ભીષ્મ મહાભારતનાં પાત્રો//નાનાભાઇ ભટ્ટ

Bhshma.ek

ભીષ્મ

મહાભારતનાં પાત્રો//નાનાભાઇ ભટ્ટ// આર. આર. શેઠ

 

ગંગાપુત્ર

‘દેવી ! સબૂર.’

ગંગામૈયાનાં ઘેરાં નીર મંદમંદ વહ્યાં જતાં હતાં. ચારે તરફ અંધકાર જામી ગયો હતો. કાંઠા પર વૃક્ષો મંદમંદ ડોલતાં હતાં;દૂરથી અવારનવાર નિશાચરોનો અવાજ ચાલ્યો આવતો હતો.પ્રવાહની મર્યાદા બહાર રેતીનો પટ લાંબો પથરાઇને પડ્યો હતો.

કાંઠા પરના પાટનગરથી સડસડાટ કરતી એક સ્ત્રી ચાલી આવી. તેનું શરીર ગૌર હતું; તેના વાળ છૂટા થઇને છાતી પર પથરાયા હતા; તેના પગમાં ઉતાવળ હતી; તેના હાથમાં તરતનું જન્મેલું એક બાળક હતું.

સ્ત્રી કાંઠે પહોંચી, બાળકને એક રૂમાલમાં વીંટી નીચે મૂક્યું, પોતાના વાળ ઠીક કર્યાં. વસ્ત્રનો કછોટો માર્યો અને બાળકને ઊંચકવા જાય છે ત્યાં પાછળથી કોઇનો અવાજ આવ્યો : ‘દેવી ! સબૂર.’

વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ તે સ્ત્રી ચોંકી ગઇ અને તરત જ પાછળ જોઇને બોલી : ‘ મહારાજ શાંતનુ ! આપ અહીં ક્યાંથી ?’

 ‘ દેવી ! આ બાળકને તમે નહિ મારી શકો.’ શાંતનુએ હસ્તિનાપુરના માલેકના અવાજથી કહ્યું.

‘ મહારાજ ! ’ દેવી ગંગાએ જવાબ વાળ્યો. ‘ આ રહ્યો આપનો પુત્ર. આપણું સહજીવન આ ક્ષણથી પૂરું થાય છે. કેમ બોલતા નથી ?’

મહારાજ શાંતનુ બોલ્યા : ‘ગંગા, ગંગા ! આ બાળકતો આપણું આઠમું સંતાન. આપણા સાત સાત પુત્રોને તમે જલસમાધિ કરાવી એ હું મૂંગે મોઢે સહી રહ્યો છું. દેવી! હસ્તિનાપુરના મહેલમાં મહાલવાને સરજાયેલા પુત્રોને જતા કરતાં મને શું શું થયું હશે તેનો વિચાર આવે છે ? આજે આ આઠમા પુત્રને પણ નદીમાં પધરાવવા તમે નીકળ્યાં ત્યારે મારી ધીરજ ન રહી. અને જીવનના સારરૂપ પોતાના ફરજંદને માટે પિતાને આટલું સરખું લાગે તો શું એ અપરાધ છે ?’

ગંગાએ શાંતિથી જવાબ વાળ્યો : ‘મહારાજ ! એ દ્રષ્ટિથી બોલું તો તો આજ સુધી તો આપ કશુંયે ન બોલ્યા એ જ અપરાધ છે. આજે તો આપનો ધર્મ બજાવ્યો છે.’

 ‘તો પછી આપણું સહજીવન આજથી બંધ થાય છે એમ કહી તમે મને નાહક શા માટે દુ:ખી કરો છો ?’  શાંતનુએ પૂછ્યું .

ગંગાદેવી બોલ્યાં: ‘મહારાજ ! મારો ભાવ આપ સમજ્યા નહિ. આપણે પરણ્યાં તે પહેલાં જ આપણે સંકેત કર્યો હતો કે હું જે જે કાંઇ કરું તેમાં આપે આડા આવવું નહિ, તેમ જ મને તે વિષે કશું પૂછવું પણ નહિ. બોલો સાચી વાત ?’

