પુસ્તક:-મઝહબ હમેં સિખતા
આપસમેં પ્યાર કરના
લેખક :- ડો. મહેબૂબ દેસાઇ
મહાવીર અને મહંમદ
મહાવીર જયંતી નિમિત્તે મનમાં એક વિચાર ઊપજ્યો છે. ભગવાન મહાવીર અને હજરત મહંમદ પયગમ્બરના વિચારો અને ઉપદ્દેશોનો તુલનાત્મક અભ્યાસ કરવાની જરૂર છે. કોઇ પ્રોફેસર પોતાના પીએચ.ડી. ના વિધયાર્થી ને આ વિષય પર સંશોધન કરાવે તો બંને મહનુભાવો અને ધર્મનાં નૈતિક મૂલ્યોમાં પ્રવર્તતી સમાનતા સિદ્ધાંતોની સામ્યતા બહાર આવશે.
ભગવાન મહાવીર સ્વામી છેલ્લા તીર્થંકર હતા. મહંમદસાહેબ પણ છેલ્લા પયગંબર હતા. મહાવીર સ્વામીનો વૈરાગ્ય અને ત્યાગ અદ્રિતીય છે. મહંમદસાહેબનુ સમગ્ર જીવન ત્યાગ બલિદાનની મિસાલ છે. દયા, કરુણા અને સમભાવ બંને મહનુભાવોની વિશિષ્ટતા હતાં. બંને મહાનુભવોએ તપ કે ઇબાદતને પ્રાધાન્ય આપ્યું છે. મહંમદસાહેબે ફિરકા પરસ્તી (જ્ઞાતિવાદ)ને ક્યારેક પ્રાધાન્ય કે મહત્વ આપ્યું નથી. ભગવાન મહાવીરે પણ જૈન ધર્મમાં જ્ઞાનિવાદને પ્રસરવા નથી દીધો.
ભગવાન મહાવીર અહિંસાના પૂજારી હતા. અહિંસા તેમના જીવનમાં સૂક્ષ્મ રીતે વણાયેલી હતી. જીવમાત્રને દુ:ખ આપવાની ક્રિયાને પણ તેઓ હિંસા માનતા. મહંમદસાહેબના જીવનમાંથી નીતરતી અહિંસા વાસ્તવદર્શી હતી. પક્ષીના માળામાંથી ઇંડાં કે બચ્ચાઓને ભેટમાં લઇ આવનાર સહાબીને મહંમદસાહેબ ક્યારેય પસંદ ન કરતા. પડોશમાં રહેતા પડોશીને અપશબ્દ બોલી નારાજ કરનાર નમાઝીની નમાઝકબૂલ નહીં થાય, તેમ કહેનાર મહંમદસાહેબની અહિંસા મહવીરની અહિંસા કરતાં કંઇ જુદી નથી લાગતી.
ભગવાન મહાવીરે તપ દ્વારા દિવ્યજ્ઞાનની પ્રાપ્તિ કરી. મહંમદસાહેબ ગારેહિરા (હીરા નામના પહાડની એક બખોલ)માં નિયમિત જતા, ખુદાની ઇબાદત કરતા. ખુદાની ઇબાદતને જૈન ધર્મમાં તપનો દરજ્જો આપવામાં આવ્યો છે. 40 વર્ષે મહંમદસાહેબને તેમના તપનું-ઇબાદતનું ફળ મળ્યું, અને તેમના પર ખુદાનો પૈગામ ઊતર્યો. ઇસ્લામ અને જૈન ધર્મના સિદ્ધાંતો અને કથાઓમાં પણ સામ્યતા ઊડીને આંખે વળગે છે.
