અંતિમ પર્વ/સંપાદક: રમેશ સંઘવી/મણકો-16

 

અંતિમ પર્વ/સંપાદક: રમેશ સંઘવી/મીડિયા પબ્લિકેશન, જૂનાગઢ

મણકો-16 (પાનું: 32)

મરમ

વિપદ: સન્તુ ન:શશ્વત તત્ર જગદ્ ગુરો I

ભવતો દર્શનં યત્સ્યાદ્પુનર્ભવદર્શનમ્ II

(કુંતામાતા શ્રીકૃષ્ણ પાસે માગે છે) હે જગદ્ ગુરુ ! અમને જીવનભર દુ:ખો પડતાં રહો જેથી મોક્ષ-મુક્તિ આપનારું તમારું દર્શન અમને સતત થતું રહો.

—————————–

શબ્દ વિના શ્રુતિ આંધરી, કહો કહાં કો જાય,

દ્વાર ના પાવૈ શબ્દકા, ફિર ફિર ભટકા ખાય

કબીર

——————————–

મૌક્તિકમ્

જેમ આપણને આપણું જીવન પામવાનો અધિકાર છે તેમ આપણે આપણું સાચું અને પોતીકું મરણ પામીએ એ પણ આપણો અધિકાર છે.

સુરેશ જોશી

———————————

મરજીવા

ગાંધીયુગના સત્યાગ્રહીમાં જેમનું નામ અચૂકપણે લેવું પડે તેવા શિરમોર સત્યાગ્રહી આત્મારામભાઈ ભટ્ટ, ભાવનગરના તેમણે અંતે પોતાનું જીવન સામે ચાલીને, અન્ન –ફળ-દૂધ વગેરે છોડી દઈને પ્રભુનાં ચરણોમાં એટલા માટે સમર્પિત કર્યું કે એંસી વર્ષનું વયસ્ક, જીર્ણશીર્ણ શરીર હવેલોકોના પ્રશ્નો હાથ ધરવા ઝાઝું કામ આપતું ન હતું.

શરીરની પરવા એમણે કદી કરી નહોતી. એમના મૃત્યુબાદ વરિષ્ઠ કેળવણીકાર શ્રીમૂળશંકરભાઈ ભટ્ટે કહેલું: ‘એમનામાં આટલી બધી નિર્ભયતા હતી તેનું કારણ એ હતું કે એમણે મોત સાથે પ્રીત બાંધી હતી. માથું હાથમાં લઈને જ એ ફરતા. કોઈપણ પ્રશ્ન માટે મરી ફીટવાની તૈયારી ! આ હતું એમની નિર્ભયતાનું રહસ્ય.’દર્શકે એમને

‘શૌર્યનો સીમાસ્તંભ’કહીને બિદાવેલા.

મીરાબહેન ભટ્ટ

————————————————–

મરણાનુસ્મૃતિ

એક સાધના છે—મરણાનુસ્મૃતિ. ફરી ફરી મૃત્યુનું સ્મરણ કરવાની સાધના. મૃતાત્માનું સ્મરણ નહીં, મૃત્યુનું સ્મરણ. જાણે કે મૃતાત્માના માધ્યમ દ્વારા મૃત્યુરાજે સંદેશ મોકલ્યો છે કે આપણું મૃત્યુ પણ કોણ જાણે ક્યારે આવી પડે.મૃત્યુ તો અવશ્યંભાવી છે. બીજું બધું ટાળી શકાય છે, મૃત્યુ ટાળી શકાતું નથી. ક્યારે આવશે તે પણ નક્કી નહીં. આથી મરણાનુસ્મૃતિ સાધના કરતાં સાધક એક ચિંતન –મનન કરે કે મારે પણ આખોય વખત વિદાય લેવાની તૈયારી રાખવી જોઈએ.

કોઈના પણ મૃત્યુથી આપણામાં જ્ઞાન જાગવું જોઈએ. પણ  તે સ્મશાનજ્ઞાન ન બની રહે તે જોવું જોઈએ. ધર્મસંવેગ જાગવો જોઈએ, બલ્કે મરવાની તૈયારીનો ઉમંગ જાગવો જોઈએ.

આળસમાં, પ્રમાદમાં, નકામા વાદવિવાદમાં, નિરર્થક ગપ્પાંબાજીમાં જરા પણ સમય ન બગાડવો જોઈએ. જીવનના જેટલા પણ દિવસ બચ્યા હોય તેનો સદુપયોગ કરવો.

વિપશ્યના સાધના દ્વારા ચિત્તને શક્ય તેટલું શાંત અને નિર્મળ કરીને મંગલ મૈત્રીની ભાવના કરવાથી તેના તરંગો મૃત વ્યક્તિને પહોંચે છે અને તે પ્રસન્નચિત્ત બને છે. આથી ઊલટું કોઈ જ્યારે મૃત પ્રિયજન માટે દુ:ખી અને વ્યાકુળ બને છે ત્યારે તેના તરંગો મૃતાત્મા  જ્યાં ક્યાંય પણ હોય એને ઉદ્વિગ્ન કરે છે.

એક બીજી વાત પણ સાધકે સમજવી જોઈએ કે હું જ્યારે જ્યારે વિલાપ કરું છું ત્યારે ઘરના વાતાવરણને સંતાપથી ભરી દઉં છું. હું પણ દુ:ખી થાઉં છું અને ઘરનાં લોકોને પણ દુ:ખી કરું છું. એના કરતાં મંગલ મૈત્રીની ભાવના કરું તો ઘરનું વાતાવરણ સુખમય શાંતિમય બને છે.

