પંદરમો અધ્યાય: પુરુષોત્તમ યોગ
શ્રીમદ્ ભગવદ્ ગીતા
શ્રી ભગવાન બોલ્યા:
ઊંચે મૂળ તળે ડાળો, શ્રુતિઓ પાંદડાં કહ્યા;
એ અવિનાશ અશ્વત્થ જાણે, તે વેદ જાણતો….1
જેનું મૂળ ઊંચે છે, જેની શાખા નીચે છે, અને વેદો જેનાં પાંદડાં છે એવું જે અવિનાશી અશ્વત્થ સંસારવૃક્ષ કહેવાય છે તેને જે જાણે છે તે વેદને જાણનારો જ્ઞાની છે…1
ઊંચે-તળે ડાળ-પસાર એનો,
ગુણે વધ્યો, ભોગથી પાલવ્યો જે;
નીચે, વળી, માનવલોક માંહી
મૂળો ગયાં,–કર્મ વિશે ગૂંથાયા……2
ગુણોના સ્પર્શ વડે વૃધ્ધિ પામેલી અને વિષયરૂપી કૂંપળવાળીતે અશ્વત્થ્ની ડાળીઓ નીચે-ઉપર પ્રસરેલી છે; કર્મોના બંધન કરનારાં તેનાં મૂળ મનુષ્યલોકમાં નીચે ફેલાયેલાં છે…2
તેનું જગે સત્ય ન રૂપ ભાસે,
ન આદિ-અંતે નહિ કોઇ પાયો;
લૈ તીવ્ર વૈરાગ્ય તણી કુહાડી ,
અશ્વત્થ આવો દૃઢમૂળ તોડ…..3
શોધી પછી એ પદને પ્રયત્ને
જ્યાં પોંચનારા ન પડે ફરીથી,
તે પામવું આદિ પરમાત્મરૂપ,
પ્રવૃત્તિ જ્યાંથી પસરી અનાદિ…4
આ વૃક્ષનું યથાર્થ સ્વરૂપ જોવામાં આવતું નથી, તેને અંત નથી, આદિ નથી, પાયો નથી, ખૂબ ઊંડે ગયેલા મૂળવાળા આ અશ્વત્થ વૃક્ષને અસંગરૂપી બળવાન શસ્ત્રથી છેદીને મનુષ્ય આ પ્રાર્થના કરે” જેમાંથી આ સનાતન પ્રવૃત્તિ-માયા પ્રસરેલી છે. તે આદિપુરુષને હું શરણે જાઉં છું”.અને તે પદને શોધે કે જેને પામનારાને ફરી જન્મ મરણના ચક્રમાં પડવું નથી પડતું…3અને 4
નિર્માન,નિર્મોહ, અસંગવૃત્તિ,
અધ્યાત્મનિષ્ઠા, નિત શાંતકામ;
છૂટેલ દ્વંદ્વ સુખ-દુઃખરૂપી,
અમૂઢ તે અવ્યય ધામ પામે…..5
જેણે માનમોહનો ત્યાગ કર્યો છે, જેણે આસક્તિથી થતા દોષોને દૂર કર્યા છે, જે આત્મામાં નિત્ય નિમગ્ન છે, જેના વિષયો શમી ગયા છે, જે સુખદુઃખરૂપી દ્વંદ્વિથી પર (મુક્ત)છે તે જ્ઞાની અવિનાશી પદને પામે છે…..5
સૂર્ય તેને પ્રકાશે ના, ના ચંદ્ર, અગ્નિયે નહીં
જ્યાં પોં’ચી ન ફરે પાછા, મારું તે ધામ ઉત્તમ….6
ત્યાં સૂર્યને, ચંદ્રને કે અગ્નિને પ્રકાશ આપવા પણું નથી હોતું, જ્યાં જનારને ફરી જન્મવું નથી પડતું એ મારું પરમધામ છે….6
મારો જ અંશ સંસારે જીવરૂપ સનાતન
ખેંચે પ્રકૃતિમાંથી તે મન ને પાંચ ઇન્દ્રિયો…7
મારો જ અંશ (સનાતન અંશ)જીવલોકમાં જીવ થઇને પ્રકૃત્તિમાં રહેલ પાંચ ઇન્દ્રિયો સહિત મનને આકર્ષે છે…7
જેમ વાયુ ગ્રહે ગંધ વસ્તુનો નિજ સાથમાં,
તેમ દેહી ગ્રહે આ સૌ ધારતાં-છોડતાં તનુ….8
શરીરનો સ્વામી એટલે કે જીવ જ્યારે શરીર છોડે છે અથવા ધારણ કરે છે ત્યારે જેમ વાયુ પુષ્પાદિ કામમાંથી ગંધ લઇ જાય છે તેમ ઇન્દ્રિયો સહિત મનને સાથે લૈ જાય છે…8
આંખ, કાન, ત્વચા, નાક, જીભ ને છઠ્ઠું તો મન,
અધિષ્ઠાતા થૈઇ સૌનો દેહી વિષય ભોગવે….9
અને આંખ, કાન, ચામડી, જીભ, નાક તથા મનનો આશ્રય લઇને તે વિષયોને સેવે છે….9
નીકળે કે રહે દેહે, ભોગવે ગુણ સાથ વા,
મૂઢો ન દેખતા એને , દેખે છે જ્ઞાનચક્ષુના…..10
(શરીરનો) ત્યાગ કરનાર અથવા તેમાં રહેનાર તેમજ ગુણોનો આશ્રય લઇ ભોગ ભોગવનાર એવા (આ અંશરૂપી) ઇશ્વરને મુર્ખાઓ નથી જોતા; દિવ્યચક્ષુ જ્ઞાનીઓ જુએ છે…10
રહેલો હૃદયે તેને દેખે યોગી પ્રયત્નવાન;
હૈયાસૂના, અશુધ્ધાત્મા, ન દેખે યત્નથીય તે…11
