SONACHAMPO
આજે ચાલો, બાલમુકુંદ દવેને મળીએ
સોનચંપો/બાલમુકુંદ દવે
રંકની વાડીએ મોર્યો સોન રે ચંપાનો છોડ :
અમને ન આવડ્યાં જતન જી !
ઊષર અમ ભોમકામાં શેનાં રે ગોઠે, જેનાં
નંદનવન હોય રે વતન જી ?
વજ્જરની ચાતી કરીએ, તોય રે દુલારા મારા !
ધીરે જીવન કોરે ઘાનાં ઘારાં જી :
કૂવાને થાળે જેવા કાથીકેરા દોરડાના–
થોડે થોડે લાગે રે ઘસારા જી !
દેશ રે ચડે ને જેવો અંધારે ભમતો પંથી
ગામની ભાગોળે સારી રાત જી :
ઘરની ઓસરીએ તેવી, ઠેબાં રે ખાતી તું વિણ
બાવરી બનેલી તારી માત જી !
બાવળની કાંટ્ય જેવી ભવની ભુલામણીમાં
આ રે કાંઠે ઝૂરે મા ને તાત જી !
સામે રે કાંઠે તારા દૈવી બગીચા બેટા !
વચ્ચે આડા આંસુના અખાત જી !
પારાવારના પ્રવાસી
આપણે તે દેશ કેવા ?
આપણે વિદેશ કેવા ?
આપણે પ્રવાસી પારાવારના હે…જી.
સંતરી સૂતેલા ત્યારે
આપણે અખંડ જાગ્યા,
કોટડાં કૂદીને ભાગ્યા,
આપણે કેદી ના કારાગારના હે…જી.
આપણે પ્રવાસી પારાવારના હે…જી.
આપણે પંખેરું પ્યાસી
ઊડિયાં અંધાર વીંઝી
પાંખ જો પ્રકાશ—ભીંજી
આપણે પીનારાં તેજલધારનાં હે…જી.
આપણે પ્રવાસી પારાવારના હે…જી.
આપણે ભજનિક ભારે,
આપણે તે એકતારે
રણકે છે રામ જ્યારે ,
આપણા આનંદ અપરંપારના હે…જી.
આપણે પ્રવાસી પારાવારના હે…જી.
ઝાકળની પિછોડી
જૂઠી ઝાકળની પિછોડી
મનવાજી મારા !શીદ રે જાણીને તમે ઓઢી ?
સોડ રે તાણીને મનવા !સૂવા જ્યાં જાશો ત્યાં તો–
શ્વાસને સેજારે જાશે ઊડી
મનવાજી મારા જૂઠી ઝાકળની પિછોડી !
બળતા બપ્પોર કેરાં અરાંપરાં ઝાંઝવામાં–
તરસ્યાં હાંફે રે દોડી દોડી;
મનનાં મરગલાંને પાછાં રે વાળો વીરા !
સાચાં સરવરિયે દ્યોને જોડી.
મનવાજી મારા જૂઠી ઝાકળની પિછોડી !
સાચાં દેખાય તે તો કાચાં મનવાજી મારા !
જૂઠાં રે જાગર્તિનાં મોતી;
સમણાંને ક્યારે મોરે સાચા મોતી-મોગરાજી !
ચૂની ચૂની લેજો એને તોડી.
મનવાજી મારા !જૂઠી ઝાકળની પિછોડી !
એવું રે પોઢો મનવા !એવું રે ઓઢો મનવા !
થીર રે દીવાની જેવી જ્યોતિ;
ઉઘાડી આંખે વીરા !એવાં જી ઊંઘવાં કે–
કોઇ નો શકે રે સ્રતા તોડી.
મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !
શ્રાવણ નીતર્યો
આ શ્રાવણ નીતર્યો સરવડે કોઇ ઝીલો જી.
પેલાં રેલી ચાલ્યાં રૂપ કોઇ ઝીલો જી.
આ કપુર-કાયા સરી જશે કોઇ ઝીલો જી
પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઇ ઝીલો જી.
આ જલધારામાં ઝૂલતી કોઇ ઝીલો જી
પેલી તૂટે મોતનમાળ હો કોઇ ઝીલો જી.
આ લટ લહેરાતી લળી લળી કોઇ ઝીલો જી
પેલું કોણ હસે મરમાળ ?હો કોઇ ઝીલો જી.
આ નથી ટપકતાં નેવલાં કોઇ ઝીલો જી
આ વરસે અમરત-મેહ હો કોઇ ઝીલો જી.
આ સમણાં કેરા કરા પડે કોઇ ઝીલો જી
આ નરદમ વરસે નેહ હો કોઇ ઝીલો જી.
આ ચળકે વાદળ-તલાવડી કોઇ ઝીલો જી
એની તડકે બાંધી પાળ હો કોઇ ઝીલો જી.
આ દિન વહી ચાલ્યો સુહામણો કોઇ ઝીલો જી
આ રાત ચલી રઢિયાળ હો કોઇ ઝીલો જી.
આ દૂધે ધોયા ડુંગરા કોઇ ઝીલો જી
પેલી ઝરણાંની વણઝાર હો કોઇ ઝીલો જી.
આ જતિસતીનાં તપ રેલે કોઇ ઝીલો જી
પેલા શિવલોચન—અંબાર હો કોઇ ઝીલો જી.
===================================================================હ હોળી મહિનાની વિજોગણ
આગળ મોર્યા મોગરા ને પછવાડે ગલગોટ,
સવળા વાતા વાયરા,એની અવળી વાગે ચોટ !
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ ?
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ ?
ખીલ્યાં કેસુ ખાખરે, એની વગડે વગડે આગ,
ફૂલડે ફૂલડે ફરી વળે મારું મન જાણે મધમાખ !