સત્યનારાયણ ગોએન્કા

મૃતાત્મા માટે શોક શા સારુ કરવો? તેઓ તો બંધનમાંથી મુક્ત થવા છે. શોક એ તો એક સાંકળ છે, જે મૃતાત્મા સાથે પોતાને જોડી રાખવા માટે મન વડે ઠોકી બેસાડવામાં આવે છે.

રમણ મહર્ષિ

—————————-

મધુ

ઈસુને ખીલે જડ્યો,

સોક્રેટિસને ઝેર પાયું

અને ગાંધીને ગોળીએ દીધો.

પરંતુ હું કાંઈ આમ કમોતે મરીશ નહીં,

કારણ હું સત્યનો આગ્રહી જ નથી !

–વિપિન પરીખ

——————————-

અહીં ‘બેફામ’ જીવતાં તો સતત છાંયો નહીં મળશે,

અહીંના લોકો કબરની ઉપર વૃક્ષો ઉગાડે છે.

—બરકત વીરાણી ‘બેફામ’

—————————-

જીવન અને મરણમાં બહુ જ જૂજ છે તફાવત

કોઈ મરે જીવનમાં, જીવે કબરમાં કોઈ !

ચમન ઠક્કર

————————–

અણગમતો આવાસ ત્યજીને ચાલી નીકળો

જીવતાનો આ ભાર ત્યજીને ચાલી નીકળો

ક્યાં લગ રહેશું આ રીતે મોહતાજ હવાના?

ચાલો અહીંથી શ્વાસ તજીને ચાલી નીકળો !

ઉમેશ ઉપાધ્યાય

***

મહેફિલ

યૂં તો સભી મરણ કે રાહી, એક દિન મર જાતૈ હૈ,

ધન્ય ઉસી કો જો મર કર ભી નામ અમર કર જાતે હૈ.

****

મિજલસ

જટીયા જુવાની ગઈ, ગઈ ચટકતી ચાલ,

જિથેં અંબોડે બાંધતા, તીથે પડ ગઈ ટાલ !

****

મોત સમયે આ જીવનનો સાર એક સમજાય છે,

પાપી પણ પાવન બને એવા અનુભવ થાય છે,

નામ જેઓએ લીધું નહોતું જીવનમાં રામનું–

એમને ઊંચકી જનારા ‘રામ’ કહેતા જાય છે !

જયંત શેઠ

હું કરું , હું કરું એ જ અજ્ઞાનતા

છત્રપતિ શિવાજી મહારાજ, જેવા પ્રતાપી-વીર એવા જ પ્રજાવત્સલ. તેઓ રાજ્યમાં એક કિલ્લો ચણાવી રહ્યા હતા. હજારો ગરીબ મજૂરો તેમાં મજૂરી કરતા હતા અને રોજી રોટી મેળવતા હતા. શિવાજીને થયું કે ‘મારે લીધે કેટલા બધા લોકોને ભરણપોષણ મળે છે ! ’તેમને અહંકાર આવ્યો અને તેમણે  પોતાના ગુરુ સ્વામી રામદાસને આ વાત કરી. શિવાજીને હતું પોતાના આ કાર્યથી ગુરુ રાજી થશે અને શાબાશી આપશે, પણ ગુરુ તો ચૂપ રહ્યા અને એક પથ્થર બતાવીને કહ્યું: ‘શિવા ! આ પથ્થર તોડી નાખ.’ શિવાજીએ પથ્થર તોડ્યો, તો તેમાં એક નાનો ખાડો દેખાયો અને એ ખાડામાં એક નાનો દેડકો બેઠેલો દેખાયો ! રામદાસ સ્વામી કહે: ‘શિવા ! આ દેડકાના ભરણપોષણની વ્યવસ્થા પણ તેં જ કરી લાગે છે ! ’

શિવાજી શરમાઈ ગયા, અભિમાન ઓગળી ગયું.

——————————

વીતરાગતા

જૈન ધર્મનું પૂર્ણ લક્ષ્ય છે—વીતરાગ વિજ્ઞાનતાની પ્રાપ્તિ. આ જે વિતરાગ-વિજ્ઞાન છે તે મંગલમય છે, મંગળ કરનારું છે અને એના જ પ્રકાશમાં ચાલી માણસ ‘અરહંત ’પદને પામે છે. આ વીતરાગતા સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યરૂપી રત્નત્રયી સમન્વિત પંથ જ માણસને મુક્તિ અથવા સિદ્ધિ સુધી પહોંચાડે છે.

જૈન ધર્મનો સૌ પહેલો અને મૂળભૂત ઉપદેશ એ છે કે શ્રદ્ધાપૂર્વક વિવેકની આંખો વડે સંસારને જોઈને તેનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરો અને એને જીવનમાં ઉતારો. વીતરાગતાની સામે મોટામાં મોટું ઐશ્વર્ય પણ વ્યર્થ છે. પ્રવૃત્તિ હો યા નિવૃત્તિ, ગ્રાહસ્થ્ય હો યા શ્રાવણ્ય, બંને સ્થિતિમાં અંતરમાં વીતરાગતા વધતી જાય એને જ શ્રેયસ્કર ગણ્ત્યં છે. પરંતુ અનેકાંત દૃષ્ટિ મળ્યા વગર વીતરાગતા પ્રાપ્તિનો રસ્તો હાથ નથી લાગતો.

‘સમણસુત્તં’માંથી

——————————-

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

Leave a comment

વાચકગણ
  • 772,932 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
ફેબ્રુવારી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
29  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો