PURUSHOTTAM-YOG
પુરુષોત્તમ—યોગ
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પંદરમો
આ અધ્યાયમાં ક્ષર અને અક્ષરથી પર એવું પોતાનું ઉત્તમ સ્વરૂપ ભગવાને સમજાવ્યું છે.—ગાંધીજી.
શ્રીભગવાનુવાચ–
ઉર્ધ્વમૂલમ્ , અધ:શાખમ્ , અશ્વત્થમ્ , પ્રાહુ:, અવ્યયમ્ ,
છંદાસિ, યસ્ય, પર્ણાનિ, ય:, તમ્ , વેદ, સ: વેદવિત્ ,…..1
શ્રી ભગવાન બોલ્યા–
ઊંચે મૂળ તળે ડાળો,શ્રુતિઓ પાંદડાં કહ્યાં;
એ અવિનાશ અશ્વત્થ જાણે, તે વેદ જાણતો…..1
જેનું મૂળ ઊંચે છે , જેની શાખા નીચે છે, અને વેદો જેનાં પાંદડાં છે એવું જે અવિનાશી અશ્વત્થ સંસારવૃક્ષ કહેવાય છે તેને જે જાણે છે તે વેદને જાણનારો જ્ઞાની છે…….1
નોંધ:-
’શ્વ’ એટલે આવતીકાલ. તેથી અ—શ્વ—ત્થ એટલે આવતીકાલ લગી ન ટકનાર એવો ક્ષણિક સંસાર. સંસારનું પ્રતિક્ષણ રૂપાંતર થયા કરે છે માટે તે અશ્વત્થ છે.પણ એવી સ્થિતિમાં તે હંમેશાં રહેનાર છે તેથી અને તેનું મૂળ ઊર્ધ્વ એટલે ઇશ્વર છે તેથી શાશ્વત અવિનાશી છે. તેને વેદ ના એટલે ધર્મના શુધ્ધ જ્ઞાનરૂપી પ્આતરાં ન હોય તો તે ન શોભે. આમ સંસારનું યથાર્થજ્ઞાન જેને છે અને જે ધર્મને જાણનાર છે તે જ્ઞાની છે.
અધ:,ચ, ઉર્ધ્વ , પ્રસૃતા:, તસ્ય, શાખા:, ગુણપ્રવૃધ્ધા:, વિષયપ્રવાલા:, અધ:, ચ, મૂલાનિ, અનુસંતતાનિ, કર્માનુબન્ધીનિ, મનુષ્યલોકે……2
ઊંચે-તળે ડાળ-પસાર તેનો,
ગુણે વધ્યો, ભોગથી પાલવ્યો જે;
નીચે, વળી, માનવલોક માંહી
મૂળો ગયાં, કર્મ વિષે ગૂંથાયાં,………2
(ડાળોનો પસારો)
ગુણોના સ્પર્શ વડે વૃધ્ધિ પામેલી અને વિષયરૂપી કૂંપળવાળી તે અશ્વત્થની ડાળીઓ નીચે—ઉપર પ્રસરેલી છે; કર્મોનાં બંધન કરનારાં તેનાં મૂળ મનુષ્યલોકમાં નીચે ફેલાયેલાં છે…….2
નોંધ:-
સંસાર્વૃક્ષનું અજ્ઞાનીની દૃષ્ટિવાળું આ વર્ણનછે. તેનું ઊંચે ઇશ્વરમાં રહેલું મૂળ તે નથી જોતો,પણ વિષયોની રમણીયતામાં મુગ્ધ રહી ત્રણે ગુણો વડે એ વૃક્ષને પોષે છે ને મનુષ્યલોકમાં કર્મપાશમાં બંધાયેલો રહે છે.
