‘શૂન્ય’ પાલનપુરીની બે ગઝલો
લો આવજો, સલામ !
રાહત-પસંદ સાથીઓ, લો આવજો સલામ !
પંથે ચડી ગયા પછી આરામ છે હરામ !
થાકેલ મંદ ચાલ પણ મૃત્યુથી કમ નથી,
ઝડપી સમયનો કાફલો કરતો નથી વિરામ.
મનના ઉમંગી અશ્વને સમયની કેદ શી ?
કાબેલ હો સવાર તો ઊડવા દો બે-લગામ !
સૂકી સરિત્ આંખડી ! સૂની સમાધ મન ?
હદથી વધે વિયોગ તો આવે છે એ મુકામ !
ગાયે જા શૂન્ય, પ્રેમને ફળની તમા વિના !
કાંટાનો તાજ હોય છે પેગંબરી ઈનામ !
———————————————
બધા ઓળખે છે
પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે
સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,
અરે ! ખુદ અતિથિ ઘટા ઓળખે છે;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.
પ્રણય-જ્યોત કાયમ છે મારા જ દમથી,
મેં હોમી નથી જિંદગી કાંઈ અમથી;
સભાને ભલે હોય ના કૈં ગતાગમ,
મને ગર્વ છે કે શમા ઓળખે છે.
મેં લોયાં છે પાલવથી ધરતીનાં આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું;
ઊડી ગઈ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.
અમે તો સમંદર ઉલેચ્યો છે, પ્યારા !
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે;
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બુદ્-બુદા ઓળખે છે.
તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો;
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.
સ્વયં હું જ રાહી, સ્વયં હું જ મંઝિલ,
મળી છે મને સ્થિરતા ધ્રુવ જેવી;
સદીઓથી મારી ખબર છે દિશાને
યુગોથી મને કાફલા ઓળખે છે.
દિલે શૂન્ય, એવા મેં જખ્મો સહ્યા છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો;
છું ધીરજનો મેરુ ખબર છે વફાને,
દયાનો છું સાગર ક્ષમા ઓળખે છે.
—————————————–
Leave a comment