ઇસ્લામમાં ‘ફના’ થવાનો વિચાર ‘નિર્વાણ’ના વિચારને મળતો આવે છે. જૈનોના ઉત્તરાધ્યયન સૂત્રની એક ગાથા છે : ‘અપ્પા એવ જૂજ્જાઇ…’ અર્થાત ‘અરે ભાઇ, જો તારે લડવું જ હોય તો તારી જાત સાથે લડ અને તારી જાત ઉપર જ વિજય મેળવ.’ રણસંગ્રામોમાં હજારો વિજય મેળવવા કરતાં પોતાની જાત ઉપર વિજય મેળવવો દુષ્કર છે.ઇસ્લામમાં ‘જેહાદ’નો જે સાચો અર્થ છે તે આ જ છે. ‘તારા દુર્ગુણો સામે લડ, તેમાંથી મુક્ત થા, એ જ સાચી જેહાદ છે.’
આધ્યાત્મિક વિચારોની આવી સામ્યતા જૈન અને ઇસ્લામની સામ્યતાની પરંપરાને ઇબાદત (ભક્તિ) ની સામગ્રી સુધી લઇ જાય છે. ઇસ્લામમાં જે સ્થાન મુસલ્લનું છે તે સ્થાન જૈન ધર્મમાં આસનનું છે.મુસલ્લા શબ્દનો અર્થ થાય છે, નમાઝ પઢતી વખતે પાથરવાનું કપડું. જૈનો આસન આસન પર સ્થાન ગ્રહણ કરી પ્રાથનાકરે છે. સુરને શરીફ જેના પર મૂકી અધ્યયન કરવામાં આવે છે, તેને ઇસ્લમમાં ‘રિહાલ’ કહે છે. અરબી ભાષાના શબ્દ ‘રિહાલ’નો અર્થ થાય છે પ્રસ્થાન કરવું. જૈન ધર્મમાં એ જ વસ્તુને ‘ઠવણી’ કે ‘ઠમણી’ કહે છે. ઠવણી એટલે વાંચતી વખતે પુસ્તક મૂકવાની ઘોડી. એવી જ એક સામ્યતા છે તશ્બીહ કે માળા. ઇસ્લામી તશ્બીહમાં 101 પારા-મણકા હોય છે, જ્યારે જૈન માળામાં એકસો આઠ મણકા હોય છે. માળાના ફૂમતાની નીચેના મણકાને જૈન ધર્મમાં ‘મેર’ કહે છે, જ્યારે ઇસ્લામમાં તેને ઇમામ કહે છે.
તશ્બીહ અને માળાનો મૂળભૂત ઉદ્દેશ એક જ છે. ઇશ્વર કે ખુદાની ઇબાદત-ભક્તિ. જૈન ધર્મમાં સામાયિક એટલે સમભાવની પ્રાર્થના. ઇસ્લામમાં નમાજ્ગ એટલે સમભાવની પ્રાર્થના. નમાઝની એક પણ આયતમાં ભેદભાવનો ઉલ્લેખ નથી, માત્ર ને માત્ર ખુદાને સમર્પિત થવાની બાંયધરી છે. જૈન સાધુઓ અને હાજીઓના પોષાકની સામ્યતા પણ નોંધવા જેવી છે. બંનેમાં સફેદ સાદાં કપડાં અનિવાર્ય છે. બંનેમાં સીવ્યા વગરનાં બે કપડાંથી જ શરીર ઢાંકવામાં આવે છે. ઇસ્લામમાં તેને (અહેરામ) કહે છે. જૈન ધર્મમાં ઉપરના સફેદ વસ્ત્રને પછેડી અને નીચેના સફેદ વસ્ત્રને ચોલપટ્ટો કહે છે.
ટૂંકમાં, જૈન અને ઇસ્લામના પ્રવર્તકો, સિદ્ધાંતો અને ઇબાદતની સામગ્રીની સામ્યતાનો ઊંડો અભ્યાસ અનિવાર્ય છે. ધર્મ એટલે મૂલ્યોનું જતન. એવા પાયાના ધાર્મિક વિચારોના પ્રસારમાં આવા તુલ્નાત્મક અભ્યાસો સમાજમાં મહોબ્બત અને એખલાસને સાકાર કરવામાં પાયાનું પરિબળ બની રહે છે.
(પાનાં નંબર 27 & 28)
પ્રતિસાદ આપો