B.SNXP.18
ભીષ્મનું પ્રયાણ તથા શ્રીકૃષ્ણનું સ્વધામ ગમન
શ્રીમદ્ ભાગવત સંક્ષેપ”
(સંક્ષેપકર્તા:હસુમતી મહેતા, બી.એ., એમ.એડ.)
વ્યાસજી એ પોતાના મનની શાંતિ માટે ભાગવતની રચના ગ્રંથસ્થ કરવા માટે ગણપતિને બોલાવ્યા. ગણપતિ કહે “ હે વ્યાસમુનિ ! આપ બોલશો તે હું લખીશ પણ એકવાર લખવાનું ચાલુ કરીશ પછી વચ્ચે (અટકીશ નહીં) મારી કલમ નહીં અટકે. ” વ્યાસજી કબૂલ થયા અને ગણપતિ લખવા તૈયાર થયા પણ અહ્વે આ કથા સાંભળશે કોણ? પોતાના પરમ વિદ્વાન તપસ્વી પુત્ર શુકદેવ આ કથા સાંભળે એવી એમની ઇચ્છા હતી. શુકદેવજી બોરિંગ સર્પો વચ્ચે કઠોર તપસ્યા કરતા હતા. એમને બોલાવવા મોકલે તો પણ તે આવે તેમ હતા નહીં. વ્યાસજીએ ભોજપત્ર પર એક શ્લોક લખ્યો:
“ કસ્તુરી તિલકં લલાટપટલે વક્ષ:સ્થલે કૌસ્તુભમ્
નાસાગ્રે વરમૌક્તિકં કરતલે વેણું કરે કંકણ
સર્વાંગે હરિચંદનં સુલલિતં કંઠે ચ મુક્તાવલિ
ગોપસ્ત્રીપરિવેષ્ટિતો વિજયતે ગોપાલચૂડામણિ ”
અર્થ: જેમનાં વિશાળ કપાળમાં કસ્તુરીયુક્ત તિલક છે. છાતીની મધ્યમાં કૌસ્તુભ મણિ લટકે છે. નાકને છેડે ઉત્તમ મોતી લટકે છે, જેમણે હાથની હથેળીમાં વેણુ અને કાંડે કંકણ ધારણ કરેલાં છે, જેમના આખા શરીર પર સુગંધી ચંદનનો લેપ છે ,કંથમાં મોતીની સેરો છે અને જે ગોપીઓથી વીંટાઇ વળેલા છે એવા ગોપાલોમાં શ્રેષ્ઠ મણિતુલ્ય શ્રીગોપાલકૃષ્ણ વિજય પામે છે.
વ્યાસજીએ પોતાના ચાર શિષ્યોના ગળામાં આ લખેલો શ્લોક પહેરાવ્યો
અને તેમને કહ્યું,”હે શિષ્યો ! સર્પો જેનું રક્ષણ કરે છે એવા શુકદેવ જ્યાં તપ કરે છે ત્યાં તમે જાવ અને ત્યાં જઇ તેમને સંભળાય તેમ નીચેના શ્લોક ગાજો.”