મહારાજ શાંતનુ બોલ્યા : ‘ હા, આપણો સંકેત એવો હતો; પણ તમારાં જેવી ધર્મપત્ની પુત્રોને જ મારી નાખશે અને મારી જીભે તાળાં મારવાં પડશે. એવો તો મને સ્વપ્નેય ખ્યાલ નહિ. એવોખ્યાલ હોત તો સંકેત કરતાં પહેલાં જ વિચાર કરત.’

ગંગાદેવી બોલ્યાં : ‘મહારાજ ! એ બધું તો આજે બોલાય. તે દિવસે આપનું મન મારા પરના મોહમાં હતું એટલે સંકેતનાં પરિણામો આપના મગજમાં ડોકિયું પણ કરી ન શકે. કામી પુરુષ શાંતિથી પૂર્વાપરનો વિચાર કરી શકતા હોત તો માનવસમાજ ક્યારનો ફરી ગયો હોત. પણ મહારાજ ! આપ્ણે સંકેત કર્યો એટલે આજે હવે તે પાળવો જોઇએ. હવે પહેલાંથી વિચાર કરીને સંકેત કરજો.’

શાંતનુથી ન રહેવાયું: ‘આજ સુધી ન બોલ્યો અને આજે એક વાર બોલ્યો ત્યાં સહજીવન બંધ ? બસ, ખલાસ ? તમારા તરફનો મારો સ્નેહ આંધળો છે તેથી બીક તો નથી બતાવતાં ને ?’

ગંગાએ કહ્યું: ‘  જરૂર નહિ, મહારાજ ! હું ગમે તેવી કઠણ પણ સ્ત્રી છું. અમારી છાતીમાં કેવું કોમળ હૈયું ધબકે છે તેની કઠણ કાળજાવાળા પુરુષોને ખબર પડીયે નથી અને પડવાનીયે નથી.મહારાજ ! તમે તો આઠમા પુત્ર માટે ધીરજ છોડી, પણ આ હાથે સાત સાત પુત્રોને જળમાં સુવાડતાં મને- તેમની જનેતાને શું થયું હશે  તેનો ખ્યાલ કરો છો? શાંતનુ મહારાજ ! હું દેવપુત્રી છું; અમ આર્યોને આ બાળકોનું માહાત્મ્ય હજી તો શીખવાનું છે. પણ મહારાજ ! મેં આપણા સાત પુત્રોને જળસમાધિ કરાવી છે; એ જ ગૂઢ સંકેતને અનુસરીને હું આપને વરી હતી; અને એ જ ગૂઢ સંકેતને અનુસરીને આજે હવે હું આપનાથી છૂટી પડું છું.’

 ‘દેવી, દેવી !’ શાંતનુ ગ્ળગળા થઇ ગયા, ‘તમે આ શું બોલો છો? તમારા વિના શાંતનુ શી રીતે જીવી શકશે ? તમે કહો તો હું મારું બોલ્યું પાછું ખેંચી લઉં અને આ પુત્રનું પણ તમારે જે કરવું હોય તે ખુશીથી કરો; પણ દેવી ! મને આમ ન છોડો.’

