શાત તોમાર છંદ/સંપાદન:રમેશ સંઘવી0 રમણીક
સોમેશ્વર/મીડિયા પબ્લિકેશન
આતમ કેરી વાણી
પાનું:1
રોજેરોજની ચિંતન યાત્રા
અંતરમમ વિકસિત કરો અંતરતર હે !
નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે!
0અંતર
જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે !
મંગલ કરો, નિરલસ નિ:સંશય કરો હે !
0અંતર
યુક્ત કરો હે સબાર સંગે મુક્ત કરો હે બંધ,
સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ !
0અંતર
ચરણ-પદ્મે મમ ચિત્ત નિષ્પંદિત કરો હે !
નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે!
નંદિત કરો,
0અંતર
–રવીંદ્રનાથ ઠાકુર
પાનું:2
દોહરો
યા અનુરાગી ચિત્તકી ગતિ ગતિ સમજે નહીં કોઈ I
જ્યોં જ્યોં બૂડે શ્યામ રંગ, ત્યોં ત્યોં ઉજ્જવલ હોઈ II
બિહારી
—————————————-
આરત
હે મારા સ્વામી ! હું તે તારું ક્યું સ્વરૂપ સંભારું ને ક્યું ન સંભારું? જ્યારે મારું હ્રદય કઠોર ને શૂન્ય બને છે, ત્યારે તું દયાની વૃત્તિરૂપે પ્રગટે છે !
જ્યારે જીવનમાંથી હું રસ ખોઈ બેસું છું, ત્યારે તું કોઈ મધુર ગીતાવલીના સરોદરૂપે, મારા અંતરને જગાડી જાયછે. જ્યારે કામની અસંખ્ય ધમાલોથી હું આકુળવ્યાકુળ બની જાઉં છું, ત્યારે તું મારી પાંપણ ઉપર બેસીને જરાક નિદ્રાઘેનની મોહિની બંસી છેડી મને આરામ આપી જાય છે !
કોઈ વખત મારું ભીરુ કંગળ હ્રદય કોઈ એક અંધારા ખૂણામાં રાંકની જેમ સાવ નિર્માલ્ય બનીને ટૂંટિયું વાળી બેસી જાય છે, ત્યારે તું હે મારા રાજા ! કોઈ મહાન નૃપતિની અદાથી, એકદમ બારણું ખોલીને પ્રવેશે છે અને મારી પેલી રાંકડી ક્ષુદ્રતા કોણ જાણે કયાં ભાગી જાય છે !
અને જ્યારે અદમ્ય કામનાનો ઘેરો અંધકાર મારા મન—આકાશને વીંટળાઈ વળે છે ત્યારે હે પવિત્ર !તું વીજળી લઈને મારી પાસે આવે છે ! હું તે તને, હે મારા નાથ ! ક્યે સ્વરૂપે પિછાનું ને ક્યે સ્વરૂપે ન પિછાનું?
–રવીંદ્રનાથ ઠાકુર(‘ગીતાંજલિ’માંથી)
જીવન સંગીત
વડોદરામાં શ્રીવાલજીભાઈ પટેલ રહે છે. જીવનને જોવાની, સમજવાની તેમની દૃષ્ટિ આપણને ખૂબ પ્રેરણા અને માર્ગદર્શન આપી રહે તેવી છે, તેઓ કહે છે:”હકીકતમાં જીવન નિત્ય નૂતન છે. પળે પળે નવીન છે.નિત્ય નૂતન જીવન જીવવાથી દરેક સમસ્યાનો બોજ કદી લાગે નહીં, એટલે જીવનમાં નિરંતર હળવાશ આવવાથી જીવન ઉપર અખંડ વિશ્વાસ જન્મે છે.”
