M.PAATRO
પરીક્ષિત જન્મ
મહાભારતના પાત્રો//નાનાભાઈ ભટ્ટ/પાનું :144
‘ભાઈ વિદુર !’ એક વિશાળ આસન પર બેઠેલા ધૃતરાષ્ટ્ર બોલ્યા,’આજે હવે તો મારા હાથ હેઠા પડ્યા છે એટલે તું જે કહે તે માનવા આ ધૃતરાષ્ટ્ર તૈયાર છે. પણ મારા હૈયાની વાત તારે સાંભળવી હોય તો કહું છું કે આ કૃષ્ણ જેવો કોઈ ઠગ નથી.’
‘મોટાભાઈ ! આપ ભૂલો છો.’ વિદૂર બોલ્યો’ હું ધૃતરાષ્ટ્ર ભૂલું? દુર્યોધનનો પિતા ભૂલે? તમે લોકોએ કૃષ્ણને હજી ઓળખ્યો નથી. વિદૂર ! હું સાચું કહું છું. મારા પુત્રોને મરાવી નાખનાર અને તેથી રાજી થનાર જો કોઈ પણ એક વ્યક્તિ હોય તો તે કૃષ્ણ છે. તું વિચાર તો કર, કે નહિતો સતી ગાંધારી શાપ આપે? જેણે જીવનભર અસત્યનું ઉચ્ચારણ કર્યું નથી એ ગાંધારીએને શાપ દે તે પરથી મેં સમજી લીધું છે એ મોટો ધુતારો છે. આજે એનો સિતારો ચડતો છે એટલે મારે કાંઈ બોલવું નથી.’
‘મોટાભાઈ !’ વિદુરે કહ્યું,’શ્રી કૃષ્ણ જેવા પરમપુરુષને તમે અન્યાય કરો છો. એમનું નામ લેતા તો ભવોભવના પાપ જાય. એવું એમનું નિર્મળ જીવન !…
‘નિર્મળ જીવન !’ ધૃતરાષ્ટ્ર વચ્ચે જ બોલી ઊઠ્યા, ‘એવી નિર્મળતા એને જ મુબારક હો !’
‘એમની ત્યાગવૃત્તિ.’ વિદુરે ચલાવ્યું.’એમની સત્યપ્રિયતા, એમની નીડરતા, આ બધું અસાધારણ છે. એટલે જ વ્યાસ ભગવાન જેવા જગતના બ્રાહ્મણો પણ તેમને યુગપુરુષ તરીકે માન આપે છે.’
‘વિદુર 1’ ધૃતરાષ્ટ્રે હાથ લાંબો કરતાં કહ્યું, ‘શું તારા જેવા ભગતડા યુગપુરુષ કહે એટલે એ યુગપુરુષ થઈ જાય ? અમારી નજરોનજર અમે જેને અનેક પ્રપંચો કરતાં જોઈએ. હજારો માણસોની વચ્ચે જેને અસત્ય અને અધર્મનું આચરણ કરતો જોઈએ,તેને યુગપુરુષ માનવો શી રીતે ? એનાં કામ તો જો? રુક્મણીને ઉપાડીને ભાગી ગયો કોણ, તો કહે કૃષ્ણ; રુક્મણીને ઉપાડીને ભાગી જનાર કોણ, તો કૃષ્ણ; ગોપલોકોનાં ઘર ભાંગનાર કોણ, કૃષ્ણ; યુધિષ્ઠિરની પાસે ખોટું બોલાવનાર કોણ, તો કૃષ્ણ; મારા પુત્રને અધર્મથી મરાવનાર કોણ, તો કૃષ્ણ. આ તારો કૃષ્ણ જો યુગપુરુષ હોય તો પછી દુનિયામાં લુચ્ચા-લફંગાઓ કોને કહેવા એ જ પ્રશ્ન છે !’
