સ્થિતપ્રજ્ઞના લક્ષણો શ્રીમદ્ ભગવદ્ ગીતા—અધ્યાય બીજો/શ્લોક:54 થી 72
નોંધ:-
સંસ્કૃત શ્લોકો ગીતાપ્રેસ-ગોરખપુરમાંથી લીધેલ છે.
સમગેય ગુજરાતી પદ્ય ભાષાંતર “ગીતા ધ્વનિ”/કિશોરલાલ મશરૂવાળાનું છે.
ગદ્ય સમજૂતિ ગાંધીજીના “અનાસક્તિયોગ” માંથી છે.
અર્જુન ઉવાચ: સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ
સ્થિતધી:કિં પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ્ …..54
અર્જુન બોલ્યા:
સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કેશવ?
બોલે, રહે, ફરે કેમ, મુનિ જે સ્થિરબુધ્ધિનો?…54
અર્જુન બોલ્યા:
હે કેશવ !સ્થિતપ્રજ્ઞનાં એટલે કે સમાધિસ્થનાં શાં ચિહ્ન હોય?
સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બોલે, બેસે ને ચાલે?…..54
શ્રીભગવાનુવાચ: પ્રજહાતિ યદા કામાંસર્વાંપાર્થ મનોગતા
આત્મન્યેવાત્મના તુષ્ટ: સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે….55
શ્રીભગવાન બોલ્યા–
મનની કામના સર્વે છોડીને, આત્મમાં જ જે રહે
સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો….55
શ્રીભગવાન બોલ્યા–
હે પાર્થ !જ્યારે મનમાં ઊઠતી બધી કામનાઓ મનુષ્ય ત્યાગ કરે છે
અને આત્મમાં આત્મા વડે જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે….55
નોંધ:
આત્મામાં આત્મા વડે જ સંતુષ્ટ રહેવું એટલે આત્માનો આનન્દ અંદરથી શોધવો, સુખદુ:ખ દેનારી બહારની વસ્તુઓ ઉપર આનંદનો આધાર ન રાખવો. આનંદ એ સુખથી નોખી વસ્તુ છે એ ધ્યાનમાં રાખવું ઘટે. મને પૈસા મળે તેમાં હું સુખ માનું એ મોહ. હું ભિખારી હોઉં, ભૂખનું દુ;ખ હોય છતાં હું ચોરીની કે બીજી લાલચમાં ન પડું તેમાં જે વસ્તુ રહેલ છે તે આનંદ આપે છે, તેને આત્મસંતોષ કહી શકાય.
દુ:ખેષ્વનુદ્વિગ્નમના: સુખેષુ વિગતસ્પૃહ:
વીતરાગભયક્રોધ: સ્થિતધીર્મુનિરૂચ્યતે…56
દુ:ખે ઉદ્વેગ ના ચિત્તે,સુખોની ઝંખના ગઇ;
ગયા રાગ-ભય-ક્રોધ, મુનિ તે સ્થિરબુધ્ધિનો…56
દુ:ખોથી જે દુ:ખી ન થાય, સુખોની ઇચ્છા ન રાખે અને જે રાગ,ભય અને ક્રોધથી રહિત હોય તે મુનિ સ્થિરબુધ્ધિ કહેવાય છે….56
ય: સર્વત્રાનભિસ્નેહસ્તત્ત્પ્રાપ્ય શુભાશુભમ્
નાભિનંદતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા…57
આસક્ત નહીં જે ક્યાંય, મળ્યે કાંઇ શુભાશુભ;
ન કરે હર્ષ કે દ્વેષ તેની પ્રજ્ઞા થઇ સ્થિર….57
Leave a comment