હરિ, હું તો એવું જ માગુંમોત !
એવું જ માગું મોત,
હરિ, હું તો એવું જ માગુંમોત !
આ થયું હોત ને તે થયું હોત,
અંત સમે એવા ઓરતડાની હોય ન ગોતાગોત !
હરિ, હું તો એવું જ માગું મોત !
અંતિમ શ્વાસ લગી આતમની અવિરત ચલવું ગોત;
ઓતપ્રોત હોઉં આપ મહીં જ્યારે ઊંડે પ્રાણ-કપોત !
હરિ, હું તો એવું જ માગું મોત !
કાયાની કણી કણીથી પ્રગટે એક જ શાંત સરોદ
જોજે રખે પડે પાતળું કદીયે આતમ કેરુંપોત !
હરિ, હું તો એવું જ માગું મોત !
ઘનવન વીંધતા, ગિરિગણ ચડતાં,તરતાં સરિતા સ્ત્રોત,
સન્મુખ સાથી જનમજનમનો; અંતર ઝળહળ જ્યોત !
હરિ, હું તો એવું જ માગું મોત !
–કરસનદાસ માણેક
ઈશ્વર જીવન આપે છે. મનુષ્ય યથાશક્તિમતિ, એ જીવન જીવે છેસંઘર્ષો, મથામણો, આનંદ આબધાનો અનુભવ કરે છે.પ્રત્યેક મનુષ્ય વ્યાસ વિનાનું મહાભારત છે અને એની મનોભૂમિ કૃષ્ણ વિનાનું કુરુક્ષેત્ર છે. માણેકમહાભારતના અઠંગ અભ્યાસી.
કવિએ મોતને માગ્યું છે આ કાવ્યમાં. મનુષ્યને ઈચ્છાપ્રમાણેનું જીવન તો મળતું નથી,પણ ઈચ્છા પ્રમાણેનું મૃત્યુ મળે તોપણ કેવી ધન્યતા ! મૃત્યુ એ જીવનનું પૂર્ણવિરામ છે કે નવજીવનની શરૂઆત છે એની ચર્ચા તત્વજ્ઞાનીઓ માટે છે. કવિ જે મૃત્યુને ઝંખે છેએ મૃત્યુ અત્યંત શાંત,નીરવ,સ્વસ્થ.મૃત્યુ પોતે જ જાણેકે ગીતાનોસ્થિતપ્રજ્ઞ.
અંતિમ વેળાએ,અબળખા,ઓરતા,વાસના,મનોરથ કોડ આ બધાના વળગણ શા માટે? આ બધાંથી પર જીવનની જાણે કે સ્વાભાવિક ગતિ હોય એવી મૃત્યુની સ્થિતિ,ઉપસ્થિતિ હોવી જોઈએ.
મૃત્યુ આવે છે ત્યારે આપણે જીવન માટે વલખાં મારતા,તરફડિયાં મારતા માણસોને જોયા છે.જિજિવિષા એ રેશમનો તંતુછે,કાથાનું દોરડું નહિ. પણ મનુષ્ય એ રેશમનું દોરડામાં રૂપાંતર કરી નાખે છે.આ કાયા,આ લોહી, લોહીનો લય – આ બધાંનો ઘોંઘાટ નહિ, કોલાહલ કે ધમાલ નહિ, પણ શરીરમાંથી એક શાંત સરોદપ્રગટ્યા કરે એની જ ઝંખના. આખી જિંદગી તો આત્માને ઓળખ્યા વિના ચાલી જતી હોય છે. અંતિમ સમયે શોધ બીજા કશાની નહિ, કેવળ આત્માની. આત્મા પાછળ છુપાયેલા પરમાત્માની જ હોય. હું મારામાં લીન થાઉં ત્યારે પણ પ્રાણ ઊડેતો જ કોઈક અ-લૌકિક આકાશ પામ્યાનો અર્થ અને આનંદ.
જીવનમાં કેટલીયે કપરી વિષમતાઓ વેઠી.સારાનરસા સઘળા અનુભવો કર્યા. વન પણ વીંધ્યા અને વાદળોના વન પણ વીંધ્યા.પર્વતોનાં કપરાં ચડાણ કંઈ ઓછાં નહોતાં અને આ બધાંનો થાક ઉતારે એવી એક સરિતા પણ વહેતી, જે પોતે તરતી અને તારતી. કવિનું અંતિમ સ્તોત્ર છે કે મૃત્યુ આવે ત્યારે આંખ સામે હોય કેવળ જનમજનમનોસાથી—આપણા સૌનો,આપણે બધા જ સ્વજનથી વિખૂટા પડતા હોઈએ ત્યારે આપણો એક્માત્ર સ્વજન—સજ્જન—સજન પરમાત્મા. દયારામે પણ અંત સમયે અલબેલો છેલો આવે એવી પ્રાર્થના કરી હતી અને ટાગોરે સન્મુખે શાંતિનો પારાવાર હોય એવી ઝંખના પ્રગટ કરી હતી.
આખા જીવનની અશાંતિ વેઠ્યા પછી કોઈ પણ જીવ શાંતિને ઝંખે એ યાચના સ્વાભાવિક છે.મૃત્યુનું આ નાનકડું ગીત હકીકતમાં તો જીવનના વ્યાકરણનું પૂર્ણવિરામ છે.
પ્રતિસાદ આપો