ન, રૂપમ્ , અસ્ય, ઇહ, તથા, ઉપલભ્યતે, ન, અંત:, ન, ચ, આદિ:, ન, ચ, સંપ્રતિષ્ઠા, અશ્વત્થમ્ , એનમ્ , સુવિરૂઢમૂલમ્ , અસંગશસ્ત્રેણ, દૃઢેન, છિત્વા…..3
તત:, પદમ્ , તત્ , પરિમાર્ગિતવ્યમ્ , યસ્મિન્, નિવર્તંતિ, ભૂય:, તમ્, એવ,ચ, આદ્યમ્ , પુરુષમ્ , પ્રપદ્યે, યત:, પ્રવૃત્તિ:, પ્રસૃતા, પુરાણી….4
તેનું જગે સત્ય ન રૂપ ભાસે,
ન આદિ—અંતે નહિ કોઇ પાયો;
લૈ તીવ્ર વૈરાગ્ય તણી કુહાડી,
અશ્વત્થ આવો દૃઢમૂળ તોડ……3
(દૃઢમૂળવાળો)
શોધી પછી તે પદને પ્રયત્ને
જ્યાં પોં’ચનારા ન પડે ફરીથી–
તે પામવું આદિ પરમાત્મ રૂપ,
પ્રવૃત્તિ જ્યાંથી પસરી અનાદિ…..4
આ વૃક્ષનું યથાર્થ સ્વરૂપ જોવામાં આવતું નથી.તેને અંત નથી, આદિ નથી, પાયો નથી; ખૂબ ઊંડે ગયેલા મૂળવાળા આ અશ્વત્થ વૃક્ષને અસંગરૂપી બળવાન શસ્ત્રથી છેદીનેમનુષ્ય આ પ્રાર્થના કરે:’જેમાંથી આ સનાતનપ્રવૃત્તિ—માયા પ્રસરેલી તે આદિપુરુને હું શરણે જાઉં છું !’ અને તે પદને શોધે કે જેને પામનારાને ફરી જન્મમરણના ચક્રમાં પડવું નથી પડત્તું……3—4
નોંધ:-
અસંગ એટલે અસહકાર,વૈરાગ્ય. જ્યાં લગી મનુષ્ય વિષયોની જોડે અસહકાર ન કરે, તેમનાં પ્રલોભનોથી દૂર ન રહે ત્યાં લગી તે તેમાં
ખૂંચ્યા જ કરવાનો.
વિષયોની સાથે રમત રમવી ને તેમનાથી અસ્પૃષ્ટ રહેવું એ ન બનવા યોગ્ય છે એ આ શ્લોકો બતાવે છે.
નિર્માનમોહા:, જિતસંગદોષા:, અધ્યાત્મનિત્યા:,
વિનિવૃત્તકામા:, દ્વન્દૈ:, વિમુક્તા:, સુખદુ:ખસંજ્ઞૈ:, ગચ્છંતિ,અમૂઢા:, પદમ્ , અવ્યયમ્, તત્ ,…..5
નિર્માન, નિરમોહ, અસંગવૃત્તિ,
અધ્યાત્મનિષ્ઠા, નિત, શાંતકામ;
છૂટેલ દ્વંદ્વ સુખદુ:ખરૂપી,
અમૂઢ તે અવ્યય ધામ પામે……5
(શાંતકામ—જેની વાસનાઓ શમી ગઇ છે.)
જેણે માનમોહનો ત્યાગ કર્યો છે, જેણે આસક્તિથી થતા દોષોને દૂર કર્યા છે, જે આત્મામાં નિત્ય નિમગ્ન છે, જેના વિષયો શમી ગયા છે, જે સુખ-દુ:ખરૂપી દ્વંદ્વોથી મુક્ત છે તે જ્ઞાની અવિનાશી પદને પામે છે. ….5
ન, તત્ , ભાસયતે, સૂર્ય:, ન, શશાંક:, ન, પાવક:,
યત્ , ગત્વા, ન, નિવર્તંતે, તત્ , ધામ, પરમમ્, મમ…..6
સૂર્ય તેને પ્રકાશે ના, ના ચંદ્ર, અગ્નિયે નહીં.
