કર્ણ અને કુંતીનું મિલન
ક્રૂષ્ણની વિષ્ટિ પછીવિદુર કુંતીને મળે છે.વિદુર ગયા પછી કુંતી મનોમન વિચારે કરે છે. નાચાર્ય: કામાવગ્શિયૈદ્રોણો યુધ્યતે જાતુચિત્ ,
પાણ્ડવેષુ: કથં હાર્દ કુર્યાંનચ પિતામહ:. (ઉદ્યોગપર્વ:142:15) આચાર્ય દ્રોણ પોતાના પ્રિય શિષ્યો સાથે પોતાની ઇચ્છાથી યુધ્ધ નહિ કરે;પિતામહ પણ પાંડવો પર હેત શા માટે ન રાખે? માત્ર કર્ણ જ એક એવો છે, જે હ્રદયથી લડશે. ક્રૂષ્ણ કર્ણ પાસે જાય છે, ત્યારે તેમનો આશય લોક કલ્યાણનો છે. ક્રૂષ્ણ કર્ણને સમજાવી યુધ્ધ થતું રોકવા માગે છે. કર્ણને એ એના અધિકારથી ‘રાજવીપદ’ આપવા ઇચ્છે છે.
કુંતી માતા છે, છતાં કર્ણ સાથેનો એનો અનુબંધ એટલો દ્રઢ નથી.કર્ણ એનો પ્રથમ પુત્ર છીઈએ. છતાં તેના વિશે એ પ્રથમ વિચાર કરે છે ત્યારે ‘દુર્મતે’ ‘મોહાનુવર્તી’ વગેરે શબ્દો તેના મનમાં આવે છે. આ કર્ણજ દુર્યોધનના મોહમાં પડી સદા પાંડવોનો દ્વેષ કર્યા કરે છે. કર્ણ પોતાનો પુત્ર છે અને પોતાના સ્નેહથી અને એનો જેના પર અધિકાર છે એ રાજ્યથી વંચિત રહ્યો છે એટલા માટે એને મળવા કુંતી ઉત્સુક નથી. પણ કર્ણ પાંડવોનો ‘મહત્ અનર્થ’ થાય એવું કામ કર્યા કરે છે .એનાથી એને રોકવા અને તેને યથાતથ વાત કહી તેનું મ્ન પાંડવો તરફ વાળવા માટે એ કર્ણ પાસે જવાનો નિર્ણય કરે છે. જે કર્ણ કાનીન—કન્યા અવસ્થામાં મારા ગર્ભમાં રક્ષણ પામ્યો છે તે– કસ્માન્ન કુર્યાદ્ વચનં, પથ્યં ભ્રાત્રૂહિતં તથા. (ઉદ્યોગપર્વ:142:25) –ભાઇઓના હિતમાં કહેવાયેલ મારું વચન શા માટે નહિ સ્વીકારે? ભીષ્મ અને દ્રોણની પાંડવો માટેની કૂણી લાગણી માટે કુંતીને ખાતરી છે. પણ કર્ણના હ્રદ્યમાં આવી કોઇ લાગણી હોવા વિશે એને શંકા છે. આમ કુંતી કર્ણ પાસે જાય છે, ત્યારે તેનો આશય ક્રૂષ્ણ કરતાં જુદો છે. ક્રૂષ્ણ પરમાર્થ માટે કર્ણ પાસે ગયા હતા, કુંતી સ્વાર્થ માટે જવાનો વિચાર કરે છે.
ભગવાન વેદવ્યાસ અજબ કવિ છે. કન્યાવસ્થામાં જન્મ આપી કુળમર્યાદાને કારણે જેને તજી દીધો એ પુત્ર સાથે માતાનું પ્રથમ મિલન એ કેટલી અદ્ ભુત ચિત્રાત્મકતાથી નિરૂપે છે!
કુંતી ગંગાતટે જાય છે. આવા કર્ણની પાછળ જઇ કુંતી ઊભી રહે છે.