શ્લોક:1
“ બર્હાપીડં નટવરવપુ: કર્ણયો: કર્ણિકારં
બિભ્રદ્ વાસ: કનકકપિશં વૈજયંતીંચ માલા
રન્ધ્રાન્ વેણોરધરસુધયા પૂરય ગોપવૃન્દૈ”
વૃન્દારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ્ ગીતકીર્તિ:
શ્લોક: 2
અહો ! બકી યં સ્તનકાલકૂટં
જિધાંસયા પાયયદપ્ય સાધ્વી
લેભે ગતિં ધાત્ર્યુચિતાં તતોડન્યં
કં વા દયાલું શરણમ્ વ્રજેમ્
અર્થ:
(1) શ્રીકૃષ્ણ ગ્વાલ બાળકો સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. એમના મસ્તકે મોર્પિચ્છ છે અને બન્ને કાનમાં પીળાં પુષ્પો છે. શરીર પર પીતાંબર અને ગળામાં પાંચ પ્રકારના પુષ્પોની બનેલી વૈજયંતી માળા છે. ઉત્તમ નટ જેવો શરીર-વેષ છે.વાંસળીનાં છિદ્રોને પોતાનાં અધરામૃતથી ભરી રહ્યા છે અને ગોવાળિયાઓનાં ટોળાં તેમની જ કીર્તિ ગાઇ રહ્યા છે.આમ વૈકુંઠથી પણ શ્રેષ્ઠ એ વૃંદાવનધામ એમનાં ચરણચિહ્નોથી વધુ રમણિય બન્યું છે. હે પરીક્ષિત ! આ બંસીનાદ સર્વ પ્રાણીઓનાં મનને હરતો હતો. તે સાંભળી વૃજની સ્ત્રીઓ તેનું વર્ણન કરતાં તન્મય થઇ ગઇ અને શ્રીકૃષ્ણ્ને આલિંગન કરવા લાગી.
અર્થ:
(2) પાપિણી પૂતનાએ પોતાનાં સ્તનોમાં હળાહળ ઝેર લગાડી શ્રીકૃષ્ણને મારી નાખવાના દુષ્ટ હેતુથી દૂધ પીવડાવ્યું હતું. તેને પણ ભગવાને પરમગતિ આપી, જે માતા યશોદાને યોગ્ય હતી, તો એમનાથી બીજા ક્યા દયાળુને શરણે આપણે
જઇએ ?
વેદ વ્યાસના શિષ્યો જ્યાં શુકદેવજી તપ કરતા હતા ત્યાં પહોંચી ગયા અને શ્લોક ગાવા લાગ્યા. શ્લોક સાંભળતાં જ શુકદેવજી શિષ્યોની પાછળ પાછળ ચાલવા માંડ્યા.
એકસો બાર વર્ષના મુનિઓ વ્યાસ આજે શુકદેવને કથા કહેવાના છે. કરોડો ઋષિમુનિઓની મેદની જામી છે. મુખ્ય શ્રોતાની રાહ જોવાતી હતી. વ્યાસજીના શિષ્યો પાછળ પાછળ શુકદેવજી આવ્યા. સૌને પ્રણામ કર્યા. ઇશ્વરની પ્રાર્થના કરી. પરમાત્માને વંદન કર્યાં. પોતાનું આસન ગ્રહણ કર્યું. વ્યાસજીએ શ્રીમદ્ ભાગવતની કથા શરૂ કરી .ૐ પરમાત્મને નમ: વ્યાસજી કહે છે “હે શુકદેવ ! પાંડવોએ સુખની આશાથી ભગવાન શ્રીકૃષ્ણની મદદથી મહાભારતનું યુદ્ધ ખેલ્યું. પરિણામ દુ:ખમય આવ્યું. દ્રોણાચાર્યના દીકરા અશ્વત્થામાએ પોતાના પિતાના મૃત્યુ પછી નક્કી કરેલું કે પાંડવ વંશમાં દીકરે દીવો ન રહેવો જોઇએ. આજે દ્રૌપદી અને તેના પાંચ રાજકુમારોએ એકાદશી વૃત કરી ઇશ્વરનું આરાધન કર્યું અને રાત પડતાં પાંચ રાજકુમારો માતા દ્રૌપદી સાથે સૂતા હતા. અશ્વત્થામા રાત્રે બગીચામાં આવ્યો. એક પછી એક ઝાડનાં મૂળિયાં ઉખેડવા લાગ્યો. એમ કરતાં કરતાં તેના હાથમાં ઝેરી મધનાં મૂળિયાં આવ્યાં.તેનો રસ કાઢી દ્રૌપદી અને રાજકુમારો સૂતાં હતાં ત્યાં આવીને તેમના પર છાંટ્યો. નિદ્રાધીન રાજકુમારોના ગળાં અશ્વત્થામાએ ધડથી જુદા કરી નાખ્યાં.ઝેરી અસરથી દ્રૌપદી ત્રણ કલાક પછી જાગ્યા. ભયંકર ઘટના જોઇ. હૈયાને કાબૂમાં રાખી, નાહીને હમણાં જ આવેલા અર્જુનને દ્રૌપદીએ કહ્યું, “ આ યુદ્ધનું પરિણામ?” અર્જુન દોડ્તાં દોડતાં ક્ર્ષ્ણ પાસે આવ્યા. બધી વાત કરી. કૃષ્ણે પૂછ્યું,