‘મોટાભાઈ 1’ વિદુરે નિસાસો નાખીને કહ્યું, ‘તમારી આંખે શ્રીકૃષ્ણએવા જ દેખાશે. તેમને જોવા માટે તમે અમુક ચશ્માં પહેરી લીધાં છે.એ ચશ્માં ન ઊતરે ત્યાં સુધી તમને એ એવા દેખાવાના.’
‘એ તો હોય તેવા જ દેખાય ના?’ ધૃતરાષ્ટ્ર બોલ્યા, ‘હા, બુદ્ધિ બહુ સારી, એકને આમ સમજાવે, બીજાને તેમ સમજાવે, કંઈક ગોટાળા ઊભા કરે, પણ.તે પોતે ધાર્યું હોય તે પાર ઉતારે.માર્યો ત્યારે દુર્યોધન એની જાળમાં ન આવ્યો એટલે તેને મરાવ્યો ત્યારે જંપ્યો ભારે દુષ્ટ ! એક વાર કોઈ એની દાઢમાં આવ્યો કે પછી નીકળવું ભારે. એને જો આ બધું કોઈ માણસને યુગપુરુષ બનાવતું હોય તો એવા યુગપુરુષને સો ગાઉ છેટેથી નમસ્કાર છે ! આવા લોકોએ જ દુનિયાને છેતરી છેતરીને પાયમાલ કરી નાખી; અને લોકો મૂર્ખા છે તે એવા ઢોંગીને જ પૂજે છે. વિદુર ! હું તારું કાંઈ માનવાનો નથી.’
‘એ આપની મરજી.’ વિદુરે કહ્યું.
‘હા, હું પણ માનતો કે કદાચ આ કૃષ્ણ કહે છે તે ધર્મ હશે. મને એની બીક પણ લાગતી. પણ લુચ્ચો મારી બીકનો લાભ લઈને મારા દુર્યોધનનેય ડરાવે અને કામ કાઢી જાય ! તમે સૌએ કૃષ્ણના હાથમાં હથિયાર બનીને મારા કુળનું નિકંદન કાઢ્યું છે. એ બધાનો બદલો તમને ઈશ્વર આપ્યા વિના રહેવાના નથી જ, મને અને આ ગાંધારીને આ દશામાં લાવી મૂકનાર કૃષ્ણ કેવોક સુખે મરે છે તે હું જોઈશ.’
‘મોટાભાઈ !’ વિદુરે શાંતિથી કહ્યું ‘ એ બધી જૂની વાતો જવા આપણે જવા દઈએ, હજી આજની તાજી જ વાત લ્યો ને?’
‘શી?’ધૃતરાષ્ટ્રે પૂછ્યું.
ઉત્તરાના ગર્ભની.’ વિદુર બોલ્યો, પાંડવો તો દિગ્વિજય માટે હિમાલય તરફ ગયા છે તે આપ જાણો છો. આજે ઉત્તરાને પ્રસવ થયો પણ મરેલો પુત્ર અવતર્યો.’
‘એ તો મરેલો જ અવતરે ના?’ ધૃતરાષ્ટ્ર બોલ્યા, અશ્વત્થામા તો બ્રાહ્મણપુત્ર ! એણે ઉત્તરાના ગર્ભ પર બ્રહ્માસ્ત્ર છોડ્યું એટલે બીજું શું થાય? કહેજે ને તારા કૃષ્ણને કે આ પુત્રને જીવતો કરે? ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની સંતતિનો ઉચ્છેદ કર્યો તે હવે શું પાંડુ અને કુંતીની સંતતિ રહેવાની છે ?’
‘મોટાભાઈ !’ વિદુર બોલ્યો, ‘એ મરેલ પુત્રને શ્રી કૃષ્ણે જીવતો કર્યો.’
‘હેં !’ ધૃતરાષ્ટ્રથી બોલી જવાયું, ‘એ જીવતો થાય નહિ.તને કોઈએ ખોટા સમાચાર આપ્યા હશે.’
‘કોઈના સમાચાર નથી, મેં મારી પોતાની આંખે જોયેલી વાત છે.’
