિલાપ કરવાનુ છોડી દો એટલે ? તમારો કહેવાનો મતલબ શુ છે ? મારા છોકરાને કંઇક થઇ ગયુ હોત તો ? આની જગ્યાએ તમારો છોકરો હોત તો તમે શુ કરતા ?” ડૉક્ટર ફરી મંદ હાસ્ય સાથેઃ “શાંત થાવ બહેન, જીવન અને મરણ એતો અલ્લાહના હાથમાં છે, હું તો ફક્ત એક માણસ છુ, તેમ છતા હું મારાથી બનતા પ્રયાસ કરીશ, બાકી આગળતો તમારી દુઆ અને અલ્લાહની મરજી…! લ્યો હવે મને ઑપરેશન રૂમ માં જવા દેશો..?” ત્યાર બાદ નર્સને થોડા સલાહસુચન આપીને ડૉક્ટર ઑપરેશન રૂમમાં જતા રહે છે.

થોડા કલાકો પછી ડૉક્ટર આનંદિત ચહેરે ઑપરેશન રૂમ માથી બહાર આવી છોકરાની માતાને કહે છે કેઃ “અલ્લાહનો લાખ-લાખ શુક્રિયા કે તમારો દિકરો સહીસલામત છે, તે હવે જલ્દિથી સારો થઈ જશે અને વધારે જાણકારી આ મારો સાથી ડૉક્ટર તમને આપશે.” તેમ કહી ડૉક્ટર ત્યાથી તરત જતા રહે છે.

ત્યાર બાદ છોકરાની માતા નર્સનેઃ “આ ડૉક્ટરને આટલી તો શેની ઊતાવળ હતી? મારો દિકરો ભાનમાં આવે ત્યા સુધી રોકાત તો તેમનુ શું લુટાઇ જવાનુ હતુ? ડૉક્ટર તો ખુબ ઘમંડી લાગે છે”

આ સાંભળીને નર્સની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યુઃ “મેડમ ! આ એજ ડૉક્ટર છે જેમનો એકનોએક દિકરો આજે તમારા દિકરાના બેફામ બાઇક ડ્રાઇવિંગમાં માર્યો ગયો છે. તેમને ખબર હતી કે તમારા દિકરાને કારણે તેમના છોકરાનો જીવ ગયો છે ને છતા તેમણે તમારા દિકરાનો જીવ બચાવ્યો. એ એટલા માટે જતા રહ્યા કે તેમના દિકરાની દફનવિધી અધુરી મુકી ને આવ્યા હતા”

પરશુરામ/નવમો સ્કંધ: શ્રીમદ્ ભાગવત સંક્ષેપ/હસુમતીબેન મેહતા

Leave a comment

PARASHURAM

 

શુકદેવજી કહે, હે પરીક્ષિત! હવે બીજા રામ તે પરશુરામની કથા હું તને કહીશ. જમદગ્નિ ઋષિ હતા. રેણુકા તેમના પત્ની, તેમને એક દીકરો જેનું નામ પરશુરામ,

