hari no hansalo/balmukund dave ane sukhna sukhad jale/venibhai

હરિનો હંસલો//બાલમુકુંદ દવે
કોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો ?
કલંકીએ કોણે કીધા ઘા ?
કોણ રે અપરાધી માનવજાતનો
જેને સૂઝી અવળી મત આ ?
રુધિરે રંગાયો હરિનો હંસલો !
પાંખ રે ઢાળીને હંસો પોઢિયો,
ધોળો ધોળો ધરણીને અંક;
કરુણા—આંજી રે એની આંખડી,
રામની રટણા છે એને કંઠ,
રુધિરે રંગાયો હરિનો હંસલો !
હિમાળે સરવર શીળાં લે’રતાં
ત્યાંનો રે રહેવાસી આ તો હંસ;
આવી રે ચડેલો જગને ખાબડે,
જાળવી જાણ્યો ના આપણ રંક !
સાંકડાં ખોદો રે અંતરખાબડાં,
રચો રે સરવર રૂડાં સાફ;
અમરોનો અતિથિ આવે હંસલો;
આપણી વચાળે પૂરે વાસ.
રુધિરે રંગાયો હરિનો હંસલો !

સુખડ અને બાવળ/વેણીભાઇ જમનાદાસ પુરોહિત
“સિંજારવ”માંથી
સુખના સુખડ જલે રે
મારા મનવા !
દુઃખના બાવળ બળે–
બળે રે જી…દુઃખના બાવળ બળે.
સુખડ જલે ને થાય ભસમની ઢગલી ને
બાવળના કોયલા પડે—
મારા મનવા !
તરસ્યા ટોળે વળે.
વળે રે જી…દુઃખના બાવળ બળે.
કોઇનું સુખ ખટરસનું /ભૂખ્યાનું ભોજન,
કોઇ મગન ઉપવાસે :
કોઇનું સુખ આ દુનિયાદારી,
ખોઇ મગન સંન્યાસે :
રે મનવા ! કોઇ મગન સંન્યાસે :
સુખના સાધન ને આરાધન
લખ ચકરાવે ચડે…./નહીં કરવાના કરે…..
ચડે રે હો જી….
તરસ્યા ટોળે વળે.
કોઇ પરમારથમાં સુખ શોધે,
કોઇ પરદુઃખે સુખિયા :
ભગત કરે ભગતીનો ઓછવ,
કોઇ મંદિરના રે મુખિયા :
રે મનવા !
કોઇ મંદિરના મુખિયા :
સમદુખિયાનો શંભુમેળો
ભવમાં ભેળો મળે, મળે રે જી…
લખ ચકરાવે ચડે.
રંગવિલાસી ભોગી દીઠા,
જોગી બ્રહ્મ-વિલાસી :
પામર સુખ, અજરામર સુખના
સહુને દીઠા પ્યાસી :
રે મનવા !
સહુને દીઠા પ્યાસી :
બધા ઝઝૂમે ઝંખી-ડંખી
સળગે કે ઝળહળે, હળે રે જી…
ભવમાં ભેળા મળે.
સુખનાં સુખડ જલે રે
મારા મનવા !
દુઃખના બાવળ બળે.