આ હળવાશ એટલે જ પ્રસન્નતા. વાલજીભાઈ એક જગ્યાએ કહે છે:”તમે કદી નિરીક્ષણ કરો છો કે આપણે બેધ્યાનપણામાં વધારે બોલબોલ કરીએ છીએ કે ખાધા કરીએ છીએ, પછી તેનો પસ્તાવો પણ બેધ્યાનપણામાં જ કરતા હોઈએ છીએ. આમ જડતામાં જીવન જીવાય છે અને સંવેદનશીલતા આવતી નથી. પછી બધા રોગો આપણી ઉપર ચઢી બેસે છે.” વાલજીભાઈની આ વાત વિચારવા જેવી નથી લાગતી?
શ્રીવાલજીભાઈ કહે છે:”રોજ જાગીએ ત્યારે નવી રીતે જાગીએ. દરરોજ નવી રીતે જીવવાથી વર્તમાનમાં જીવાય છે અને આ વર્તમાન એટલે જ સમગ્રતા. વર્તમાનમાં જીવવાની કળા આવડી જાય તો તેમાંથી ખૂબ જ બળ મળે છે અને જીવન સૂરીલું અને સંગીતમય બને છે. આ રીતે જેમ જેમ યાત્રા કરતા જઈશું તેમ તેમ જીવન જીવવા જેવું લાગશે, જીવનમાં ઉત્સાહ ઊભરાશે અને જીવન શુદ્ધ અને નિર્મળ બનશે. શરીર-મનનો કચરો આપોઆપ ધોવાઈ જશે.” આ શુદ્ધતા એજ સ્વસ્થતા, તન—મનની તાજગી.
વાલજીભાઈના મતે કેવળ શબ્દોને મહત્ત્વ આપવાથી આપણે સ્વ-રૂપની બહાર નીકળી જઈએ છીએ અને તેથી ભીતરનાં આનંદ અને સ્ફૂર્તિ અનુભવી શકતા નથી. તેઓ કહે છે,” કોઈપણ વ્યક્તિ સાથે તર્ક અને દલીલો કરવાથી પોતાની જાત સાથે અવધાન આવતું નથી. ઇલટું જીવનમાં જડત્વ આવે છે અને જીવનનાં રહસ્યો ઉકેલાતાં નથી.” આટલું સમજાય તો અહ નો અંત આવે અને શાંતિ અને મુક્તિનો અનુભવ થાય. નિત્ય નૂતન જીવન-સંગીતની અનુભૂતિ થાય.
–રમેશ સંઘવી
પ્રેરક પ્રસંગ
“આપ સંસારના તમામ સુખ—દુ:ખથી અલિપ્ત રહી શકો છો, તેવી સાધના મારે કરવી છે.” તેવી માંગણી કરનાર ભક્તની સામે નજર ફેરવીને એકનાથે કહ્યું:”ભાઈ, આવી સાધના કરવા જેટલો વખત હવે તમારી પાસે નથી. આજથી બરાબર સાતમા દિવસે તમારું મૃત્યુ થવાનું છે.” સાંભળનારના હોંશકોશ ઊડી ગયા. ખાવું, પીવું, કમાવું, ભોગવવું કશામાં મન લાગે નહીં સામે સતત મોત ઝળુંબતું દેખાય. આખો સંસાર અને તમામ સાંસારિક પ્રવૃત્તિઓમાંથી મન ઊઠી ગયું. મરવાનું જ છે તો પછી ખોટું કરીને અથવા સંબંધો બગાડીને શા માટે જવું તેવા વલણને કારણે તેના વર્તનમાં પ્રામાણિકતા અને વાણીમાં મીઠાશ આવી. બધા જોડે હેતપ્રીતથી વર્તવા લાગ્યો. વ્યવહારમાં સમતા આવી. આઠ દિવસ પૂરા થયા. મરણ આવ્યું નહીં તેથી ખુશીથી છલકાતો તે એકનાથ પાસે પહોંચ્યો.”આપની ભવિષ્યવાણી ખોટી પડી, હવે મને સાધનાનો માર્ગ બતાવો.”એકનાથે કહ્યું:” આજ સાધના છે. સંસારમાં જે કંઈ છે તે બધું અનિત્ય છે. ગમે તે ઘડીએ વ્યક્તિનો, સંપત્તિનો, સંબંધોનો નાશ થઈ જાય છે. મોત માથે જ છે તેમ સમજીને કામ કરીએ તો સુખ—દુ:ખથી અલિપ્ત થઈ શકાય.