એક દિવસ બપોરનો સમય હતો. જમદ્ગ્નિને વ્રત હતું કે ભોજનના સમયે આવનારા અતિથિને ભોજન કરાવવું. રાજા સહસ્ત્રાર્જુન દસ હજાર સૈનિક સાથે જમદગ્નિને ઘરે આવ્યા. બધાને એક કલાકમાં જમાડી દીધા. સહસ્ત્રાર્જુને વિચાર્યું, આટલા બધાને એક કલાકમાં શી રીતે જમાડ્યા હશે? જમદગ્નિ પાસે એવી શી સગવ/દ હશે? સહસ્ત્રાર્જુનને ખબર પડી કે જમદગ્નિ પાસે કામધેનુ ગાય છે. તે ગાય સૌને જમવાનું આપે છે. સહસ્ત્રાર્જુને વિચાર્યું કે, કામધેનુ જેવું રતન તો રાજમહેલમાં જ શોભે. પોતાના સૈનિકોને હુકમ કર્યો, કામધેનુ ગાયને રાજમહેલમાં લઇ જાવ. સૈનિકો કામધેનુને ખીલેથી છોડી રાજમહેલમાં લઇ ગયા. ભગવાન પરશુરામ આવ્યા. તેને ખબર પડી કે રાજા કામધેનુને ઉપાડી ગયો છે. પરશુરામ આ વાત સાંભળતાં ગુસ્સે થયા. રાજા તો પ્રજાનું રક્ષણ કરે. તેને બદલે અમારી ગાય લઇ ગયા? પરશુરામે નક્કી કર્યુંકે રાજાને મારી નાખવો. તેને મારીને કામધેનુ પાછી લઇ આવવી. હાથમાં હથિયાર લઇ સહસ્ત્રાર્જુન સાથે લડાઇ કરવા પરશુરામ ગયા. રાજાને મારી નાખ્યો. પરશુરામને રાજહત્યા લાગી. તેથી જમદગ્નિએ દીકરા પરશુરામને કહ્યું,એક વર્ષ યાત્રા કરી આવો. પરશુરામ યાત્રા કરવા ગયા.

આજે તેની યાત્રાનુ એક વર્ષ પૂરું થાય છે. પરશુરામ યાત્રા કરી ઘરે આવવાના છે. જમદગ્નિનાં પત્ની રેણુકા સરોવર કાંઠે પાણી ભરવા ગયા ત્યાં ગંધર્વ અને અપ્સરા એકબીજા પર પાણીની પિચકારી ઉડાડી રમતા હતા. તેઓને જોઇને નેવું વર્ષના રેણુકામાં વિષયવૃત્તિ જાગી. પાપને પ્રવેશવાના ત્રણ દરવાજા છે:આંખ, જીભ અને કાન.

રેણુકા જળ બહ્રીને આવ્યા. જમદગ્નિએ કહ્યું, ઘરમાં ન આવતા, તમારામાં પાપવૃત્તિ જાગી છે, અપવિત્ર ભાવ જાગ્યો છે, એને મારી નાખો. કોઇ દીકરો પોતાની માતાને મારવા તૈયાર ન થયો, દરેક દીકરાએ જમદગ્નિને કહ્યું, હે પિતાજી ! અમે અમારી માતાને કેમ મારી શકીએ?અમને પાપ લાગે. પરશુરામ એક વર્ષની યાત્રા કરી ઘરે આવ્યા. જમદગ્નિએ બધી વાત પરશુરામને કરી. પરશુરામને કહ્યું,તું તારી માતાને મારી નાખ. પરશુરામ કહે,ભલે પિતાજી, અપની આજ્ઞાની અવગણના મારાથી નહીં થાય. પરશુરામે પોતાની માતાને મારી નાખી. જમદગ્નિ પરશુરામ પર ખુશ થયા. પરશુરામને કહે,માંગ, માંગ, આજે હું તારા કૃત્યથી ખૂબ ખુશ છું. તું જે માગીશ તે હું તને આપીશ. પરશુરામ જાણતા હતા પોતાના પિતાની શક્તિ. તેમણે પિતાને કહ્યું, હે પિતાજી ! આપ ખરેખર મારા પર ખુશ થયા હો તો મારી માતાને જીવિત કરો અને મારી માતા એ વાત ભૂલી જાય કે મેં તેણીને મારી નાખી હતી. જમદગ્નિએ કહ્યું, તથાસ્તુ મારા રેણુકા ફરી જીવંત થયા. પરશુરામે પ્રતિજ્ઞા લીધેલી કે એકવીસ ક્ષત્રિયોનો સંહાર કરી પૃથ્વીને નક્ષત્રિય બનાવવી. પરશુરામે એકવીસ વખત ક્ષત્રિયોનો સંહાર કર્યો.

નોંધ: હવે પછી રામાવતારની કથા આવશે

Older Entries

Follow

Get every new post delivered to your Inbox.

Join 135 other followers