અતિષ્ઠત્સૂર્યાતાપાર્તા કર્ણસ્યોત્તરવાસસિ, કૌરવ્યપત્ની વાર્ષ્ણેયી પદ્મમાલેવ શુષ્યતી.
(ઉદ્યોગપર્વ:142:29) કુરુકુળમાં જન્મેલા પાંડુના પત્ની તથા વ્રૂષ્ણિવંશમાં ઉત્પન્ન થયેલી એવી કુંતી સૂર્યના પ્રચંડ તાપમાં પદ્મમાળાની માફક સુકાવા લાગી હતી:પણ એ કર્ણના ઉત્તરીય વસ્ત્રની છાયાનો સહારો લઇ ઊભી રહી. બે હાથ ઊંચા કરી પૂર્વ દિશા તરફ ફરી સૂર્યને અર્ઘ્ય આપતા કર્ણના ઉત્તરીય ની છાયા તેની માતાને મળે છે.કુંતી આ વયે પણ કેટલી સુકુમાર હશે તેનો ખ્યાલ વ્યાસે તેને આપેલી પદ્મમાળાની ઉપમાથી આવે છે. અને એ તાપ માત્ર સૂર્યનો છે કે પુત્રત્યાગ જેવા કર્મનો તાપ તેને દહી રહ્યો છે? કે પછી જેને’જ્ઞાતિવધ’ કે ‘જ્ઞાતિક્ષય’ જેવા શબ્દોથી કુંતી ઉલ્લેખે છે એવા મહાભારત ના યુધ્ધનો પ્રતાપ તેને દઝાડી રહ્યો છે? ગમે તેમ, કર્ણના ઉત્તરીયની છાયા લેવાની વાત રમણીય છે એટલી જ સૂચક છે.આવા મહાભારત યુધ્ધમાં કર્ણ પાસે કોઇ રાહતની આશાએ આવેલી કુંતી છેવટે તેના ઉત્તરીયની શાતા પામે છે.આપણે એ આગળ જોઇશું. કર્ણ તેનાજપ કરી પાછો ફરે છે કે તુરત જ તેની દ્રષ્ટિ કુંતી પર પડે છે. એ કુંતીને પાંડવોની માતા તરીકે જ ઓળખતો નથી.પોતે કુંતીના ગર્ભમાંથી જન્મ્યો છે એ હકીકત જાણે છે . એમાં જો કોઇ પણ શંકા કર્ણના મનમાં હોય તો ક્રૂષ્ણે એના જન્મનું રહસ્ય કહી એ દૂર કરી છે . પોતાને જન્મ આપનારી માતા મળવા આવી છે ત્યારે કર્ણ તેને પ્રણામ કરી જે શબ્દો બોલે છે તેની ગરવાઇ અને નરવાઇ બંને અનોખાં છે.