Add comment July 2, 2008

મારા ગાંધીબાપુ/ઉમાશંકર જોશી/લોક્મિલાપ

કબૂલ્યું,તે કર્યું?//મારા ગાંધીબાપુ /ઉમાશંકરજોશી//
લોકમિલાપ/ખિસ્સાપોથીમાંથી

દક્ષિણ આફ્રીકામાં જોહાનિસબર્ગમાં ગાંધીજી વકીલાત કરતા ત્યારની વાત છે.ઘરથી ઑફિસ ત્રણ માઇલ દૂર હતી. એક વાર ગાંધીજીના સાથી શ્રીપોલાકે ગાંધીજીના તેરેક વરસના પુત્ર મણિલાલને ઑફિસેથી એક પુસ્તક ઘેર લઇ આવવાનું કહેલું. મણિલાલ ભૂલી ગયા. વાત ગાંધીજી સુધી પહોંચી.ગાંધીજી મણિલાલ પાસે ગયા.પૂરી મૃદુતાથી પણ મક્કમતાથી પુત્રને કહ્યું : રાત અંધારી છે, પંથ વિકટ છે, આવતાં-જતાં છ માઇલ થાય; છતાં તેં કબૂલ્યું હતું એટલે ઑફિસ જઇને મિ.પોલાકને પુસ્તક લાવી આપવું રહ્યું. સાંભળીને બા અને ઘરનાં બધાં વિમાસણમાં પડી ગયાં. બાપુએ આવો આગ્રહ શા માટે રાખવો જોઇએ એવા સવાલો પણ ઊઠયા. ઓફિસના સાથી કલ્યાણદાસભાઇએ કહ્યું: જોઇએ તો હું પુસ્તક લઇ આવું,અથવા તો મણિલાલ સાથે મને જવા દો. ગાંધીજીએ બીજો વિકલ્પ સ્વીકાર્યો. તેરેક વરસના કિશોર પુત્રે મોડી રાતે પણ શ્રી પોલાકને પુસ્તક લાવીને આપ્યું-પોતે સ્વીકારેલું કામ પાર પાડ્યું એની પુષ્પથીયે કોમળ પણ વજ્રથીયે કઠોર પિતાએ બરોબર કાળજી રાખી. +++++++++++++++++++++++++++++++++++++++++
ઇશ્વર છે તેની ખાતરી
જોહાનિસબર્ગમાં ગાંધીજી વહેલા ઊઠે,પ્રાર્થના કરે,કોઇ વાર ઘંટી થી ઘઉં દળે,ચૂલો સળગાવે અને કીટલીમાં પાણી ગરમ કરવા મૂકે. મકાનના જાજરૂની બાલદીઓ છથી દસ ફૂટ જેટલી ઊંચાઇવાળી એક ટાંકીમાં સાફ થતી. નાહવા ધોવાનું પાણી પણ એમાં એકઠું થતું. એ ટાંકી ખાલી કરવા અઠવાડિયે મ્યુનિસિપાલિટીની બે ઘોડાથી ખેંચાતી લોખંડી ટાંકી લઇને હબસીઓની ટુકડી આવતી. સફાઇકામપૂરું થાય એટલે સ્વચ્છ થઇ,ઠંડી હોય ત્યારે તો પૂરતાં કપડાંને અભાવે ધ્રૂજતા હબસીઓ ગાંધીજી પાસે આવે.
એમનાં ટમ્લરમાંપોતાને હાથે બનાવેલી ગરમાગરમ ચા કીટલીમાંથી રેડવાનો ગાંધીજીનો ક્રમ હતો.
ગરમ ગરમ ચા પીતાં આભાર દર્શાવતાં તેઓ ડાબો હાથ ઊંચો કરીને ઝુલુ ભાષામાં કહેતા :
“ ‘ કોસ બાબા ફેઝલુ—ઇશ્વર ઉપર છે.’
પણ એની ખાતરી તો અમને તમારી આપેલી ગરમ ગરમ ચાના પ્યાલાથી થાય છે.”
===========================================
જા,મેં પણ મીઠું છોડ્યું

બાની તબિયત ખૂબ કથળી હતી. માંડ બચ્યાં હતાં. રોગે ફરી ઊથલો માર્યો. બીજા ઉપચારો કામ ન આવ્યા,એટલે બાપુજીએ પોતાના નિસર્ગોપચારની વાત મૂકી, મીઠં અને કઠોળ છોડવા બાને વીનવ્યાં,તેકામાં જાણકારોનાં લખાણો વંચાવ્યાં, સમજાવ્યાં; પણ બા માને નહિ.
બાથી કહેવાઇઅ ગયું “કઠોળ અને મીઠું છોડવાનું તો તમને કોઇ કહે તો તમે પણ ન છોડો.”
સાંભળીને બાપુને દુઃખ થયું.પણ મારો પ્રેમ ઠાલવવાનો આ પ્રસંગ છે, એમ સમજાતાં હર્ષ પણ થયો. બોલ્યા : જા, તો એક વર્ષને સારુ કઠોળ અને મીઠું બંને છોડ્યાં. તું છોડે કે ન છોડે એ નોખી વાત છે.
” બાને ભારે પશ્ચાત્તાપ થયો. તે બોલી ઊઠયાં : “મને માફ કરો. તમારો સ્વભાવ જાણતાં છતાં કહેતાં કહેવાઇ ગયું.હવે હું તો કઠોળ ને મીઠું નહિ ખાઉં.પણ અતમે તો તમારું વેણ પાછું ખેંચી લો ! આ તો મને બહુ સજા કહેવાય.”
બાપુ :” તું કઠોળ-મીઠું છોડશે તો બહુ જ સારું. મારી ખાતરી છે કે તેથી તને ફાયદો જ થશે. પણ લેવાયેલી પ્રતિજ્ઞા મારાથી ફેરવાય નહિ. મને તો લાભ જ થવાનો. ને તે બે વસ્તુઓ છોડવાનો જે નિશ્ચય તેં કર્યો છે તેમાં કાયમ રહેવામાં તને મદદ મળશે.” બા :”તમે તો બહુ હઠીલા છો. કોઇનું કહ્યું માનવું જ નહિ.”
બા ખોબો આંસુ ઢાળી શાંત રહ્યાં. પણ પતિ-પત્નિ વચ્ચેના આ પ્રસંગમાંથી બાપુને સત્યાગ્રહની ચાવી મળી. પ્રેમ દ્વારા કરેલા ત્યાગથી સામાના હૃદય સુધી પહોંચવું અને એના જીવનમાં કલ્યાણક પરિવર્તન સાધવામાં મદદરૂપ થવું, એ સત્યાગ્રહનો કીમિયો છે. તેથીસ્તો બાઔ આ પ્રસંગ વિશે કહે છે : “તેને મારી જિંદગીનાં મીઠાં સ્મરણોમાંનું એક માનું છું”
+++++++++++++++++++++++++++++++++++++++++++
રિવૉલ્વર રક્ષા કરશે?

દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને એક બુધ્ધિશાળી અને વફાદાર ગોરા સાથી મળી ગયા હતા.એમનું નામ કેલનબેક. એક વાર ગાંધીજી ખીંટી પરથી પોતાનો કોટ લેવા ગયા ત્યાં પાસે લટકતા કેલનબેકના કોટના ગજવામાં એમને રિવૉલ્વર દેખાઇ. એમણે એ બહાર કાઢી અને પૂછ્યું :”રિવૉલ્વર તમે શા માટે રાખો છો ?
કેલનબેક: “અમસ્તી જ !”
ગાંધીજીએ હસતાં હસતાં પ્રશ્ન કર્યો :” રસ્કિન-તોલ્સ્તોયનો તમારી ઉપર ખૂબ પ્રભાવ છે,તેઓએ એવું લખ્યું છે ખરું કે વગર કારણે રિવૉલ્વર ગજવામાં આખવી ?”
કેલનબેક વિનોદ સમજ્યા, શરમાયા. દબાતે અવાજે એમણે કબૂલ કર્યું :”જાણવા મળ્યું છે કે કેટલાક ગુંડાઓ તમારી પાછળ તમને મારવા માટે ફરી રહ્યા છે.”
ગાંધીજી કહે : “એટલે તમે આ રિવૉલ્વરથી મારી રક્ષા કરવાના, એમને ?”
કેલનબેક :”જી હા. એટલે જ હું તમારી પાછળ પાછળ હંમેશાં ફરુંછું.”
ગાંધીજી હસી પડ્યા. “વાહ રે ! ત્યારે તો હું હવે નિશ્ચિંત બન્યો. મારું રક્ષણ કરનારાએ (પ્રભુએ) તમને જ જવાબદારી સોંપી છે, એમને ? અથવા તો તમે પોતે આપમેળે એ સ્વીકારી છે. એટલે તમે જીવતા હો ત્યાં સુધી મારે મારી સલામતી જ સમજવાની ને ?વાહ,ભાઇ, તમે તો પરમેશ્વરનો અધિકાર પણ ઝૂંટવવાની ઠીક હિંમત કરી !”
કેલનબેક સમજ્યા. પોતે કોણ રક્ષણ કરવાવાળા? બાપુને રોમેરોમે એમણે એ શ્રધ્ધા જોઇ કે, રક્ષણ કરવાવાળો તો સર્વ શક્તિમાન મારો રામ બેઠો છે. એની ઇચ્છા હશે ત્યાં સુધી આ શરીરને કોઇ કશું કરી નહિ શકે, અને એનો હુકમ છૂટશે ત્યારે આ શરીરને કોઇ રક્ષકો કે દાક્તરો બચાવી નહિ શકે. +++++++++++++++++++++++++++++++++++++++++++
સાપ સાથે