“ બોલ અર્જુન રથને હું ક્યાં લઇ જાઉં?” અર્જુને કહ્યું, “મારાં બાળકોને મારનાર તરફ.” શ્રીકૃષ્ણ જ્યાં અશ્વત્થામા હતા ત્યાં રથ લઇ ગયા. અર્જુન અને અશ્વત્થામાએ સામસામાં બાણ છોડ્યાં. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્રને નાકામયાબ કરી અશ્વત્થામાને પકડી લીધા. અશ્વત્થામાને રથ સાથે બાંધ્યા.ભગવાને અર્જુનને કહ્યું, “ હે અર્જુન ! અશ્વત્થામા ગુરૂપુત્ર છે તેને મારશો નહીં. વિધવા ગુરૂપત્નીને આઘાત લાગશે.” પોતાની સામે પોતાના પાંચ પુત્રોની લાશ પડી છે ત્યારે મનને સ્થિર રાખી દ્રૌપદી જવાબ આપે છે. “”મારનારને સજા થવી જોઇએ, પરંતુ અપરાધી બ્રાહ્મણ હોય તો નહીં. આથી અશ્વત્થામાના માથાનો મણિ લઇ લો. માથે મુંડન કરી છોડી મૂકો. તેને જોઇ લોકો જાણશે કે આ બાળહત્યારો છે.” અશ્વત્થામાના માથાનો મણિ લઇ લીધો. માથે મુંડન કરાવી કાઢી મૂક્યો. રાજકુમારોના અગ્નિસંસ્કારની તૈયારી કરી. શ્રીકૃષ્ણએ દ્રૌપદીને કહ્યું,”’ બહેન ! આનું નામ તે જીવન.”
શ્રીકૃષ્ણ થોડો વખત હસ્તિનાપુર રહ્યા. પછી અર્જુન-દ્રૌપદીને કહ્યું, “ હવે મને દ્વારકા જવા રજા આપો.” રજા મળી ગઇ. ભગવાન દ્વારકા જવા તૈયાર થયા હતા. અનેક લોકો ભેગાં થયા હતા., તેમાં બાવીસ વર્ષની વિધવા સગર્ભા ઉત્તરા કાળા કપડાં પહેરીને શ્રીકૃષ્ણને વિદાય આપવા આવેલી.ટોળામાં ફૂલની માળા હાથમાં લઇ પાછળ ઊભેલી હતી. મનમાં ને મનમાં વિચારતી હતી. હું વિધવા અને પાછી નાની ! હું કેમ કરી શ્રીકૃષ્ણ પાસે જાઉં? એટલામાં અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર માર્યું, ઉત્તરાના પેટમાં વાગ્યું. તેનો ગર્ભ બહાર નીકળી ગયો. પેટ દાબી ઉત્તરા કૃષ્ણ પાસે આવી, “જુઓ જુઓ મામા ! મારી આ દશા” શ્રીકૃષ્ણે કહ્યું, “ હે ઇશ્વર ! જો મેં જીવનમાં કાંઇ ખોટું ન કર્યું હોય તો બાળક જીવતો રહે.” બાળકમાં પ્રાણનોસંચાર થયો.ભગવાને ગર્ભ પાછો પેટમાં ગોઠવી દઇ ઉપર સુદર્શન ચક્ર ગર્ભનું રક્ષણ કરવા મૂકી દીધું. ઉત્તરા ઊભી થઇ ગઇ. કુંતીએ ભગવાનને નમસ્કાર કર્યા. કુંતીને ભગવાને વરદાન માગવા કહ્યું. કુંતીએ કહ્યું: “ હે ભગવાન ! મને વરદાન આપવું હોય તો જીવનમાં દુ:ખ આપજો. જેથી સતત તમારું સ્મરણ રહે.” કુંતીએ શ્રીકૃષ્ણને પૂછ્યું, “હે કૃષ્ણ ! ઉત્તરાને હવે તો કોઇ ભય નથી ને ? તેના ગર્ભને હવે વાંધો તો નહીં આવે ને? “ કૃષ્ણે કહ્યું,” “ ના હવે કોઇ વાંધો નહીં આવે.” ઉત્તરાને અધૂરે દિવસે બાળક અવતર્યું.