‘શું સાચોસાચ જીવતો થયો? કદાચ બેએક ઘડી ખોટો શ્વાસ ચાલતો દેખાયો હશે.’ ધૃતરાષ્ટ્રે શંકા કરી.
‘મોટાભાઈ ! એવું નથી. હું એને શ્વાસ લેતો અને રુદન કરતો જોઈને આવ્યો છું.’ વિદુરે કહ્યું.’
તો હશે કંઈક એ કૃષ્ણનું જ તરકટ !’ ધૃતરાષ્ટ્રે અભિપ્રાય આપ્યો.
‘એજ વાત છે.’ વિદુરે કહ્યું, ‘જેને આપ તરકટ કહો છો તેને જ હું એમની પરમેશ્વરી શક્તિ કહું છું.’
ઠીક ઠીક, કહે જોઈએ, પછી શું થયું?’ ધૃતરાષ્ટ્રે પૂછ્યું.
‘પુત્ર મરેલો અવતર્યો એટલે સુભદ્રાએ ને દ્રૌપદીએ, કુંતીએ ને ઉત્તરાએ, સૌએ રડારોળ કરી મૂકી. આ બધું કલ્પાંત સાંભળીને શ્રીકૃષ્ણ ઓરડામાં ગયા ને મરેલા બાળકને પોતાના ખોળામાં સુવાડ્યો.
‘પછી?’
‘પછી પાણીથી આચમન લઈ શ્રીકૃષ્ણ બોલ્યા…’
‘શું બોલ્યા?’બચ્ચા ! જીવતો થઈ જા. “ એમ?’ધૃતરાષ્ટ્રે ઉતાવળે કહ્યું
’એ જે બોલ્યા છે, તે તો જગતના ઈતિહાસમાં સોનેરી અક્ષરે નોંધાશે. મહારાજ ધૃતરાષ્ટ્ર ! આપ ગમે તેમ માનવાને મુખત્યાર છો; પુત્રશોકથી આપ વિહ્ વળ છો એટલે આવા યુગપુરુષને યથાર્થઓળખવા માગતા નથી; પણ તટસ્થ થઈને સાંભળો તો ખબર પડે.’
’પણ શું બોલ્યા એ તો કહે?’ધૃતરાષ્ટ્રે ધીરજ ખોઈને પૂછ્યું.
પુત્રને ખોળામાં લઈને તેમણે કહ્યું: “મેં આજ સુધીમાં મશ્કરીમાં સુદ્ધાં અસત્ય ભાષણ કર્યું નથી અને યુદ્ધમાંથી પાછો ફર્યો નથી, તે મારા પુણ્યથી આ બાળક જીવતો થાઓ. મારી સદૈવ ધર્મપ્રિયતા અને ધર્મના અધિષ્ઠાતા બ્રાહ્મણો પ્રત્યેના પૂજ્યભાવને લઈને અભિમન્યુનો પુત્ર જીવંત થાઓ. મેં વિજયમાં સુદ્ધાં બીજાનો વિરોધ કર્યો નથી તેને લઈને આ બાળકના પ્રાણ પાછા આવો. કંસ અને કેશીનો મેં ધર્મથી નાશ કર્યો હોય તો તે બાબતથી આ બાળક ફરીથી સચેતન થાઓ.” શ્રીકૃષ્ણ આટલું પૂરું બોલી ન રહ્યા ત્યાં તો પુત્રના કલેવરમાં ચેતન આવ્યું અને તે રડવા લાગ્યો.’
‘તો તો કૃષ્ણે ભારે જાદુ કર્યું કહેવાય !’ ધૃતરાષ્ટ્રે ઉદ્ ગાર કાઢ્યો.