રાધેયોઅહ્માધિરથિ:કર્ણસ્ત્વામભિવાદયે
પ્રાપ્તા કિમર્થં ભવતી બ્રૂહિ કિં કરવાણિ તે. (ઉદ્યોગપર્વ: 143:1) રાધા અને અધિરથનો પુત્ર કર્ણ, હું તમારું અભિવાદન કરું છું. કર્ણ કુંતી આગળ પોતે ‘રાધેય’ છે એ શબ્દ ગર્વથી ઉચ્ચારે છે. જે માતાએ પોતાને ઉછેર્યો છે, એને કોઇ રાજવંશી મોહને કારણે છોડવા એ તૈયાર નથી. એને ‘કૌંતેય’ કહેવડાવવા કરતાં ‘રાધેય’ કહેવડાવવામાં વધારે ગૌરવ લાગે છે. બીજું, એ જાણે છે કે કુંતી કોઇક ‘અર્થ’ માટે આવી છે. એટલે જ એ પૂછેછે: તમે ક્યા અર્થ—કામ માટે આવ્યા છો? મને કહો, હું તમારું ક્યું કામ કરું? ’રાધેય’ શબ્દ કર્ણ જાણી જોઇને બોલ્યો હતો. આ શબ્દો કુંતીને વાગશે એ પણ તે જાણતો હતો.તેનું વાગ્બાણ બરાબર મર્મ પર વાગે છે. કુંતી તરત જ કહે છે– કૌંતેયસ્ત્વં, ન રાધેયો, ન તવાધિરથ:પિતા, નાસિ સૂતકુલે જાત: કર્ણ તત્વિધ્ધિ મે વચ: (ઉદ્યોગપર્વ:143:2) કર્ણનું વાક્ય ‘રાધેય’ શબ્દથી આરંભાયું હતું; કુંતીનો જવાબ ‘કૌંતેય’ શબ્દથી આરંભાય છે. કુંતી કહે છે: ‘તું કુંતીનો પુત્ર છે, રાધાનો નહિ. અધિરથ તારો પિતા નથી. તારો જન્મ સૂતકુળમાં થયો નથી.કર્ણ, તારા જન્મનું રહસ્ય હું તને કહેવા આવી છું.’અને આવું કહી એ કર્ણને તેના જન્મની, કન્યાવસ્થામાં પોતે વહોરેલા અને તજી દીધેલા કલંકનીકથા કહે છે: અને ક્રૂષ્ણે કહ્યાં હતાં એ બધાં જ પ્રલોભનો આપવાની સાથે એ વધુમાં કહે છે કે કૌરવો ભલે આજે કર્ણ અને અર્જુનનો સમાગમ જોતા– કર્ણાજુનૌ વૈ ભવતાં યથા રામજનાર્દનૌ.
(ઉદ્યોગપર્વ:143:10) બલરામ અને ક્રૂષ્ણની માફક કર્ણ અને અર્જુનની જોડી પણ વિખ્યાત થાઓ.
કુંતીના આ વચનની સાથે સૂર્યનારાયણ પણ આકાશવાણી દ્વારા કહે છે: સત્યમાહ પ્રૂથા વાક્યં કર્ણ માત્રૂવચ: કુરુ.
(ઉદ્યોગપર્વ: 144:2) પ્રૂથા જે કહે છે તે સાચું છે.કર્ણ, તું તારી માતાના વચનનું પાલન કર.
કર્ણની કેવી આકરી કસોટી અહીં થાય છે! પ્રથમ ક્રૂષ્ણ જેવા ક્રૂષ્ણ તેની આગળ પ્રલોભનો મૂકી જાય છે;પછી કુંતી આવે છે, પછી તો સ્વયં ભગવાન સવિતા નારાયણ પણ તેને કુંતી કહે છે એમ કરવાનું કહે છે. કર્ણ અહીં બુધ્ધની કક્ષાએ પહોંચે છે.