યુધિષ્ઠિર શ્રીકૃષ્ણ પાસે આવ્યા. વિનંતી કરી “હે કૃષ્ણ ! દ્વારકા જતાં પહેલાં મારી એક વિનંતી સાંભળો. મારી રાજગાદી પર બેસવાની જરાય ઇચ્છા નથી. મારે શેષ જીવન હિમાલયમાં ગાળવું છે. મારે બદલે ભીમસેનને ગાદી પર બેસાડો. કૃષ્ણે કહ્યું,” “ વિચારી જોઇએ .” અત્યારે 179 વર્ષના ભીષ્મ પિતામહની છેલ્લી ઘડીઓ ગણાતી હતી. કુરૂક્ષેત્રમાં બાણશૈયા પર પડ્યા પડ્યા ભીષ્મ ઇચ્છતા હતા કે મારી ભક્તિ સાચી હોય તો ભગવાન્મને દર્શન આપવા અહીં આવે. ભીષ્મનો સાદ ક્ર્ષ્ણે સાંભળ્યો. કૃષ્ણ જ્યાં કુંતી, પાંડવો અને દ્રૌપદી હતાં ત્યાં આવ્યા. તેઓને કહ્યું,” “ હાલ મારે દ્વારકા જવું નથી. ભીષ્મ પિતામહે મને યાદ કર્યો છે તેથી હું તેમનાં દર્શને જાઉં છું. કુંતીએ કહ્યું અક્મે બધાં પણ સાથે આવીએ છીએ. કૃષ્ણે બધાંને સાથે લીધાં. કૃષ્ણે પાંડવોને કહ્યું,”’ તમે પિતામહના માથા પાસે બેસજો. હું તેમના પગ પાસે બેસીશ.”