ગંગાએ ગંભીર અવાજે જવાબ આપ્યો : ‘ મહારાજ ! આપ શા માટે મૂંઝાઓ છો ? હું તો ગંગા . પેલાં સામે બરફનાં શિખરો દેખાય છે ત્યાં મારો જન્મ. મહારાજ ! માનવીનું આ ઠેકાણે નામનિશાન ન હતું તે કાળથી હું આ પ્રદેશમાં વિચરું છું. આજે જ્યાં તમે ઊભા છો અને જ્યાં તમારું હસ્તિનાપુર ઊભું છે. ત્યાં એક દિવસ સાગર ઘૂઘવતો હતો. એક દિવસ પરમેશ્વરનો હુકમ છૂટ્યો અને સાગર ત્યાંથી હઠ્યો એટલે ત્યાં મોટો ખાડો થયો. પિતાના ખોળામાંથી સરતી સરતી હું આ મોટા ખાડામાં પડી, તે વર્ષો સુધી નીકળી ન શકી.અધધધ . કેવો મોટો ખાડો ! બાપને ઘેરથી લાવી લાવીને મેં વર્ષો સુધી માટી પૂરી ત્યારે હું ખાડામાંથી બહાર નીકળવા પામી. આ તો યુગયુગાંતરની વાત. ત્યાર પછી તો આ પ્રદેશમાં માનવી આવ્યાં; કેટલાંયે આવ્યાં અને કેટલાંયે ગયાં. તેની આવજાના લેખો મારા પેટમાં સંઘર્યા છે તે કોઇ ઉકેલનાર જન્મશે તો વાંચશે. મહારાજ ! આંખો કેમ બંધ કરી દીધી ?’

‘દેવી ! તમે બોલો છો તે સમજવાને માટે હું આંખો મીંચી ઊંડો ઊતરું છું. તમે ચલાવો. મેં તો તમને મારા જેવા હાડચામની પૂતળી તો ખરીજ ના; નહિતર તમારી ચામડાની આંખોને શા માટે ખેંચાવું  પડે? પણ મહારાજ!  એ વાત જવા દો.’

’તમે કહેતાં હતાં તે ચલાવો.’ શાંતનુ બોલ્યા.’

ગંગાએ ચલાવ્યું:’મહારાજ ! અમે બધી બહેનો એ જ ધોળાં શિખરો પરથી ઊતરીએ છીએ. આ આખાયે પ્રદેશ પર તમે સિધ્ધો, ઋષિઓ, જ્ઞાનીઓ અને પંડિતો વગેરેને જુઓ છો તે અમારાં  પાણીનો પ્રતાપ છે. આખા આર્યાવર્તની હું માતા જેવી છું,છતાંયે નિત્ય કુમારી છું.કરોડો માનવીઓ મારા આરે જીવ્યાં છે અમે મૂઆં છે; હજારો રાજા-મહારાજાઓના રથો આ પ્રદેશમાં ફર્યા છે અને ધૂળ  ચાટતા થયા છે. પણ આ બધાયને કાળ ખાઇ ગયો છે. માત્ર હું નિત્ય કુમારી ટકી છું અને ટકવાની છું . મારા ઉદરમાં મેં કેટલીયે સંસ્કૃતિઓને પચાવી છે. અને આ બધાનું ઓજસ તમને આર્યોને આપી દેવું એવો મને ઇશ્વરી આદેશ છે. મહારાજ ! આપનો આ પુત્ર મારું ઓજસ આ પ્રદેશમાં ફેલાવશે. લ્યો આ પુત્રને. બેટા ! જા, ચિરંજીવ !’ ગંગાએ બાળકને લઇને હાથ લાંબો કર્યો.

’દેવી !’ શાંતનો બોલ્યા, ‘મેં તમારો આ મહિમા પિછાન્યો નહિ અને માત્ર વાસનાદ્રષ્ટિથી જ તમને જોયાં તે ખાતર મને માફ કરો દેવી !તમે આખા આર્યાવર્તનાં માતા છો તો આ પુત્રને તમે જ ઉછેરીને મોટો કરો. તમારા અમૃતપાનથી સંસ્કાર પામેલો આ મારો પુત્ર દેશને ઉજાળશે.’

‘ભલે એમ કરુ; મહારાજ !’ ગંગા બોલ્યાં, ‘આપણે આનું નામ દેવવ્રત  રાખીએ. અને ઉછેરીને હું આપને સોંપીશ; હવે આપ સિધાવો.’