માનવીના વિવિધ પ્રલોભનો સામે જેમ બુધ્ધ ટકી શક્યા હતા તેમ કર્ણ પણ ટકી શકે છે. કર્ણના પ્રલોભકોમાં ક્રૂષ્ણ અને સૂર્ય જેવા પ્રતાપી પુરુષો છે, તો સાથે જ કુંતી, તેની જન્મદાતા માતા પણ છેવળી એકતરફ આ સૌનું કહેવાનું માને તો કર્ણને રાજ્યાસન મળે છે. :તો બીજા પક્ષે કર્ણ જાણી ચૂક્યો છે કે કેવળ મ્રૂત્યુ છે. છતાં કર્ણ અટલ છે. ક્રૂષ્ણે કહ્યું એમ કર્ણ ધર્મનો જ્ઞાતા છે. માતાપિતાના વચનનું પાલન કરવું એ એક ધર્મ છે. પણ એ ધર્મને પોતાના વૈયક્તિક ધર્મની સાથે એ મૂકે છે. એ કહે છે, તું મારી માતા તો ખરી: તારી આજ્ઞા પાળવી એ મારા માટે ધર્મનું દ્વાર છે એ પણ ખરું.પણ તેં મારો જન્મ થતાં જ મારો ત્યાગ કર્યો અને મારો યશ તથા કીર્તિ બંને નાશ પામ્યાં.તારી એ વાત પણ સાચી કે મારો જન્મ સૂતકુળમાં થયો નથી. હું ક્ષત્રિય જન્મ્યો છું. પણ મને
‘ક્ષત્રસત્ક્રિયામ્ ’-ક્ષત્રિયસંસ્કાર મળ્યા નથી.તેં આ કર્યું ,એનાથી વધુ બૂરું મારો કોઇ દુશ્મન પણ કરી શકે ખરો? જ્યારે મારા ઉપર દયા કરવાનો સમય હતો ત્યારે તેં દયા ન કરી, પણ હવે જ્યારે દયા કરવાનો સમય વીતી ગયો છે ત્યારેતું મને તારી આજ્ઞાનું પાલન કરવા કહે છે?(ઉદ્યોગપર્વ:144:4-7) કર્ણ બહુ કઠોર સત્ય કુંતીને કહી રહ્યો છે. એ તો સ્પષ્ટપણે કહે છે કે તારી આ વાત મારા કોઇ હિત માટે નથી.એ તો ‘કેવલાત્મહિતૈષિણી’-માત્ર આત્મહિતની ઇચ્છાથી કહેવાયેલી વાત છે. છતાં આ કારણે કર્ણ માતાની આજ્ઞાનો અનાદર નથી કરતો.એ કહે છે:
ક્રૂષ્ણેન સહિતાત્કો વૈ ન વ્યથેત ધનંજયાત્ ,
કોઅદ્ય ભીતં ન માં વિદ્યાત્ ,પાર્થાનાં સમિતિં ગતમ્ ,
(ઉદ્યોગપર્વ:144:9) ક્રૂષ્ણ અને અર્જુન એ બે સાથે હોય તો કોણ ભય ન પામે? એક તો અર્જુનનું બળ, અને એમાં ક્રૂષ્ણની પ્રેરણા સાથે ભળે એ વાત ભય પમાડવા માટે પૂરતી છે. એટલે જ આજે જો હું પાંડવોની સભામાં પાર્થોની સમિતિમાં આવી શકું તો કોણ મને ભયભીત નહિ માને? અભ્રાતા વિદિત: પૂર્વં યુધ્ધકાલે પ્રકાશિત:, પાંડવાન્યદિ ગચ્છામિ કિં માં ક્ષત્રં વદિષ્યતિ. (ઉદ્યોગપર્વ:144:10)
પૂર્વે હું અભ્રાતા—ભાઇ વિનાનો ગણાતો હતો; હવે યુધ્ધ્કાળે હું મારી આ સગાઇ પ્રગટ કરી પાંડવો પાસે જાઉં તો ક્ષત્રિયો મારે માટે શું કહે? કર્ણ અને ક્રૂષ્ણના જીવનનો સમાંતર આપણે અગાઉ જોયો, ક્રૂષ્ણ રાજવંશી જન્મ્યા, ગોવાળંને ત્યાં ઊછર્યા અને ફરી રાજવંશમાં ગયા ;કારણકે ક્રૂષ્ણને કોઇક જીવનકાર્ય કરવાનું હતું; કર્ણને પાંડવો સાથે જોડાઇ કોઇ એવું જીવનકાર્ય કરવાનું નથી. એ રાજ્યાસન તથા દ્રૌપદી સાથે વરસના છઠ્ઠા ભાગમાં વિલાસ—આ બે માટે પાંડવો પાસે જાય? આજ સુધી એ ‘અભ્રાતા’ હતો. એને હવે ભાઇઓ જોઇતા નથી. યુધ્ધકાળે એ પાંડવોના ભાઇ તરીકે પ્રકાશમાં આવવા માંગતો નથી.
