આ કપૂરકાયા સરી જશે કોઈ ઝીલોજી.
પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલોજી.
——————————————-
*બાલમુકુન્દ દવે
[‘ઝલક/સુરેશ દલાલ’માંથી]
કહેવાતા સંતો ભોળી પ્રજાને ભાંગ પાય છે. એક સંતે પ્રવચનમાં કહ્યું હતું કે શરીર છે જ નહીં, ત્યારે મેં એનો વિરોધ કર્યો હતો. મેં ભારપૂર્વક કહ્યું હતું કે શરીર છે જ. ભલે ડગલે ને પગલે આપણે શરીરનો સરવાળો ન કરીએ, પણ શરીરની બાદબાકી કરી શકાય નહીં. શરીર પણ છે અને એની અવસ્થાઓ પણ છે. શૈશવ, યૌવન અને ઘડપણ. એક અભણ બહેને ભણેલાને યાદ રહી જાય એવી વાત કહી હતી: ‘ઘડપણ ઘૂંટણથી શરૂ થાય છે.’ અને મારાથી સહેજ ઉમેરો થયો કે બચપણ પણ ઘૂંટણથી શરૂ થાય છે. આપણે ચાલતાં શીખીએ છીએ એ પહેલાં ઘૂંટણિયાં જ તાણતા હોઈએ છીએ. બાલમુકુન્દની આ પંક્તિ, યૌવન શાશ્વત નથી, યૌવન અમર નથી એની વાત કાવ્યાત્મક રીતે કહે છે. આપણાં લોકગીતોમાં પણ આ વાત જુદી જુદી રીતે પડઘાય છે, અથવા એમ કહીએ કે લોકગીતની આ વાત આપણા શિષ્ટ કવિઓમાં નવાં કલ્પન-પ્રતીક દ્વારા આવે છે. શાશ્વત યૌવન તો કાલિદાસના ‘મેઘદૂત’ની અલકાનગરીમાં છે. યૌવન ભલે શાશ્વત ન હોય, પણ માણસ મનભરીને જીવ્યો હોય, તો એની સ્મૃતિ શાશ્વત છે. યૌવન અજર નથી એટલા માટે તો ક્ષણેક્ષણને શક્ય એટલી પૂર્ણતાથી જીવી લેવી જોઈએ. બાલમુકુન્દ પણ કપૂર-કાયાના ઊડી જતા ધૂપને ઝીલવાની વાત કરે છે. લોકગીત પણ આ જ વાત કહે છે: ‘જોબનિયું આજ આવ્યું ને કાલ જાશે, જોબનિયું કાલે જાતું રહેશે.’સરી જતા, ખરી જતા જોબનને આંખના ઉલાળામાં કે હરખના હિલોળામાં સાચવવાની આ શીખ છે. બીજા એક લોકગીતમાં મોગરાની પાતળી ડાળ જેવા કે લીલા વાંસના માંડવા જેવા યૌવનની વાત છે, એને બહેકતાં કે સડતાં વાર નથી લાગતી. મરીઝ એટલે જ કહે છે:
જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
=====================================
પ્રતિસાદ આપો