(વાચનયાત્રાનો પ્રસાદ/સં:મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ/પાનું: 457-8)
હરિનાં લોચનિયાં /કરસનદાસ માણેક
[શાળાનાં દિવસો દરમ્યાન ભણવામાં આવેલી આ કવિતા મને બહુ જ ગમતી]
એક દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !
પચરંગી ઓચ્છવ ઊછળ્યો’તો અન્નકુટની વેળા:
ચાંદીની ચાખડીઓએ ચડી ભક્ત થયા’તા ભેળા !
શંખ ઘોરતા, ઘંટ ગુંજતા, ઝાલરું ઝણઝણતી:
શત શગ કંચન આરતી હરિવર-સંમુખ નર્તંતી.
દરિદ્ર, દુર્બળ, દીન અછૂતો અન્ન વિના રડવડતાં,
દેવદ્વારની બહાર ભટકતા ટુકડા કાજ ટટળતાં–
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !
લગ્નવેદિ પાવક પ્રજ્ળ્યો’તો, વિપ્ર વેદ ઉચ્ચરતા,
સાજનમહાજન મૂછ મરડતા પોરસફૂલ્યા ફરતા !
જીર્ણ, અજીઠું, પામર, ફિક્કું, માનવપ્રેત સમાણું,
કૃપણ ક્લેવર કોડભર્યું જ્યાં માંડવડે ખડકાણું !
બ્રાહ્મણવચને સૂરજશાખે’ કોમળ કળી ત્યાં આણી :
ભાવિની મનહર પ્રતિમાની જે દિન ઘોર ખોદાણી–
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !
ભય થરથરતા ખેડૂત ફરતા શરીફ ડાકુ વીંટાયા:
વરુનાં ધાડાં મૃત ઘેટાંની માંસ-લાલચે ધાયાં !
થેલી, ખડિયા, ઝોળી, તિજોરી: સૌ ભરચક્ક ભરાણાં:
કાળી મજૂરીનાં કરતલને બે ટંક પૂગ્યા ન દાણા !
ધીંગા ઢગલા ધાન્ય તણા સૌ સુસ્તો માંહીં તણાણા:
રંક ખેડુનાં રુધિરે ખરડ્યાં જે દિન ખળાં ખવાણાં—
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !
હૂંફાળાં રાજવીભવનોથી મમત-અઘોર નશામાં
ખુદમતલબિયા મુત્સદ્દીઓએ દીધા જૂદ્ધ-દદામાં !
જલથલનભ સૌ ઘોર અગનની ઝાળ મહીં ઝડપાયાં:
માનવી માનવીનાં ખૂન પીતા ધાયા થઈ હડકાયા !
નવસર્જનના સ્વપ્નસંગી ઉપર ઉછરંગે ઊભરાણાં:
લખલખ નિર્મળ નવલકિશોરો ખાઈઓમાં ખોવાણા–
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !
ખીલું ખીલું કરતાં માસૂમ ગુલ સૂમ શિક્ષકને સોંપાણાં,
કારાગાર સમી શાળાના કાઠ ઉપર ખડકાણાં !
વસંત વર્ષા ગ્રીષ્મ શરદના ભેદ બધાય ભુલાણા :
જીવનમોદ તણા લઘુતમમાં પ્રગતિપદ છેદાણા !
હર્ષઝરણ લાખો હૈયાનાં ઝબક્યાં ત્યાં જ ઝલાણાં:
લાખ ગુલાબી સ્મિત ભાવિનાં વણવિકસ્યાં જ સુકાણાં—
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !
[‘આલબેલ’ પુસ્તક: 1935]
જીર્ણ, અજીઠું, પામર, ફિક્કું, માનવપ્રેત સમાણું, (કૃપયા સમજણ આપશો..)