ફીનિક્સ આશ્રમમાં એકવાર અંધારી રાતે બારણા બહાર મોટા સાપનો ફૂંફાડો સંભળાયો.દીવાની મદદથી જોયું તો સાપનો લિસોટો પડેલો.જોયું તો પાણીની ટાંકી પાછળ સાપ ભરાયેલો. સાપ ત્યાં વારંવાર નીકળતા. સાપને પકડવા રેશમની દોરીના ગાળાવાળી લાકડી આશ્રમવાસીઓ વાપરતા. સાપને ગાળામાં લઇ બહર ખેંચી કાઢ્યો.
સાપ તોફાને ચઢ્યો.ગૂંચળું થઇને પછાડ ખાય અને હાથમાંથી લાકડી છૂટી જાય એવું જોર કરે.એટલામાં ગાંધીજી ત્યાં આવી પહોંચ્યા. સાપને જોતાં જ બોલ્યા : આ તો બહુ ભારે જનાવર છે. તમે દોરી બહુ સખત રાખશો નહિ.એ પીડાશે.
સાપ કષ્ટાતો હતો એ ગાંધીજી તરત વરતી ગયા. એમણે કહ્યું :એને નીચે મૂકો.
આશ્રમવાસીઓ વિચારમાં પડ્યા કે બાપુએ શું ધાર્યું હશે. સંભાળીને હળવેકથી સાપને નીચે મૂક્યો. ગાંધીજીએ કહ્યું : દોરી ઢીલી કરો. એની ડોકે દોરી બેસી જાય નહિ.
દોરી બિલકુલ ઢીલી કરી દેવામાં આવી. સાપને નીકળી જવા દેવો હોય તો નીકળી જવા દઇ શકાય એટલી ઢીલી.
ગાંધીજી લાંબા પડેલા સાપ પાસે બેઠા,એની પીઠ પર ધીમેથી હાથ ફેરવવા લાગ્યા.સાપને પસવારતાં એમનાથી ઉદગાર થઇ ગયો : કેવું સુંદર પ્રાણી !
હાથના મીઠા સ્પર્શની અસરતળે સાપ ગેલમાં પૂંછડી હલાવવા માંડ્યો. ક્યાં થોડી ક્ષણો પહેલાંનો વીફરેલો પ્રચંડ નાગ, અને ક્યાં આ પ્રેમની મોહિનીને વશ થયેલ જીવ !
થોડી વાર રહીને બાપુએ ઊઠીને સૂચના આપી :આને સંભાળીને ઉઠાવજો અને દૂર નાખી આવજો.
સોમવાર,ત્રીસમી જૂન 2008 ને જેઠ વદ બારસ 2064

મંગળવાર, પહેલી જુલાઇ 2008 ને જેઠ વદ તેરસ 2064

મોટર પાછી દઇ દો !
જર્મન સ્થપતિ કેલનબેક ગાંધીજીની જીવનરીતિથી આકર્ષાઇનેતેમના સાથી બન્યા હતા.ગાંધીજી બીજી વાર જેલમાંથી છૂટવાના હતા તે દિવસે કેલનબેક એક નવી મોટર ખરીદીને એમને લેવા માટે જેલને દરવાજે જઇને ઊભા.
ગાંધીજી જેલમાંથી બહાર આવ્યા.બધાને મળ્યા.કેલનબેકે મોટરમાં બેસવા વિનંતી કરી.
ગાંધીજીએ પૂછ્યું :”કોની મોટર છે ?”
”મારી છે. સીધો ખરીદીને અહીં લાવ્યો છું.”
”શા માટે ખરીદી ?”
કેલનબેકનો ઉત્સાહ થોડોક ઓસર્યો. સંકોચપૂર્વક બોલ્યા :”આપને લઇ જવા માટે.”
ગાંધીજીએ તરત મિત્ર પાસે માગણી મૂકી :” આ મોટર તમે અત્યારે ને અત્યારે જ લિલામ કરવાના મથક પર મૂકી આવો. મારે માટે તમને મોહ કેમ ઊપજ્યો? હું એમાં બેસવાનો નથી.તમે મોટર મૂકીને પાછા આવો ત્યાં સુધી હું અહીં જ ઊભો છું”
કેલનબેક તરત મોટર લિલામ-મથકે મૂકી આવ્યા.એ પાછા ફર્યા ત્યાં સુધી ગાંધીજી એમને લેવા આવેલા સૌ જેલને બારણે જ ઊભા રહ્યા.કેલનબેક આવ્યા પછી એમની સાથે સૌ પગપાળા મુકામ પર ગયા. ===========================================

Add comment July 1, 2008

સોનચંપો/બાલમુકુંદ દવે

રંકની વાડીએ મોર્યો સોન રે ચંપાનો છોડ :
અમને ન આવડ્યાં જતન જી !
ઊષર અમ ભોમકામાં શેનાં રે ગોઠે, જેનાં
નંદનવન હોય રે વતન જી ?

વજ્જરની છાતી કરીએ, તોય રે દુલારા મારા !
ધીરે જીવન કોરે ઘાનાં ઘારાં જી :
કૂવાને થાળે જેવા કાથીકેરા દોરડાના—
થોડે થોડે લાગે રે ઘસારા જી !

દેશ રે ચડે ને જેવો અંધારે ભમતો પન્થી
ગામની ભાગોળે સારી રાત જી !
ઘરની ઓસરીએ તેવી, ઠેબાં રે ખાતી તું વિણ
બાવરી બનેલી તારી માત જી !