કુરૂક્ષેત્રમાં કરોડો માનવીઓ ભીષ્મ પિતામહનાં દર્શનાર્થે એકઠાં થયાં હતાં. ભગવાન કૃષ્ણનો રથ કુરૂક્ષેત્રમાં જ્યાં ભીષ્મની બાણશૈયા હતી ત્યાં આવ્યો. ભીષ્મ જાગ્યા. કૃષ્ણ રથમાંથી ઊતર્યા. અર્જુન અને પાંડવો પણ ઊતર્યા. બધાંએ ભીષ્મને પ્રણામ કર્યા. ભીષ્મે અર્જુનને કહ્યું, “અર્જુન મારા માથા નીચે બે બાણ માર જેથી મારૂં માથું ભગવાન કૃષ્ણને નમાવી શકું. તે પછી બીજું એક બાણ મારી પાતાળમાંથી ગંગા કાઢજે અને ગંગાજળ મારા મોઢામાં મૂકજે.” પાંચ પાંડવો, દ્રૌપદી, કુંતાજી ભીષ્મની આજુબાજુ બેઠાં. ક્ર્ષ્ણ પણ બેઠા. ક્ર્ષ્ણે ભીષ્મને કહ્યું, “ આ તમારો પૌત્ર યુધિષ્ઠિર ગાદીનો અધિકાર છતાં ગાદી પર બેસવાની ના પાડે છે.” ભીષ્મે યુધિષ્ઠિરને કહ્યું,”ખરે સમયે નાસી જવું તે યોગ્ય નીતિ નથી.” યુધિષ્ઠિર કહે, “ હે પિતામહ ! મારું મન ઠેકાણે નથી. મારો આત્મા બળ્યા કરે છે.” તે જ ક્ષણે ભીષ્મે યુધિષ્ઠિરને ઉપદેશ આપ્યો તેમજ વિષ્ણુસહસ્ત્રનો પાઠ કહ્યો. પછી ભીષ્મે આંખો બંધ કરી ભગવાનની સ્તુતિ કરી. કૃષ્ણને કહ્યું,” “ ભક્તે ભગવાનને કંઇક ભેટ આપવી જોઇએ. હે મધુસૂદન ! મારી દિકરી વિત્ઋષ્ણા કુંવારી છે. તેની સાથે તમે લગ્ન કરો. દીકરી વિતૃષ્ણામતિ હું તમને અર્પણ કરું છું. તેનો આપ સ્વીકાર કરો. મેં જાણે અજાણ્યે કોઇ ભૂલ કરી હોય તો ક્ષમા માગું છું. હે કૃષ્ણ ! મને કર્ણે નિમકહરામ કહ્યો. તમે કૌરવોના પક્ષમાં રહી પાંડવો પ્રત્યે પક્ષપાત કર્યો છે પણ હે કૃષ્ણ ! હું નિમકહરામ નથી. હું હંમેશ નિમકહલાલ રહ્યો છું. મેં કોઇને ય ક્યારેય અન્યાય કર્યો નથી. મહાભારતના યુદ્ધના દસમા દિવસે ભીષ્ણ યુદ્ધ ચાલતું હતું. મેં અર્જુન અને તેના ઘોડાનેઅનેક બાણો માર્યા. તમને (કૃષ્ણને) જ્યારે પરિસ્થિતિ કથળતી લાગી ત્યારે હે કૃષ્ણ તમે રથનું પૈડું હાથમાં લીધું. મેં તમને હથિયાર હાથમાં નહીં લેવાની તમારી પ્રતિજ્ઞા યાદ કરાવી. હું કૌરવોના પક્ષે પૂરેપૂરો વફાદાર રહ્યો.”
જીવનની છેલ્લી ઘડીઓ ગણાતી હતી. ભીષ્મે એક ચિત્તે ભગવાનની પ્રાર્થના કરી “ હેવ અર્જુનના સારથિ ! હે ભગવાન ! મારા પ્રાણ કેમ જતાં નથી?” દ્રૌપદી વચ્ચે બોલ્યાં “ હે મારા વડા સસરાજી, જ્યારે દુ:શાસન દ્વારા મારા કેશ પકડી મને ભરસભામાં ઘસડીને લાવવામાં આવી, મારાં 999 વસ્ત્રો ખેંચાયાં ત્યારે તમારી બુદ્ધિ ક્યાં ગઇ હતી ? તમે કોઇ મારી મદદે કેમ ન આવ્યા ? મારા કેશવે મને સહાય કરી.” શ્રીકૃષ્ણે કહ્યું, “ હે પિતામહ દ્રૌપદી ભરસભામાં આવતા બોલી હતી કે જે સભામાં પિતામહ હોય, આચાર્ય દ્રેઓણ હોય, ત્યાં જવામાં બીક શાની? તમારા પર વિશ્વાસ રાખી દ્રૌપદી સભામાં આવેલી, તેનાં ચીર ખેંચાતા રહ્યા. તમે તે જોઇ રહ્યા પણ કાંઇ બોલ્યા નહીં, પાપ થતું, અન્યાય થતો નજરેથી તમે જોઇ રહ્યા. દુ:શાસનને તમે અટકાવ્યો કે રોક્યો નહીં, તેનું દુ:ખ આજે તમે મરતી વખતે ભોગવી રહ્યા છો.” ભીષ્મે પોતાની ભૂલ કબૂલ કરી. દ્રૌપદીને કહ્યું, “હે દ્રૌપદી દીકરી, હું તારી ક્ષમા માગું છું. કૌરવોનું અન્ન ત્યારે મારા દાંતમાં હતું એટલે મારી બુદ્ધિ ભ્ર્ષ્ટ થયેલી, દીકરી મને માફ કર.”