જ્યાં પોં’ચી ન ફરે પાછા, મારું તે ધામ ઉત્તમ….6
ત્યાં સૂર્યને, ચન્દ્રને કે અગ્નિને પ્રકાશ આપવાપણું નથી હોતું.જ્યાં જનારને ફરી જન્મવું નથી પડતું એ મારું પરમધામ છે….6
મમ, એવ, અંશ:, જીવલોકે, જીવભૂત:, સનાતન:, મન:ષષ્ઠાનિ, ઇન્દ્રિયાણિ, પ્રકૃતિસ્થાનિ,કર્ષતિ…..7
મારો જ અંશ સંસારે જીવરૂપ સનાતન,
ખેંચે પ્રકૃતિમાંથી તે મન ને પાંચ ઇન્દ્રિયો……7
મારો જ સનાતન અંશ જીવલોકમાં જીવ થઇને પ્રકૃતિમાં રહેલ પાંચ ઇન્દ્રિયો અને મનને આકર્ષે છે….7
શરીરમ્ , ય ત્, અવાપ્નોતિ, ય ત્, ચ, અપિ, ઉત્ક્રામતિ, ઇશ્વર:, ગૃહિત્વા, અતાનિ, સંયાતિ, વાયુ:, ગન્ધાન્ , એવ, આશયાત્ , ……8
જેમ વાયુ ગ્રહે ગંધ, વસ્તુનો નિજ સાથમાં,
તેમ દેહી ગ્રહે આ સૌ ધારતાં—છોડતાં તનુ….8
શરીરનો સ્વામી એટલે કે જીવ જ્યારે શરીર છોડે છે અથવા ધારણ કરે છે ત્યારે જેમ વાયુ પુષ્પાદિ ઠામમાંથી ગંધ લઇ જાય છે તેમ ઇન્દ્રિયો સહિત મનને સાથે લઇ જાય છે. …8
શ્રોત્રમ્ , ચક્ષુ:, સ્પર્શનમ્ , ચ, રસનમ્ , ધ્રાણમ્ , એવ, ચ,
અધિષ્ઠાય, મન:, ચ, અયમ્ , વિષયાન્ , ઉપસેવતે…..9
આંખ, કાન, ત્વચા,નાક, જીભ ને છઠ્ઠું તો મન.
અધિષ્ઠાતા થઇ સૌનો દેહી વિષય ભોગવે…..9
અને કાન, આંખ, ચામડી, જીભ, નાક તથા મનનો આશ્રય લઇને તે વિષયોને સેવે છે….9
નોંધ:-
અહીં વિષય શબ્દોનો અર્થ બીભત્સ વિલાસ નથી, પણ તે તે ઇન્દ્રિયોની સ્વાભાવિક ક્રિયાઓ; જેમ કે આંખનો વિષ્ય જોવું, કાનનો સાંભળવું. જીભનો ચાખવું. આક્રિયાઓ વિકારવાળી, અહંભાવવાળી હોય ત્યારે દોષિત-બીભત્સ ઠરે છે.જ્યારે નિર્વિકાર હોય ત્યારે તે નિર્દોષ છે. બાળક આંખે જોતું કે હાથે અડકતું વિકાર પામતું નથી. તેથી પછીના શ્લોકમાં કહે છે:
ઉત્ક્રામંતમ્ , સ્થિતમ્ ,વા, અપિ, ભુંજાનમ્ , વા, ગુણાંવિતમ્ ,
વિમૂઢા:, ન, અનુપશ્યંતિ, પશ્યંતિ, જ્ઞાનચક્ષુષ:……..10
નીકળે કે રહે દેહે, ભોગવે ગુણ સાથ વા,
મૂઢો ન દેખતા એને, દેખે છે જ્ઞાનચક્ષુના……10
(શરીરનો) ત્યાગ કરનાર અથવા તેમાં રહેનાર તેમ જ ગુણોનો આશ્રય લઇ ભોગ ભોગવનાર એવા (આ અંશરૂપી) ઇશ્વરને મૂર્ખાઓ નથી જોતા; દિવ્યચક્ષુ જ્ઞાનીઓ જુએછે……10
યતંત:, યોગિન:,ચ, એનમ્ , પશ્યંતિ, આત્મનિ, અવસ્થિતમ્ ,
યતંત:, અપિ, અકૃતાત્માન:,ન, એન , પશ્યંતિ, અચેતસ:…..11
રહેલો હૃદયે તેને, દેખે યોગી પ્રયત્નવાન્
હૈયાસૂના, અશુધ્ધાત્મા ન દેખે યત્નથીય તે…….11
યત્નવાન યોગીજનો પોતાને વિશે રહેલા આ ઇશ્વરને જુએ છે .