બાવળની કાંટ્ય જેવી ભવની ભુલામણીમાં
આ રે કાંઠે ઝૂરે મા ને તાત જી !
સામે રે કાંઠે તારા દૈવી બગીચા બેટા !
વચ્ચે આડા આંસુના અખાત જી !

Add comment June 30, 2008

બેવડો રંગ /બાલમુકુંદ દવે

બેવડો રંગ
બાલમુકુંદ દવે (“પરિક્રમ્મા”માંથી)

રૂપેરી નેહ હુક્કાની શોખથી ગગડાવતો
જહાંગીર હતો બેઠો ઝરૂખે શાહી મ્હેલને,

હવા જમુનાજલસ્પર્શથી ભીની,
ભીંજાવતી ઊઘડતા પ્રભાતને;
ખીલ્યે જતી રોનક દિલ્હી નગરની,
આંખો પીએ રૂપછટા નશીલી.

સામેનો રાજમાર્ગેથી ફેંટાળો અસવાર કો,
આવે ખેલાવતોબંકો પંચકલ્યાણી અશ્વને.

રેવાલના નર્તન સંગ,છેલના
ફેંટાતણું છોગું ઊડે છટાથી,
ચડ્યો કશો રંગ પીરોજી, જેમાં
ભળી વળી ઓર ગુલાબી ઝાંય.

અવળા સવળા એના પેચ એવા પડ્યા હતા,
કોકના મુગ્ધ હૈયાને, બાંધ્યું જાણે કસી કસી.

રહી ગઇ નેહ રૂપેરી હાથમાં,
ફેંટાતણી રંગછટાની છોળે
પ્રસન્ન શાહી નજરો જડાઇ ગઇ;
બોલી ઊઠે :’હાજર કોણ છે અહીં?’

શાહી ફર્માન છૂટ્યાં ને ફેંટાળો અસવાર ત્યાં,
આશંકા સેવતો લાખ, ઊભો ઝૂકી હજૂરમાં.

હસી જરી જહાંગીર શાહ પૂછતો :
‘સવાર ! તારે શિર જેહ ફેંટો
એનો મહા અદ્ ભુત રંગ કોણે
રંગી દીધો? ભેદ જરાક ખોલતો !’

‘ખુદાવંદ ! ન કૈં ભેદ, મામૂલી રંગરેજ કો
ઓરતે દીધો છે રંગી, છે જોકે કસબી ખરી !’

‘જેને વરી આવી કલાપ્રતિભા જુવાન !
એને ક્યમ મ્મ્મૂલી કહું ?
ચહું છ એને રૂબરૂ નિહાળવા.
અરે અહીં હાજર કોઇ છે કે ?’

ફેંટાની રંગનારીને ક્ષણમાં ત્યાં ખડી કરી,
ઘટના રંગરેજે શી રંગી છે રૂપપૂતળી !

અપૂર્વ લાવણ્ય નિહાળી એનું,
કુતૂહલે જહાંગીરશાહ પૂછતો :
’જેવો રૂડો રંગી દીધો છ ફેંટો,
હે સુંદરી ! આ અસ્વારનો તેં,
એવો જ આબેહૂબ તું મનેય
તુરંત રંગી નવ શું દિયે કે?’
’જરૂર રંગી દૌં, અન્નદાતા !
મગાવી દ્યો જો મજલીન ઝીણી;
પરંતુ….’
’પરંતુ શું?’
‘…. બે અદબી જ માફ
ઘટે કૃપાવંત, પરંતુ જેવો
ચડી ગયો છે ચડતાં જ રંગ
ઝલાંમલાં આ અસવાર ફેંટે,
એવો જ આબ્ર્હૂબ તો હવે કદી
ન અન્ય વસ્ત્રે ચડવો ફરીને.’

‘અરે ભૂલી ભાન બકે છ શું આ?
આપે છ તું ઉત્તર કોની સામે ?’
ખુમારી,ગુંજાયશ,જોઇ બાઇની
સરોષ ને વિસ્મિત બાદશાહની
ભૃકુટિનાં તંગ થયાં જ ચાંપ.

‘ઘટે ઘટે બે અદબી જ માફ !
પરંતુ લાચાર છું, કેમ જે અમો
જે માપથી વાપરીએ છ રંગ
ઝબોળવા અન્ય ઘરાક-વસ્ત્રને,
એથી ન જાણું ક્યમ આજ ફેંટે
ઉતાવળે કેવીય ભૂલભૂલમાં
પડી ગયો માલિક ! રંગ બેવડો.’