અર્જુને બાણ મારી પાતાળમાંથી ગંગાજી કાઢ્યાં. પિતામહનાં મોઢામાં ગંગાજી પધરાવ્યાં. ભીષ્મનું શરીર શાંત થયું. ભગવાન ભીષ્મના શરીર પર પુષ્પાંજલિ અર્પણ કરી. ભીષ્મનો અગ્નિસંસ્કાર કર્યો. ત્યાર પછી કૃષ્ણ યુધિષ્ઠિરપાસે ગયા. યુધિષ્ઠિરને કહ્યું, “ હે યુધિષ્ઠિર, હવે કાર્યભાર સંભાળી લો અને મને દ્વારકા જવાની રજા આપો.”
શ્રીકૃષ્ણ દ્વારકા જવા નીકળ્યા. લોકો કૃષ્ણને વિદાય આપવા કતારમાં ઊભા હતા.ઉત્તરા પણ હાથમાં ફૂલ લઇને ઊભી હતી. ઉત્તરા વિચારતી હતી કે ભગવાનને કહું કે કો’કવાર યાદ કરજો, પણ અસામે જાઉં કે નહીં? રથમાં ચડતાં ભગવાનની નજર ઉત્તરા પર પડી. ઉત્તરાએ પ્રણામ કર્યા, શ્રીકૃષ્ણે આશીર્વાદ આપ્યા “વીર પુત્ર દેનારી થા.”
શ્રીકૃષ્ણ દ્વારકા આવ્યા. ઘરનાં સૌને હસ્તિનાપુરની વાતો કહી સંભળાવી.
વિદુરજીના કહેવાથી ગાંધારી ધ્ર્તરાષ્ટ્રને દોરી હરિદ્વારમાં શેષ જીવન ગાળવા આવ્યા. વિદુરજીએ કહ્યું “ હે ગાંધારી ! ધ્ર્તરાષ્ટ્ર ! તમે બન્ને હવે અહીં રહી કંદમૂળ-ફળનો આહાર કરો, અગ્નિહોમ કરી, સંયમથી, શાંત મનથી રહો અને શેષ જીવન પૂરૂં કરો.” વિદુરજી પછી તીર્થયાત્રાએ ચાલ્યા ગયા. હસ્તિનાપુરમાં ઉત્તરાએ રાજકુમારને જન્મ આપ્યો. બ્રાહ્મણો પાસે જાતકર્મ કરાવ્યાં. દીકરાનું નામ પરીક્ષિત પાડ્યું. બ્રાહ્મણોને પૂછ્યું,” રાજકુમાર કેવો થશે? “ રાજકુમારની કકુંડળી જોઇ બ્રાહ્મણોએ કહ્યું, “ રાજકુમાર પરીક્ષિત દાન પુણ્ય કરનારો થશે. લગ્ન થશે. પુત્રો થશે. ઇશ્વર સ્મરણ કરતાં જીવન પૂરું કરશે.”
