બુધવાર આષાઢ સુદી તેરસ 2064 ને 16મી જુલાઇ 2008
ભજનયોગ/ પ્રતીક્ષાનું ગીત/મધુમતી મહેતા સંપાદક:સુરેશ દલાલ/પાનું146-147
મારી પાટીના અક્ષર ભૂંસાય કે રામ તમે આવો ને,
મારા ફેરાનાં મીંડાં ઘૂંટાય હે! રામ હવે આવો ને.
મારું હોવું અભરખાનું ઝાડ કે રામ તમે આવો ને,
મારી ફરતે અજંપાની વાડ હે !રામ હવે આવો ને.
મારી છાતીમાં નોધારી ચીસ કે રામ તમે આવો ને,
મેં તો સાચવીને રાખી છે રીસ હે! રામ તમે આવો ને.
મારી આંખે ઉજાગરાનું જાળું કે રામ તમે આવોને,
હું તો આવ્યાના ભણકારા પાળું હે! રામ તમે આવોને.
છેડો આતમમાં મલ્હારી રાગ કે રામ તમે આવોને,
મારા ઇંધણમાં ચાંપો રે આગ હે! રામ હવે આવોને.
હવે જીવતર આ જૂના કથીર કે રામ તમે આવોને,
મારી અંદરથી ખોવાણા પીર હે! રામ હવે આવોને.
ઇશ્વર હંમેશાં આપત્તિમાં જેટલો યાદ આવે છે એટલો બીજે કયારેય નથી આવતો.આપણો દરિયો સુકાતોહોય કે આપણે લલાટે જે સદભાગ્ય લખાયું હોય અને આપણી પાટી પર વિધાતાએ જે અક્ષર પાડ્યા હોય તે ભૂંસાતા હોય ત્યારે હૃદયમાંથી એક ચીસ નીકળી જાય છે અને એટલે જ પહેલી પંક્તિની વેધકતા આપણી આરપાર નીકળી જાય છે.લગ્નના દેખીતી રીતે સાત ફેરા હોય છે. પણ એક પછી એક વીતતા વર્ષો એ ઘૂંટાતાં મીંડાં છે. આમીંડાં વધતા જાય એ ગમે પણઘૂંટાઇઘૂંટાઇને ગૂંગળાય એ ન ગમે. ‘રામ તમે આવોને’માં વિનંતી છે. પણ ‘રામ હવે આવોને’માં ઉત્કટતા છે.
માણસ ઉમળકા અને અભરખાથી જીવતો હોય છે. ધીમેધીમે અભરખાનું ઝાડ ઉછેરતો હોયછે, પણ ક્યારેક અજંપાની વાડ વૃક્ષને ગૂંગળાવે છે અને એટલે જ બેચેનીમાં રામનો ઉદગાર સરી પડે છે. જીવનમાં એવી કેટલીયે ક્ષણ હોય છે કે આપણે અચાનક પરિસ્થિતિના મોહતાજ થઇ જઇએ છીએ.આપણો ગમે તેટલો પુરુષાર્થ હોય તો એ પુરુષાર્થ આપણને પાંગળો લાગે છે.જીવનનાતમામ આધાર સરી જતા હોય છે, પગ નીચેની ધરતી સરતી હોય એમ આવી પરિસ્થિતિમાં જે ચીસ પ્રગટે છે તે પ્રાર્થનાનો જ એક પ્રકાર છે.પરિસ્થિતિની ચિંતા કરવી એના કરતાં પ્રાર્થના કરવી એ ઉત્તમ માર્ગ છે.ક્યારેક ઇશ્વર સાથે પણપ્રેમથી ઝગડવાનું મન થાય છે, એટલે તો અહીં સાચવી રાખેલી રીસની વાત કહેવાઇ છે. માણસનું મન જ્યારે આવરું-બાવરું હોય, બેબાકળું હોય ત્યારે આંખને ને નિદ્રાને વેરભાવ ઊભો થાય છે.ઊંઘ આવતી નથી.ઉજાગરો ખૂંચે છે અને ખટકે છે. સૂવાના પ્રયત્નોમાં પણ સૂઇ શકાતું નથી. ઉજાગરાનું જાળું મૂંઝવે છે. ઇશ્વર આવે તો જાગરણ થાય. અંતરમાં અણસારા છે. કાનમાં ‘આવશે’ ના ભણકારા છે. પણ અણસારા ને ભણકારાથી જીવી જીવીને કેટલું જિવાય. માણસ એટલે જ પેરેડોકસ, વિરોધ અને વિરોધાભાસ.જીવનમાં એક બાજુ ઇચ્છાના ઇંધણ છે, કામના છે, વાસના છે, બીજી બાજુ ઉપાસનાની આરત છે. કવયિત્રી એકસાથે બે વસ્તુ માગે છે—આગ અને વરસાદ. આત્મામાં મલ્હારી રાગ છે અને ઇંધણમાં આગ ચંપાયેલી અપેક્ષા છે. રૉબર્ટ ફૉસ્ટનું એક નાનકડું કાવ્ય યાદ આવે છે. કોઇક કહે છે કે વિશ્વનો વિનાશ અગ્નિથી, કોઇક કહે છે બરફથી, જો વિશ્વે બે વાર વિનાશ નોતરવો હોયતો વિનાશ માટેની આગની જેમ બરફ પણ પૂરતો છે. સમગ્ર જીવતર કથીર જેવું છે. જીવું છું, પણ જીવન નથી. જીવની ભીતરનો શિવ ખોવાઇ ગયો છે. ઝંખના ખોવાયેલા પીરની છે.આ કાવ્યની મજા એ છે કે એમાં લોકગીતના લયના ભણકારા છે. આપણા કવિ ન્હાનાલાલ માટે પણ લોકગીત પ્રાણવાયુ જેવાં હતાં. એમનું એક કાવ્ય યાદ આવે છે: આ વસંત ખીલે શતપાંખડી હરિ આવોને વેર્યા તારલિયાના ફૂલ હવે તો હરિ આવોને. મધુમતી મહેતા શિકાગોમાં રહેતાં કવયિત્રી છે. ગીત અને ગઝલ બંને સ્વરૂપ પરની એમની ફાવટ અજાણી નથી.
મધુમતી મહેતાનું મધુરું પ્રતીક્ષાનું ગીત
જે મઝા પ્રતીક્ષામાં છે તે મીલનમાં ક્યાં?
જ્યાં પ્રેમ કહો તો પ્રેમ અને ભક્તિ કહો તો ભક્તિનું અદ્વૈત સાયુજ્ય સ્થપાય છે. પ્રતીક્ષાનું પૂર્ણવિરામ એટલે પ્રિયજનની સચરાચરમાં પ્રાપ્તિથી વ્યાપ્તિની કથા
યાદ આવી
નાડી ચલે ન, થંભ્યો છે સાંસનો ય સંચો;
મુઠ્ઠી સમા હૃદયના થડકાની જેમ આવો.
પલળી ગયેલ પાલવ લૂછી શકે ન આંસુ;
વાલમ નિસાસ-કોરા કડકાની જેમ આવો.
આ ગોરસી અને આ મથુરાની વાટ ખાલી;
આવો કહાન દહીંના દડકાની જેમ આવો.
પાણી વલોવી થાક્યાં આ નેતરાં, રવૈયો;
નવનીત સારવંતા ઝડકાની જેમ આવો.