જ્યારે જેમણે પોતાની જાતને કેળવી જ નથી, આત્મશુધ્ધિ કરી નથી, એવા મૂઢજન યત્ન કરતાં છતાં પણ એને ઓળખતા નથી….11
નોંધ:-
આમાં ને નવમા અધ્યાયમાં દુરાચારીને ભગવાને જે વચન આપ્યું છે તેમાં વિરોધ નથી.અકૃતાત્મા એટલે ભક્તિહીન,સ્વેચ્છાચારી,દુરાચારી.
નમ્રપણે શ્રધ્ધાથી ઇશ્વરને જે ભજે છે તે ક્રમે ક્રમે આત્મશુધ્ધ થાય છે અને ઇશ્વરને ઓળખે છે.જે યમ-નિયમાદિની દરકાર ન રાખતાં કેવળ બુધ્ધિપ્રયોગથી ઇશ્વરને ઓળખવા માગે છે તે અચેતા—ચિત્ત વિનાના, રામ વિનાના, રામને ક્યાંથી જ ઓળખે?
યત્ , આદિત્યગતમ્ , તેજ:, જગત્ , ભાસયતે, અખિલમ્ ,
યત્ , ચન્દ્રમસિ, યત્ , ચ, અગ્નૌ, તત્ , તેજ:, વિધ્ધિ, મામકમ્ …..12
પ્રકાશતું વિશ્વને આખા તેજ જે સૂર્યમાં દીસે,
ચન્દ્રે જે, અગ્નિમાંયે જે, મારું જ તેજ જાણ તે….12
સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને પ્રકાશે છે અને જે તેજ ચન્દ્રમાં અને અગ્નિમાં રહેલું છે તે મારું જ છે એમ જાણ…12
ગામ્ , આવિશ્ય,ચ, ભૂતાનિ, ધારયામિ, અહમ્ , ઓજસા,
પુષ્ણામિ, ચ, ઔષધી:, સર્વા:, સોમ:, ભૂત્વા, રસાત્મક:….13
પેસી પૃથ્વી વિશે ધારું ભૂતોને મુજ શક્તિથી;
પોષું છું ઔષધી સર્વે થઇ સોમ, રસે ભર્યો…..13
પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિથી હું પ્રાણીઓને ધારણ કરું છું, અને રસો ઉત્પન્ન કરનાર ચન્દ્ર થઇ બધી વનસ્પતિઓનું પોષણ કરું છું….13
અહમ્ , વૈશ્વાનર:, ભૂત્વા, પ્રાણિનામ્ , દેહમ્ , આશ્રિત:,
પ્રાણાપાનસમાયુક્ત:, પચામિ, અન્નમ્ , ચતુર્વિધમ્ …..14
હું વૈશ્વાનર રૂપે સૌ પ્રાણીના દેહમાં રહ્યો;
પ્રાણાપાન કરી યુક્ત પચાવું અન્ન ચોવિધ…….14
જઠરાગ્નિ બની પ્રાણીઓના દેહનો આશ્રય લઇ હું પ્રાણ અને અપાન વાયુ વડે ચારે પ્રકારનું અન્ન પચાવું છું.
(નોંધ:-ચાર પ્રકારનું અન્ન તે 1. ચાવીને ખાવાનું, 2. પીવાનું 3. ચૂસી લેવાનું અને 4. ચાટી જવાનું.—કાકાસાહેબ કાલેલકર)
સર્વસ્ય, ચ, અહમ્ , સંનિવિષ્ટ:, મત્ત:, સ્મૃતિ:, જ્ઞાનમ્ , અપોહનમ્ , ચ, વેદૈ:, ચ, સર્વૈ:, અહમ્ , એવ, વેદ્ય:, વેદાંતકૃત્ , વેદવિત્ , એવ, ચ, અહમ્ ,…..15
નિવાસ સૌનાં હૃદયે કરું હું,
હું-થી સ્મૃતિ, જ્ઞાન તથા વિવેક;
વેદો બધાનું હું જ એક વેદ્ય,
વેદાંતકર્તા હું જ વેદવેત્તા….15
વિવેક—મૂળમાં ‘ અપોહન’ છે કેટલાંક તેનો અર્થ વિસ્મરણ અપણ કરે છે.