પામી જઇ ગલ કૈંક બાદશા’
ટકોર મીઠી હસી મર્મમાં કરે :
’એમાં અરે વાત જ શી છ મોટી ?
જો બેવડા માપથી રંગ છે પડ્યા
અસવારના રોનકદાર ફેંટે,
તો માહરી આ મજલીન માટે
મિલાવી દે ચારગણો જા રંગ.’
‘ન માત્ર ઓછો-વધુ રંગ નાખવે
આવી શકે રોનક બાદશાહ !
આ જે ચદ્યો બેવડ રંગ, તેમાં
છે એક ચાલુ નજરે પડે તે,
અને બીજો પાછળ જે અદીઠો
રહી મીઠો ઓર ઉઠાવ આપતો
, તે છે અનોખો અતિ રંગ ઇશ્કનો–
જેનાં પડીકાં ન મળે બજારમાં
ને એકને જેહ ચડે હજારમાં !’

‘બા ખૂબ ! બા ખૂબ !’ પ્રસન્નતાથી
બોલી રહ્યો બેયની પીઠ થાબડી,
શહેનશા’ જહાંગીર-પ્રેમપારખું.

રૂપેરી નેહ હુક્કાની ફરી શા’ ગગડાવતો,
અશ્વે સવાર આરોહે, પ્રેમને પડઘાવતો.

રવિ,29મી જૂન,2008 ને જેઠ વદ એકાદશી 2064

Add comment June 29, 2008

ગોરસ

જૂની નોટબુકોના સંચયમાંથી થોડું “ગોરસ”

અમંને નાખો જિંદગીની આગમાં !
ફેરવીશું આગને પણ બાગમાં !
સર કરીશું આખરે સૌ મોરચા,
આવવા દો મોતને પણ લાગમાં.
શેખાદમ આબુવાલા

*સતાર; દિલરૂબા,બંસરીની
બલિહારી અનેરી છે,
મગર કંકણ તણા રણકારની
તો વાત ન્યારી છે.
મનસુખલાલ ઝવેરી
** છે ચાહતની બલિહારી અજબ,
હું એક જ ઉત્તર શોધું છું,
કે આંખોથી સત્કાર કરો ને
મુખડાથી નકારો શા માટે?

***હું કદી મારું દુઃખ નથી રડતો,
જે પડે છે એ સહી લઉં છું,
દર્દ જ્યારે નથી જિરવાતું,
સે’જ એના પર હસી લઉં છું.
***જેમની દૃષ્ટિ મારા પર નથી સ્નેહી છે,
એ સ્નેહી કોઇ ‘પર’ નથી
તારી હસ્તી, મારી હસ્તી પર નથી?
આપની સરખામણી શાથી કરું?

કોઇ વસ્તુ એટલી સુંદર નથી.

*** જીવન બનતાં એની સારી,
જામે છે મનોહરતા મારી,
એક સ્વપ્ન મનોહર રહેછે
ત્યાં જ સુધી,
હર સ્વપ્ન મનોહર લાગે છે,
છાતી પર પથ્થર બાંધી હું,
વર્ષો ના વર્ષો જીવ્યો છું.
આ જાત અનુભવ છે મારો
કે ભાર ઘડીભર લાગે છે.
અમૃત ઘાયલ

1 comment June 28, 2008

કિનારે જવું નથી/નિનુ મઝુમદાર

28મી જૂન,2008 ને જેઠ વદ દશમ 2064

કિનારે જવું નથી/નિનુ મઝુમદાર

જ્યાં જાય છે આ કાફલો મારે જવું નથી,
પાછી લઇ લે નાવ કિનારે જવું નથી.

આરામથી થવા દે સફર જિંદગી મહીં,
આવે છે મોત તેડવા એને જવું નથી.
જીવન બચાવતા હવે થાક્યો છું નાખુદા !
મઝધાર ચાલ !મારે કિનારે જવું નથી.
સામે તું થા,હું જાણું છું જગના તુફાનને
વહેતી જતી હવાને સહારે જવું નથી.
મહેફિલ તો પૂરી થઇ ગઇ,પરવાના રહી ગયા,
સૂતા શમાની પાસ, સવારે જવું નથી.
મંઝિલ મળે પછી ય મારે કરવું કંઇ નથી,
તો હાલ તુજ ગલીથી વધારે જવું નથી.

રાખીછે વાસના,હે ‘નિરંજન’શું નામની?
મારે જવું છે ત્યારે તમારે જવું નથી.