મોટાભાઇ યુધિષ્ઠિરની રજા લઇ અર્જુન કૃષ્ણ્અને મળવા દ્વારકા આવ્યા. દ્વારકામાં અર્જુને ઘણી ધાંધલધમાલ જોઇ. અર્જુને શ્રીકૃષ્ણને પૂછ્યું,“ આ ધમાલ શાની છે ?” કૃષ્ણે કહ્યું, “ હે અર્જુન ! મારા કુળને બ્રાહ્મણોનો શાપ છે. અમે બધાં પ્રભાસપાટણ સપરિવાર જવાના છીએ.” “ હે કૃષ્ણ ! તમે સ્વધામ જવાના હો તો તમારાં છેલ્લાં દર્શન કરવા માટે હું તમારી સાથે આવું.” “ હે અર્જુન ! તું એક વાત સાંભળ. કોઇ પણ સંજોગોમાં તું મને પાણી પાતો નહીં.”
યાદવોને લઇ શ્રીકૃષ્ણ પ્રભાસપાટણ આવ્યા. પ્રભાસપાટણ જતાં યાદવો અંદર-અંદર લડી પડ્યા. આખા યાદવ કુળનો સંહાર થયો. સ્વધામ જતાં પહેલાં ભગવાન કૃષ્ણે યદુવંશનો સંહાર જોયો. પીપળાના ઝાડ નીચે વિસામો લેવા બેઠા. પારધીએ મૃગ સમજી બાણ માર્યું. શ્રીકૃષ્ણના પગને વીંધી શ્રીકૃષ્ણની છાતીમાં સોંસરવું ઊતરી ગયું. ભગવાનના પગમાંથી અને શરીરમાંથી લોહી નીકળવા માંડ્યું. અર્જુન પાણી આપવા ગયા, પણ શ્રીકૃષ્ણે પાણી પીવાની ના પાડી. ભગવાનની લોહી નીગળતી હાલત જોઇ અર્જુન બેભાન બની ગયો. શ્રીકૃષ્ણે સારથિને કહ્યું, “ અર્જુનને રથમાં બેસાડી હસ્તિનાપુર મૂકી આવ.” ભગવાન સ્વધામ જવાના હતા. ચારેબાજુ વિનાશ, ધરતીકંપ થવા લાગ્યો.
પંદર દિવસ થઇ ગયા છતાં અર્જુન પાછો આવ્યો નહીં. યુધિષ્ઠિરને ચિંતા થવા લાગી. મોટાભાઇ યુધિષ્ઠિરે ભીમને કહ્યું.” “ અર્જુનને દ્વારકા જઇ બોલવી લાવો. મારું શરીર ધ્રૂજે છે.આંખ ફરકે છે. ભીમ દોડતાં દોડતાં અર્જુનને શોધવા જાય છે ત્યારે સામે અર્જુન મળે છે. તેની જાતનાં ઠેકાણાં નથી. આવી હાલતમાં જોઇ ભીમે અર્જુનને પાણી પાયું અને પૂછ્યું,” હે અર્જુન! તને શું થયું? આમ ચકળવકળ કે?” “ ભાઇ ! ભાઇ ! ભગવાન સ્વધામ પધાર્યા.”અર્જુનને ભીમે બધા ભાઇઓ પાસે હાજર કર્યા. અર્જુન કહે, “મોટાભાઇ મારે અહીં રહેવું નથી, હું કૃષ્ણ વિના નહીં રહી શકું.”
યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું,”ધીરજ રાખ, સમજણ રાખ, આપણા પૌત્ર પરીક્ષિતને ગાદીએ બેસાડી આપણે બધા હિમાલય ગાળવા જઇશું. જલદી આપણે પણ સ્વધામ જઇશું.”
અર્જુને ક્ર્ષ્ણને યાદ કરી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો. ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, કૃષ્ણ સાથેના ભૂતકાળના ગાળેલા દિવસો અને પ્રસંગો અર્જુન યાદ કરવા લાગ્યો.
RSS
પ્રતિભાવો