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ ?
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ ?
હોળીમહિનો હુલામણો, ઘેર નારી બાળે વેશ,
હું પૂછું નિર્દે નાવલા !તને કેમ ગમે પરદેશ ?
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ ?
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ ?
રાતે વસમી ચાંદની ને દા’ડે વસમી લૂ !
વસમી વિરહની શારડી, મન વિચાર કરજે તું
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ ?
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ ?
***************************************************************
‘ગુજવાણી’ પર ‘સોનચંપો/બાલમુકુંદ દવે’ વાચ્યું અને ‘સોનચંપો’ની સોનેરી યાદના તેજથી મન તેજોમય થઈ ગયું! ‘સોનચંપો’ અને બાલમુકુંદ દવેનો હું સદાનો ઋણી છું. એના વિશે વધુ લખીશ નીચેના બ્લોગ પર ‘ભાગ ૨૭: ગિરીશ પરીખનાં ૧૦૮ શ્રેષ્ઠ બાળગીતો’ સ્મરણલેખમાં.
http://www.girishparikh.wordpress.com
” ‘સોનચંપો’ની સોનેરી યાદ (ગિરીશ પરીખનાં ૧૦૮ શ્રેષ્ઠ બાળગીતોઃ ભાગ ૨૭)” http://www.girishparikh.wordpress.com પર પોસ્ટ કરી દીધું છે.
ગોપાલભાઈ, મને યાદ છે કે આપની પોસ્ટમાં પહેલું ગીત ‘સોનચંપો’માંથી છે. બાકીનાં ગીતો પણ ‘સોનચંપો’માંથી જ છે?
ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા E-mail: girish116@yahoo.com
[…] ‘ગુજવાણી’ (http://gujvani.feedcluster.com/) પર આજે (જૂન ૩, ૨૦૧૦; ગુરુવાર) ‘સોનચંપો/બાલમુકુંદ દવે’ વાચ્યું અને ‘સોનચંપો’ની સોનેરી યાદના તેજથી મન તેજોમય થઈ ગયું! ‘સોનચંપો’ અને બાલમુકુંદ દવેનો હું સદાનો ઋણી છું. તરત જ મેં ‘સોનચંપો/બાલમુકુંદ દવે’ પર ક્લિક કર્યું, ગીતો પર મીઠી નજર નાખી અને કોમેન્ટ પોસ્ટ કરી. બાલમુકુંદ દવે મારા પ્રિય કવિઓમાંના એક છે. એમની સાથે મને પ્રત્યક્ષ પરિચય પણ થએલો. નિમિત્ત બનેલાં એમના બાળગીતોનો સંગ્રહ “સોનચંપો”, અને મારાં બાળગીતોનો જન્મ લેવાની તૈયારી કરતો સંગ્રહ “ટમટમતા તારલા”. અમદાવાદમાં અમારા ઘરથી બાલમુકુંદભાઈ નજીકમાં જ રહેતા હતા. ૧૯૬૧માં પ્રગટ થએલા મારા પુસ્તક “ટમટમતા તારલા”ના ‘નિવેદન’માં મેં લખ્યું છેઃ “વર્ષોથી બાલગીતોનો સંગ્રહ પ્રગટ કરવાના મનોરથ હતા. ભૂતપૂર્વ મુંબઈ સરકારે પછી તો બાલસાહિત્યનાં પુસ્તકોને દર વર્ષે ઈનામો આપવાની યોજના કરી ને સંગ્રહ પ્રગટ કરવાની મારી આકાંક્ષા વધુ દ્રઢ થઈ. એવામાં એક સાંજે બાલમુકુંદ દવેનો બાલગીતોનો સંગ્રહ ‘સોનચંપો’ ખરીદ્યો ને અનેક વાર એ નાનકડી પુસ્તિકા વાંચી નાખી. એ સંગ્રહને મુંબઈ સરકારનું પ્રથમ પારિતોષિક મળેલું. (પછી ભારત સરકારનું પણ એને પારિતોષિક મળ્યું.) મેં બાલમુકુંદભાઈની મુલાકાત લીધી ને મારાં ગીતો એમની આગળ ધરી દીધાં. એમણે એમાંથી પાંત્રીસ ગીતો પસંદ કરી ગોઠવી આપ્યાં ને ‘ટમટમતા તારલા’ની હસ્તપ્રત તૈયાર થઈ. ભૂતપૂર્વ મુંબઈ સરકારનું પારિતોષિક પણ એને પ્રાપ્ત થયું. પુસ્તક પ્રગટ કરવામાં પણ શ્રી. બાલમુકુંદભાઈએ મને ખૂબ જ મદદ કરી.” બાલમુકુંદભાઈની નિખાલસતા મને સ્પર્શી ગઈ. ‘ટમટમતા તારલા’ હાલ અપ્રાપ્ય છે. એનો નવો અવતાર www.girishparikh.wordpress.com બ્લોગ પર તૈયાર કરી રહ્યો છું. ’ટમટમતા તારલા’ ની નવી આવૃત્તિને અર્પણ કરીશ મારી પૌત્રી માયા (જન્મ તારીખ: ઓગસ્ટ ૧૨, ૨૦૦૭) , પૌત્ર જય (જન્મ તારીખ: ૩૦ સપ્ટેમ્બર, ૨૦૦૯), અને બાલમુકુંદ દવેને. ’સોનચંપો/બાલમુકુંદ દવે’ ની લીંકઃ https://gopalparekh.wordpress.com/2010/06/03/%e0%aa%b8%e0%ab%8b%e0%aa%a8%e0%aa%9a%e0%aa%82%e0%aa%aa%e… […]
[…] રચના ઃ ૧ ઃ ૨ ઃ ૩ ઃ ૪ ઃ ૫ […]