Add comment June 28, 2008

GYANGANGA

Add comment June 27, 2008

aavakaaradaayak samaachaar

gyanganga

Add comment June 27, 2008

તાણા-વાણા/ઉમેદ નંદુ

તાણા—વાણા
સંકલન તથા પ્રકાશક –મુદ્રક : ઉમેદ નંદુ સરનામું :બી/10,આનંદ ધામ, ટી.પી.એસ.રોડ નં.8, સાંતાક્રુઝ(પૂર્વ),
મુમ્બઇ –400055

***આપણે કોઇને જગાડવા ઇચ્છતા હોઇએ, તો
આપણે પહેલા જાગવું પડે. +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
***રોજ રોજ સવારથી સાંજ સુધીમાં હું જે જે વસ્તુઓનો ઉપયોગ કરુંછું તે
વસ્તુ બનાવનાર શત્તસહસ્ત્ર લોકોને મારા નત્તમસ્તકે
પ્રણામ +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
***સંયમ
સંયમ એટલી હદ સુધીનો હોવો જોઇએ કે જ્યાં ભાષા મૌન બની જાય અને
મૌન ભાષા બની જાય
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
***બુધ્ધની કરૂણા જો ક્યાંય સચવાઇ હોય તો,
તે માત્ર ગાયની આંખમાં. +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
***”મકાન” હાથથી બને છે, જ્યારે “ઘર” દિલથી . =========================================================
***શબ પર ગુલાબનો હાર ચડાવવાને બદલે એ વ્યક્તિ જ્યારે જીવતી હતી ત્યારે તેમના જન્મદિને એક ગુલાબ આપ્યું હોત તો, તેમનું જીવન કદાચ વધારે સારું પસાર થયું હોત. =========================================================
***આ જગતમાં કોઇ જ્યારે પોતાના અહમને જવાળામાં હોમી દે, ત્યારે જે વિસ્ફોટ થાય છે તેનું નામ “કૃપા” =========================================================
*** વેરની વાનગી તો ઠંડી પડે પછી જ આરોગવી સારી. +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
*** ઇશ્વરે આપણને સગાઓ આપ્યા છે પણ … મિત્રો બનાવવાનું આપણા પર છોડ્યું છે. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
***બીજાઓની આપણે જે સેવા કરીએ તે તો પૃથ્વી પરનો આપણા કમરાના ભાડા બરાબર છે. +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
***ગઇકાલ એ અનુભવ છે; આવતી કાલ એ આશા છે; આજ એ એક-બીજામાં
પસાર થવા માટે છે.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
***ક્ષમાથી,ક્રોધનો ખર્ચ, તિરસ્કારની કિંમત
અને શક્તિનો વ્યય બચે છે. +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
***સંતો માટીપગા માણસોને
આભ સુધી પહોંચાડે છે.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

Add comment June 25, 2008

વિસામો/વેણીભાઇ પુરોહિત

વિસામો વેણીભાઇ પુરોહિત
થાકે ન થાકે છતાંયે હો માનવી !
ન લેજે વિસામો !
ને ઝૂઝજે એકલ બાંયે-
હો માનવી ! ન લેજે વિસામો !

તારે ઉલ્લંઘવાના મારગ ભુલામણા,
તારે ઉધ્ધરવાનાં જીવન દયામણાં :
હિમ્મત ન હારજે તું ક્યાંયે—
હો માનવી ! ન લેજે વિસામો !

જીવનને પંથ જતાં તાપ-થાક લાગશે
વધતી વિટંબણા સહતાં તું થાકશે :
સહતાં સંકટ એ બધાંયે–
હો માનવી ! ન લેજે વિસામો !

જાજે વટાવી તુજ આફતનો ટેકરો ,
આગે આગે હશે વણખેડ્યાં ખેતરો :
ખંતે ખેડે એ બધાંયે–
હો માનવી ! ન લેજે વિસામો !

ઝાંખા જગતમાં એકલો પ્રકાશજે,
આવે અંધાર તેને એકલો વિદારજે :
છોને આ આયખું હણાયે-
હો માનવી ! ન લ એજે વિસામો !
લેજે વિસામો ન ક્યાંયે હો માનવી ! દેજે વિસામો !
તારી હૈયા-વરખડીને છાંયે હો માનવી ! દેજે વિસામો! ન લેજે વિસામો….