‘પણ ગંગા !’ શાંતનુ બોલ્યા, ‘તમારા વિના સૂના મહેલમાં હું શી રીતે પગ મૂકીશ ? મારી એક ભૂલને તમે જતી ન કરો ?’

ગંગા બોલ્યાં : ‘મહારાજ શાંતનુ  ! એમાં ભૂલનો સવાલ જ નથી.આપણો ઋણાનુબંધ પૂરો થયો. આપણો આટલો વખત ગૃહસ્થાશ્રમ ભોગવ્યો તોય  જો કામવાસના એની એજ રહી હોય તો  હવે તેને જીતવા માટે બીજો માર્ગ શોધવાનો રહે છે. મહારાજ ! ખિન્ન ન થાઓ; પ્રસન્ન ઇને સિધાવો.’

શાંતનુબોલ્યા:’ તો જેવા મારાં નસીબ, દેવી ! શાંતનુના તમને આ છેલ્લા નમસ્કાર. દેવી ! આપણા આટલા લાંબા સહવાસને અંતે તમે કંઇક હુકમ કરો, એટલે તમને ઓળખી ન શક્યો તેનું પ્રાયશ્ચિત્ત થઇ જાય.’

ગંગા બોલ્યાં: ‘મહારાજ ! હું તો આપની દાસી. આપના પગની રજ માથે ચડાવું તો હું જીવતર જીતી જાઉં, પણ એક વાત કહેવાનું મન થઇ જાય છે.’

‘કહો, જરૂર કહો.’ સાંતનુ બોલ્યા.

ગંગાએ ચલાવ્યું. ‘મહારાજ ! માણસ પરણે ત્યારે તે ગમે તેવી આડીઅવળી વાતો કરતા હોય પણ એ પરણે છે મોટે ભાગે વાસનાતૃપ્તિ માટે. આપણે પણ  એમ જ પરણેલાં . આ લગ્નમાંથી એકાદ જણ અદ્રશ્ય થાય ત્યારે પાછળ રહ્યું હોય તે રખડી પડે છે, અને તેની વસના શમી ન હોય એટલે તેને આમતેમ ફાંફાં મારવા પડે છે. મહારાજ ! તમારી પણ આવી દશા ન થાય એટલું હું ઇશ્વર પાસે માગું છું.

શાંતનુ બોલી ઊઠ્યા: ‘અરે દૈવ !’ ‘અરે બરે કશું નહિ. આ ક્ષણે તમારો મનોભાવ કેવો છે તે હું સમજું છું. પણ કાળ આવા બધા મનોભાવોને ખાઇ જાય છે એ પણ હું બરાબર જાણું છું. મહારાજ ! જતે દિવસે તમારા મનમાં આવી વાસના જન્મે ત્યારે જાગતા રહેજો; અને મારા પ્રતીક તરીકે આ પુત્ર તો તમારી પાસે જ છે મહારાજ ! આટલાં વર્ષ આપની પાસે રહી અને આટલું ન માગું તો મારા અંતરને જંપ ન વળે માટે માગી લઉં છું.’

શાન્તનુ બોલ્યા : ‘ એમાં તમે માગ્યું શું? એ તો જે મારે કરવું જ છે તે તમે આગળથી કહી બતાવ્યું એટલું જ. શાંતનુ હવે જીવનભર બીજે નજર નાખવાનો નથી.’

‘મહારાજ ! હવે હું રજા લઉં છું.’

ગંગા એટલું બોલ્યાં ત્યાં તો પ્રવાહની વચ્ચે એક પર્વત જેવડું મોજું ઊંચું થયું અને આવીને ગંગાને તથા દેવવ્રતને લઇને પાછું સરી ગયું.

શાન્તનુ મહરાજ કાંઠે ઊભા ઊભા જોઇ રહ્યા.

==============================================

  

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

Leave a comment

વાચકગણ
  • 777,994 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
જૂન 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો