ગીતાધ્વનિ
(ભગવદ ગીતાનો સમશ્લોકીઅનુવાદ)
કિશોરલાલ ઘ. મશરૂવળા
નવજીવન પ્રકાશન મંદિર
અમદાવાદ380 014
અધ્યાય: 9
જ્ઞાનનો સાર
શ્રીભગ્વાન બોલ્યા—
તને નિષ્પાપને મારું સારમાં સાર જ્ઞાન આ
કહું વિજ્ઞાનની સાથે, જે જાણ્યે દોષથી છૂટે….1
શ્રેષ્ઠ વિદ્યા, પરંસાર, આ છે પવિત્ર ઉત્તમ;
અનુભવાય પ્રત્યક્ષ, સુકર, ધર્મ્ય અક્ષય…2
જે મનુષ્યો અશ્રદ્ધાથી માનેઆ ધર્મને, નહીં;
તે ફરે મૃત્યુસંસારે, મ’ને તે પામતા નહીં…3
*
અવ્યક્ત રૂપ હું-થી જ ફેલાયું સર્વ આ જગત;
હું-માં રહ્યાં બધાં ભૂતો, હું તે માંહી રહ્યો નથી…4
નથીયે કો હું-માં ભૂતો,જો મારો યોગ ઈશ્વરી;
ભૂતાધાર, ન ભૂતોમાં, ભૂત-સર્જક-રૂપ હું….5
સર્વગામી મહા વાયુ નિત્ય આકાશમાં રહે;
તેમ સૌ ભૂત મારામાં રહ્યાં છે, એમ જાણજે…6
*
કલ્પના અંતમાં ભૂતો મારી પ્રકૃતિમાં ભળે;
આરંભ કલ્પનો થાતાં સર્જું તે સર્વને ફરી;..7
નિજ પ્રકૃતિ આધારે સર્જું છું તે સર્વને ફરી;
સર્વ આ ભૂતનો સંઘ બળે પ્રકૃતિને વશ…8
પણ તે કોઈયે કર્મ મુજને બાંધતાં નથી;
કાં જે રહ્યો ઉદાસી-શો કર્મે આસક્તિહીન હું…9
પ્રકૃતિ પ્રસવે સૃષ્ટિ મારી અધ્યક્ષતા વડે;
તેના કારણથી થાય જગનાં પરિવર્તનો…10
*
અવજાણે મ’ને મૂઢો માનવી દેહને વિશે;
ન જાણતા પરંભાવ મારો ભૂત મહેશ્વરી…11
વૃથા આશા, વૃથા કર્મો, વૃથા જ્ઞાન કુબુદ્ધિનાં;
રાક્ષસી-આસુરી જેઓ સેવે પ્રકૃતિ મોહિની…12
*
મહાત્માઓ મ’ને જાણી ભૂતોનો આદિ અવ્યય;
અનન્ય મનથી સેવે દૈવી પ્રકૃતિ આશર્યા…13
કીએર્તિ મારી સદા ગાતા, યત્નવાન, વ્રતે દૃઢ,
ભક્તિથી મુજને વંદી ઉપાસે નિત્ય યોગથી…14
જ્ઞાનયજ્ઞેય કો ભક્તો સર્વવ્યાપી મ’ને ભજે;
એકભાવે, પૃથગ્ભાવે, બહુ રીતે ઉપાસતા…15
હું છું ક્રતુ, હું છું યજ્ઞ, હું સ્વધા, હું વનસ્પતિ;
મંત્ર હું, ધૃત હું શુદ્ધ, અગ્નિ હું, હું જ આહુતિ:..16
હું જ આ જગનો ધાતા, પિતા, માતા, પિતામહ;
જ્ઞેય, પવિત્ર ઓંકાર, ઋગ, યજુર, સામવેદ હું…17
પ્રભુ, ભર્તા, સુહદ, સાક્ષી, નિવાસ, શરણું,ગતિ;
ઉત્પત્તિ, પ્રલય, સ્થાન, નિધાન, બીજ, અવ્યય…18
તપું હું, જળને ખેંચું, મેઘને વરસાવું હું;
અમૃત હું, હું છું મૃત્યુ, સત ને અસતેય હું…19
પી સોમ નિષ્પાપ થઈ ત્રિવેદી
યજ્ઞો વડે સ્વર્ગનિવાસ યાચે;
ને મેળવી પુણ્ય સુરેંદ્રલોક,
ત્યાં દેવના વૈભવ દિવ્ય માણે…20
તે ભોગવી સ્વર્ગ વિશાળ એવું,
પુણ્યો ખૂટ્યે મર્ત્ય વિશે પ્રવેશે;
સકામ તે વૈદિક કર્મમાર્ગી,
આ રીતે ફેરા ભવના ફરે છે…21
*
અનન્ય ચિત્તથી જેઓ કરે મારી ઉપાસના,
તે નિત્યયુક્ત ભક્તોનો યોગક્ષેમ ચલાવું હું…22
તેમ જે ભક્ત શ્રદ્ધાથી ઉપાસે અન્ય દેવને,
વિધિપૂર્વક ના તોયે, તેય મ’ને જ પૂજતા…23
કાં જે હુંસર્વ યજ્ઞોનો ભોક્તા ને પ્રભુ છું વળી;
પરંતુ તે પડે, કાં જે ન જાણે તત્ત્વથી મને…24
દેવપૂજક દેવોને, પિતૃના પિતૃને મળે;
ભૂતપૂજક ભૂતોને, મારા ભક્ત મ’ને મળે…25
*
પત્રં પુષ્પં ફલં તોયં જે આપે ભક્તિથી મ’ને,
ભક્તિએ તે અપાયેલું આરોગું યત્નવાનનું…26
જે કરે, ભોગવે વા જે, જે હોમે, દાન જે કરે;
આચરે તપને વા જે, કર અર્પણ તે મ’ને…27
કર્મનાં બંધનો આમ તોડીશ સુખ-દુ:ખદા;
સંન્યાસયોગથી યુક્ત મ’ને પામીશ મુક્ત થૈ,..28
સમ હું સર્વ ભૂતોમાં, વા’લા-વેરીમ’ને નથી;
પણ જે ભક્તિથી સેવે, તેમાં હું, મુજ માંહી તે…29
*
મોટોય કો દુરાચારી એકચિત્તે ભજે મ’ને;
સાધુ જ તે થયો માનો, કાં જે નિશ્ચયમાં ઠર્યો…30
શીઘ્ર તે થાય ધર્માત્મા, પામે શાશ્વત શાંતિને;
પ્રતિજ્ઞા કરું છું મારા ભક્તનો નાશ ના કદી…31
સ્ત્રીઓ, વૈશ્યો તથા શૂદ્રો, જીવો પાપીય યોનિના,
જો મારો આશરો લે તો, તેયે પામે પરંગતિ…32
પવિત્ર બ્રાહ્મણ-ક્ષત્રી ભક્તની વાત શી પછી?
દુ:ખી અનિત્ય આ લોક પામેલોભજ તું મ’ને,..33
મન-ભક્તિ મ’ને અર્પ, મ’ને પૂજ, મ’ને નમ;
મ’ને જ પામશે આવા યોગથી,મત્પરાયણ…34
———————————————
પ્રતિસાદ આપો