વિસામો કાવ્ય પાછળનો નાનકડો ઇતિહાસ :
આપણા યુગની મહાન વિભૂતિ—મહાત્મા ગાંધી—ના જીવનમાં આ કાવ્યમાં રહેલા સંદેશે કેવુંસ્થાન મેળવ્યું હતું તેનો નિર્દેશ ગાંધીજીના નિકટના અંતેવાસી શ્રીમનુબેનગાંધીએ બાપુના સંસ્મરણો લખતાં કર્યો છે.એવાં ત્રણ અવતરણો આ રહ્યાં: ”એમણે (સ્વ.શ્રી મહાદેવ દેસાઇ) જતાં પહેલાં મારી પાસે નીચેનું ગીત ગવડાવ્યું.એમને એ ગીત બહુ જ ગમતું હતું. હું કરાંચીમાં મારા શાળાના અભ્યાસ દરમિયાન શીખી હતી તેથી મારી પાસે વારંવાર ગવડાવતા : ’થાકે ન થાકે છતાંયે હો માનવી ! ન લેજે વિસામો :’(વગેરે)
“આ ગીત એમને અને બાપુજીને બહુ જ વહાલું હતું; અને એમણે તો આવાં આવાં કેટલાંય ગીતોને જીવનમાં ઉતારી સાર્થક કર્યું હોય તેમ છેલ્લી કડી: ’લેજે વિસામો ન ક્યાંયે હો માનવી ! દેજે વિસામો તારી હૈયાવરખડીને છાંયે, હો માનવી ! દેજે વિસામો.’ ”તેમ એમણે પચ્ચીસ પચ્ચીસ વર્ષ સુધી બાપુની સેવા કરી. ન જોયો ટાઢ-તડકો, કે ન જોયાં રાત-દિવસ, અને છેલ્લો શ્વાસ પણ બાપુજીની સેવા કરતાં કરતાં જ બાપુજીમાં જ પોતાના પ્રાણને સમાવીને હૈયાવરખડીને છાંયે જ વિસામો લીધો.
“ એટલે શું એમણે આગાહીરૂપે છેલ્લે મારી પાસે આ ગીત ગવડાવ્યું હશે?”પોતાને મોઢે નહોતું આવડતું, તેમ હજુ સૂરેય નહોતો બેઠો,પણ જેણે જીવનમંત્ર કર્યો હોય તેને સૂરની શી પરવા? ‘મને કાગળ ઉપર ઝટપટ ઉતારી આપ’. મેં એક કાગળ પર ઉતાર્યું અને તે કાગળ પોતાના ઝબ્બાના આગળના ખિસ્સામાં સાચવીને મૂક્યો અને સેવાગ્રામ આશ્રમને કાયમને માટે છોડ્યો.”
(બા-બાપુની શીળી છાયામાં)
“હું(ગાંધીજી) નહોતો જાણતો કે મારામાં આટલી શક્તિ છે અને આ લોકો સામે હું ટકી શકીશ;કે મને છોડશે તો મારાથી આમ આનંદપૂર્વક નભાશે.એ બધો પ્રતાપ રામનામનો. બાકી આશ્વાસનમળે છે ગુરુદેવના ‘એકલા ચલો’ ના ભજનમાં અને પેલા ‘થાકે ન થાકે છતાંયે હો માનવી ! ન લેજે વિસામો’માં.તેમાંય એક કડી તો બહુ ભારે છે કે : ’ઝાંખા જગતમાં એકલો પ્રકાશજે , આવે અંધાર તેને એકલો વિદારજે; હો માનવી ! ન લેજે વિસામો.”” (‘ભાવનગર સમાચાર’, તા. 28-07-1951ના અંકમાંથી)
નિયમ મુજબ 30મીએ (30મીજાન્યુઆરી,1948)સવારના 3:30 વાગ્યે બાપુજીએ પ્રાર્થના માટે અમને ઉઠાડ્યા. એક બહેન પ્રાર્થના માટે ઊઠયાં નહિ, તેથી બાપુજીએ દાતણ કરતાં કરતાં મને કહ્યું,’હું જોઉં છું કે મારો પ્રભાવ મારી પાસે રહેનારમાંથી ચાલ્યો ગયો લાગે છે. પ્રાર્થના એ તો આત્માને સાફ કરવાની સાવરણી છે.અને હું તો પ્રાર્થનામાં અડગ શ્રધ્ધા ધરાવું.’અને કહ્યું કે ‘આજે મારે પેલું “થાકે ન થાકે છતાંયે” ભજન સાંભળવું છે, એટલે એ ગાજે.’ ”મેં એ ભજન ગાયું…. કોઇ દિવસ નહિ અને સવારની બ્રાહ્મમુહૂર્તની પ્રાર્થનામાં આ ભજનની બાપુજીએ પસંદગી કરી તેમાંય કેવું ગૂઢ રહસ્ય ભર્યું હતું !” વેણીભાઇ પુરોહિત

Add comment June 25, 2008

Next Posts Previous Posts


Recent Posts

Recent Comments

pragnaju on વૈષ્ણવજનતો…
Chirag Patel on કર્ણ અને કૃ…
pragnaju on વિવેકાનંદ …
pragnaju on પ્રતીક્ષાન…
pragnaju on કૃષ્ણ અને મ…

Categories

Top Posts

Blog Stats

Calendar

July 2008
M T W T F S S
« Jun    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Feeds