–નગીનદાસ સંઘવી.
————————————————
પ્રેરણા
એક તદ્દન નવી વાનગીની રીત આ પ્રમાણે છે. સૌ પ્રથમ એક કિલો પ્રેમ લઈ એમાં બસો ગ્રામ સ્મિત ઉમેરો. આથો ચડી રહે પછી એમાં ચાર ચમચી વિશ્વાસ અને ત્રીસ ગ્રામ જેટલી સહાનુભૂતિ તથા પા લીટર સચ્ચાઈ ઉમેરો. જે મિશ્રણ તૈયાર થાય તેને બરાબર ઘૂંટીને ઘટ્ટ થવા દો. પછી એમાં એટલા જ વજન જેટલો આનંદ રેડીને ઠીક ઠીક સમય સુધી વૈરાગ્યના રેફ્રિજરેટરમાં મૂકી રાખો. થોડાક કલાક પછી યોગ્ય કદનાં ચકતાં પાડીને શત્રુઓ તથા મિત્રોમાં વહેંચવા માંડો. આવી સ્વ્વાદિષ્ટ વાનગીનું નામ જીવન છે.
–ગુણવંત શાહ
————————————————–
પથ્ય
“જીવનમાં ક્યા પથ્યનું પાલન કરીએ?” એક બહેને વિનોબાજીને પૂછ્યું. બાબા કહે:”ભગવાને મનુષ્યને બે કાન આપ્યાં છે, જીભ એક છે. તો સાંભળો વધુ અને બોલો ઓછું. નિરીક્ષણ અધિક, બોલવું ઓછું.”
અમેરિકન મુલાકાતીઓ સાથે વત થઈ રહી હતી. વિનોબાજી કહી રહ્યા હતા, “તમે લોકો હંમેશા ઉતાવળમાં અને ચિંતામાં. Hurry અને Worry તમને સદા સતાવે.જ્યારે મારો સૂર છે હરિ હરિ !”
આશ્રમમાં કોઈ માંદું પડે તો વિનોબાજીને મળે. સાધકને માંદગી ન પોસાય. કોઈ માંદું પડે તો બાબા તેની કારણ મિમાંસા પૂછે. ખાવા-પીવામાં, ઊંઘવા-નહાવામાં ક્યાંય ભૂલ થઈ ? ક્યાંય અનિયમિતતા, અસ્વાસ્થ્યતા દાખલ થઈ? કોઈ ચોક્કસ જવાબ ન આપી શકે તો કહે”ગુરુ આયા, ગુરુ ગયા, પરંતુ હમ તો કોરે કે કોરે રહ ગયે !જ્ઞાનકુછ ભી નહીં મિલા.” તેમનું માનવું હતું કે માંદગી ગુરુ બનીને આવે છે. તેની પાસેથી જ્ઞાન ગ્રહણ કરીએ તો તે ફરી ન ફરકે.
———————————————–
હાસ્યોપચાર
ગંભીર હાલતમાં પહોંચેલા દરદીની વિદાય લેતાં દાકતર ઉમંગભેર બોલ્યા, “કાલે હું તમને પછો મળીશ.”
“બેલાશક, આપતો મને મળશો જ,” દરદીએ જવાબ આપ્યો”પણ હું આપને મળી શકીશ ખરો?”
————–
આરોગ્ય માટે કેવળ ઉચિત જ નહીં પણ નરવી જમીનમાં પેદા થયેલો ખોરાક જરૂરી હોય છે. -પ્યારેલાલ
———————————————–
Leave a comment