‘મોટાભાઈ ! આને આપ જાદુ કહેશો? શ્રી કૃષ્ણે આ વચનોથી આખા જગતની અદાલતમાં પોતાની સાધુતા સિદ્ધ કરી છે, અને ઈશ્વરે પુત્રને જીવતો કરીને આ સાધુતા પર સજ્જડ છાપ મારી છે.’ વિદુરે ચલાવ્યું. ‘તેમણે મંતરજંતરથી પુત્રને જીવતો કરવાનો પ્રયત્ન કર્યો હોત તો હું વિચાર કરત ખરો. આમાં તોસત્યની, નિર્વૈરની, નીડરતાની અને ભૂતદયાની જીવનભર ઉપાસના કરનારએક સમર્થ પ્રતિભાશાળી પુરુષની પ્રતિજ્ઞા છે; અને ઈશ્વરે એ પ્રતિજ્ઞાને સ્વીકારીને શ્રી કૃષ્ણને યુગપુરુષ તરીકે સ્વીકાર્યા છે.’
‘વિદુર ! સાચું કહું? ’ ધૃતરાષ્ટ્ર બોલ્યા, ‘એ પુત્ર મરેલો અવતર્યો નહિ હોય પણ બ્રહ્મરંધ્રમાં તેના પ્રાણ રહી ગયા હશે, એટલે સૌને મરેલા જેવો લાગ્યો હશે. કૃષ્ણેતેને ખોળામાં સુવાડીને માથામાં કંઈક કર્યું હશે એટલે પુત્ર જીવતો થયો. એમાં આવી મોટી ડંફાશ ન કરી હોત તોપણ ચાલત. પન ડંફાશ ન કરે તો તમારા જેવા તેના પગમાં આળોટે શી રીતે?’
‘મોટાભાઈ !’વિદુર કંટાળીને બોલતો હોય એમ કહેવા લાગ્યો, ‘હું આપનાથી હાર્યો ! જે જે વાતોને હું શ્રી કૃષ્ણના જીવનના રહસ્ય જેવી ગણું છું તેને તમે એની ઠગાઈના ચિહ્ન તરીકે માનો છો.’
‘અને છે પણ એમ જ.’
ધૃતરાષ્ટ્ર બોલ્યા, ‘તું જ્યારે ખાસ કરીને એની વાત કરવા આવ્યો ત્યારે મારી સમજણ મારે તને સ્પષ્ટ કહેવી જોઈએ. પણ આ વાત કોઈને કહીશ નહિ. હજી મારે યુધિષ્ઠિરની સાથે દિવસો વિતાડવાના છે. બાકી કૃષ્ણ જબ્બર.એમાં ના નહિ. એની રાતે કોઈનો જન્મ નથી !’
‘મોટાભાઈ ! વિદુરે કહ્યું,’હવે હું રજા લઉં.’
‘જોજે હોં, માઠું ન લગાડતો.’ ધૃતરાષ્ટ્ર બોલ્યા, એ જબ્બર માણસ છે એમ તો મનેય લાગે છે. ખરું બોલું તો એને સમજી જ શકતો નથી; એનું આખું જીવન એટલું અટપટું છે, પણ તારી વાત તો ગળે ઊતરતી જ નથી. યુગપુરુષ હોય તો આવા ધંધા હોય? ન મળે દયા, ન મળે સત્ય, ન મળે શાસ્ત્રો તરફ પૂજ્યભાવ, ન મળે કોઈની શરમ, ન મળે દિવ્ય શક્તિ. જ્યાં જુઓ ત્યાં કાળુંકર્મ જ હોય ! એવાને યુગપુરુષ કોણ કહે?
‘મોટાભાઈ ! હું જાઉં છું.’ વિદુરે કહ્યું.
‘ભલે, બાપુ ! જા.’ ધૃતરાષ્ટ્રે તેને વિદાય આપતાં જણ્બાવ્યું, માઠું ન લગાડતો, હોં ! આ તો આપણા બેની ખાનગી વાત. હવે તો મારે એક જ તું વાત કરવાનો રહ્યો એટલે મનમાં લાગે તે કહું છું. તમને બધાને એણે ભોળવી લીધા છે એનું જ મને દુ:ખ છે.’
વિદુર મોટાભાઈની રજા લઈને ચાલતો થયો અને ધૃતરાષ્ટ્ર ફરીથી લાંબા થઈને પદ્યા.
Leave a comment