યત્નવાન યોગીજનો પોતાને વિશે રહેલા આ ઇશ્વરને જુએ છે, જ્યારે જેમણે પોતાની જાતને કેળવી જ નથી,આત્મશુધ્ધિ કરી નથી, એવા મૂઢજન યત્ન કરવા છતાં પણ એને ઓળખતા નથી…11
પ્રકાશતું વિશ્વને આખા તેજ જે સૂર્યમાં દીસે,
ચંદ્રે જે, અગ્નિમાંયે જે, મારું જ તેજ જાણ તે…..12
સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને પ્રકાશે છે અને જે તેજ ચંદ્રમાં અને અગ્નિમાં રહેલું છે તે મારું જ છે એમ જાણ…12
પેસીપૃથ્વી વિશે ધારુંભૂતોને મુજ શક્તિથી;
પોષું છું ઔષધી સર્વે થૈ સોમ, રસે ભર્યો….13
પૃથવીમાં પ્રવેશ કરીને મારી શક્તિથી હું પ્રાણીઓને ધારણ કરું છું, અને રસો ઉત્પન્ન કરનાર ચંદ્ર થઇ બધી વનસ્પતિઓનું પોષણ કરું છું…13
હું વૈશ્વાનર રૂપે સૌ પ્રાણીના દેહમાં રહ્યો;
પ્રાણાપાન કરી યુક્ત પચાવું અન્ન ચોવિધ…14
જઠરાગ્નિ બની પ્રાણીઓના દેહનો આશ્રય લૈઇ હું પ્રાણ તથા અપાન વાયુ વડે ચાર પ્રકારનું અન્ન પચાવું છું….14
ચાર પ્રકારનું અન્ન તે (1)ચાવીને ખાવાનું(2) પીવાનું(3)ચૂસી લેવાનું અને (4) ચાટી જવાનું.
નિવાસ સૌના હૃદયે કરું હું,
હું-થી સ્મૃતિ,જ્ઞાન તથા વિવેક;
વેદો બધાનું હું જ એક વેદ્ય,
વેદાન્તકર્તા હું જ વેદવેતા….15
હું બધાનાં હૃદયને વિશે રહેલો છું, મારા વડે સ્મૃતિ,જ્ઞાન અને તેનો અભાવ થાય છે. બધા વેદોથી જાણવા યોગ્ય તે હું હ, વેદોનો જાણનાર હું, અને વેદાંતનો પ્રગટાવનાર પણ હું જ છું…15
બે છે આ પુરુષો વિશ્વે ક્ષર-અક્ષર, અર્જુન !
ક્ષર તે સઘળાં ભૂતો, કહ્યો અક્ષર નિત્યને….16
બે છે આ પુરુષો વિશ્વે ક્ષર એટલે નાશવંત અને અક્ષર એટલે અવિનાશી એવા બે પુરુષો છે. ભૂતમાત્ર તે ‘ક્ષર’ છે અને તેમાં જે સ્થિર રહેલો અંતર્યામી છે તે ‘અક્ષર’ કહેવાય છે….16
પોષે ત્રિલોકને વ્યાપી જે અવિનાશ ઇશ્વર,
પરમાત્મા કહ્યો તેને, ત્રીજો પુરુષ ઉત્તમ…17
આ ઉપરાંત એક બીજો ઉત્તમ પુરુષ છે, તે પરમાત્મા કહેવાય છે,એ અવ્યય ઇશ્વર ત્રણે લોકમાં પ્રવેશ કરીને તેને પોષે છે…17
કાં જે હું ક્ષરથી પાર,શ્રેષ્ઠ અક્ષરથી ય હું,
તેથી હું લોક ને વેદે વર્ણાયો પુરુષોત્તમ….18
કેમકે હું ક્ષરથી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ છું તેથી વેદોમાં અને લોકોમાં પુરુષોત્તમ નામે પ્રખ્યાત છું….18
જે અમૂઢ મ’ને આમ જાણતો પુરુષોત્તમ,
તે સર્વ સારનો જ્ઞાની સર્વભાવે મ’ને ભજે…19
હે ભારત !મોહરહિત થઇને મને પુરુષોત્તમ તરીકે જે જાણે છે તે સર્વ જાણે છે ને મને પૂર્ણભાવે ભજે છે…19
અત્યંત ગૂઢ આ શાસ્ત્ર તને, નિષ્પાપ ! મેં કહ્યું;
એ જાણી બુધ્ધિને પામી કૃતાર્થ બનવું ઘટે….20
હે અનઘ ! આ ગુહ્યમાં ગુહ્ય શાસ્ત્ર મેં તને કહ્યું, હે ભારત ! એ જાણીને મનુષ્ય બુધ્ધિમાન થાય અને પોતાનું જીવન સફળ કરે ….20
પંદરમો અધ્યાય સંપૂર્ણ.
સ્વામી વિવેકાનંદને અતિશય પસંદ શ્લોક:
શ્રી ભગવાને કહ્યું:
મા તું કાયર થા પાર્થ, તને આ ઘટતું (શોભતું) નથી;
હૈયાના દુબળા ભાવ છોડી ઊઠ, પરંતપ….02/03
શ્રી ભગવાને કહ્યું:
હે પાર્થ ! તું નામર્દ(બાયલો) ન થા. આ તને ન શોભે, હૃદયની પામર નિર્બળતાનો ત્યાગ કરીને હે પરંતપ ! તું ઊઠ !
(પરંતપ =શત્રુનો નાશ કરનાર)
Leave a comment