હું બધાનાં હૃદયને વિશે રહેલો છું; મારા વડે સ્મૃતિ, જ્ઞાન અને તેનો અભાવ થાય છે.બધા વેદોથી જાણવાયોગ્ય તે હું જ, વેદોનો જાણનાર હું, અને વેદાંત પ્રગટાવનાર પણ હું જ છું….15
દ્વૌ, ઇમૌ,પુરુષૌ, લોકે, ક્ષર:, ચ, અક્ષર:, એવ, ચ,
ક્ષર:, સર્વાણિ, ભૂતાનિ, કૂટ્સ્થ:, અક્ષર:, ઉચ્યતે….16
બે છે આ પુરુષો વિશ્વે ક્ષર-અક્ષર, અર્જુન,
ક્ષર તે સઘળાં ભૂતો, નિત્યને અક્ષર કહ્યો…..16
આ લોકમાં ક્ષર એટલે નાશવંત અને અક્ષર એટલે અવિનાશી એવા બે પુરુષો છે. ભૂતમાત્ર તે ‘ક્ષર’ છે અને તેમા6 જે સ્થિર રહેલો અંતર્યામી છે તે ‘અક્ષર’ કહેવાય છે…..16
ઉત્તમ:, પુરુષ:,તુ, અન્ય:, પરમાત્મા, ઇતિ, ઉદાહૃત:,
ય:, લોકત્રય , આવિશ્ય, બિભરતિ, અવ્યય:, ઇશ્વર:…17
પોષે ત્રિલોકને વ્યાપી જે અવિનાશ ઇશ્વર,
પરમાત્મા કહ્યો તેને, ત્રીજો પુરુષ ઉત્તમ…..17
આ ઉપરાંત એક બીજો ઉત્તમ પુરુષ છે.તે પરમાત્મા કહેવાય છે. એ અવ્યય ઇશ્વર ત્રણે લોકમાં પ્રવેશ કરીને તેને પોષે છે…..17
યસ્મા , ક્ષર , અતીત:, અહ , અક્ષરા , અપિ, ચ, ઉત્તમ:,
અત:, અસ્મિ, લોકે, વેદે, ચ, પ્રથિત:, પુરુષોત્તમ;….18
કાં જે હું ક્ષરથી પાર, અક્ષરથીય ઉત્તમ,
તેથી હું લોક ને વેદે વર્ણાયો પુરુષોત્તમ…..18
કેમ કે હું ક્ષરથી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ છું, તેથી વેદોમાં અને લોકોમાં પુરુષોત્તમ નામે પ્રખ્યાત છું….18
ય:, મામ્ , એવમ્ , અસંમૂઢ:, જાનાતિ, પુરુષોત્તમમ્ ,
સ:, સર્વવિત્ , ભજતિ, મામ્ , સર્વભાવેન, ભારત……19
જે અમૂઢ મ’ને આમ જાણતો પુરુષોત્તમ,
તે સર્વ સારનો જ્ઞાની સર્વભાવે મ’ને ભજે……19
હે ભારત ! મોહરહિત થઇને મને પુરુષોત્તમને આમ જે જાણે છે તે સર્વ જાણે છે ને મને પૂર્ણભાવે ભજે છે. …..19
ઇતિ, ગુહ્યતમમ્, શાસ્ત્રમ્ , ઇદમ્ , ઉક્તમ્ , મયા, અનઘ, એતત્ , બુધ્ધ્વા, બુધ્ધિમાન્ , સ્યાત્ , કૃતકૃત્ય:, ચ, ભારત…..20
હે અનઘ ! આ ગુહ્યમાં ગુહ્ય શાસ્ત્ર મેં તને કહ્યું.હે ભારત ! એ જાણીને મનુષ્ય બુધ્ધિમાન થાય અને પોતાનું જીવન સફળ કરે….20
ઔમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે પુરુષોત્તમ-યોગો નામ પંચદશોધ્યાય:
જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ‘પુરુષોત્તમ-યોગ” નામનો પંદરમો અધ્યાય અત્રે પૂરો થાય છે.