વીરત્વ એ કર્ણના ઇંકારનું એક કારણ છે, દુર્યોધને જે કંઇ કર્યું છે એ માટેની ક્રૂતજ્ઞતા એ બીજું, મહાઘોર યુધ્ધને પાર કરવાની ઇચ્છાવાળા દુર્યોધને ‘કર્ણને પોતાની નૌકા’ તરીકે સ્થાપ્યો છે. હવે કર્ણ એને કૈ રીતે તજી શકે? પોતે દુર્યોધન ઉપજીવી છે—એને આશરે પોતાનું ગૌરવ પામ્યો છે. હવે પ્રાણરક્ષણ નો વિચાર કર્યા વિના એ ઉપકારનો બદલો વાળવાનો સમય આવી પહોંચ્યો છે. પરંતુ કુંતી અહીં આવી છે એનો ઉદ્દેશ જુદો છે. તેને કર્ણ માટે વહાલ ઊભરાઇ નથી ગયું.પરંતુ પોતાના પુત્રોની રક્ષા એ જ એનો ઉદ્દેશ છે. કર્ણ એક જ મન મૂકીને લડે એવો વીર હતો. ક્રૂષ્ણ અને હવે કુંતી –આ બે ની મુલાકાતે કર્ણના યુધ્ધ-સંક્લ્પને નિર્બળ બનાવી દીધો છે.
માતાની આજ્ઞા પાળવી જોઇએ એ કર્ણ જાણે છે, પણ આજ્ઞા જે સ્વરૂપે છે એ સ્વરૂપે દુર્યોધનનો પક્ષ છોડી પાંડવો સાથે ભળી જઇને એનું પાલન કરવું શક્ય નથી.તો હવે કર્ણ માતા જે ઇચ્છે છે એ કરવા ચાહે છે. એથી જ એ કહે છે: અર્જુનેન સમં યુધ્ધં મમ યૌધિષ્ઠિરે બલે. (ઉદ્યોગપર્વ:144:21) યુધિષ્ઠિરની આખી સેનામાં માત્ર અર્જુન સાથે જ હું યુધ્ધ કરીશ. યુધિષ્ઠિર, ભીમ, નકુળ, સહદેવ વગેરે વધને યોગ્ય છે, તોપણ હું તેમનો વધ નહિ કરું.એટલું જ નહિ પણ એ વચન આપે છે કે — ન તે જાતુ નશિષ્યંતિ પુત્રા: પંચ યશસ્વિનિ, નિરર્જુના: સકર્ણા વા સાર્જુના વાહતે મયિ.
(ઉદ્યોગપર્વ:144: 22) હે યશસ્વિની, તારા પાંચ પુત્ર કાયમ રહેશે. અર્જુન જો મ્રૂત્યુ પામશે તો કર્ણ સાથે અને કર્ણ મ્રૂત્યુ પામશે તો અર્જુન સાથે.
કુંતી આમ કર્ણના સંક્લ્પને ડગાવે છે.કર્ણ પણ હવે માત્ર અર્જુન સિવાય કોઇની સામે મન મૂકી લડી શકે એમ નથી. કારણકે બાકીના ભાઇઓને તેણે અભયદાન દીધું છે. કર્ણના વીરત્વનું જે વર્ણન કર્ણપર્વ દરમ્યાન આવે છે એ જોતાં જો કુંતીએ અભયદાન ન માગ્યું હોત તો કદાચ પાંચ પાંડવો યુધ્ધને અંતે અખંડિત ન જ રહ્યા હોત . એટલું જ નહિ પણ કર્ણ નો યુધ્ધમાટેનો સંકલ્પ જો મોળો ન પડ્યો હોત તો કદાચ’યતો ધર્મસ્તતો જય’ એ તો નિશ્ચિત હતું જ, પણ આ જય પાંડવોને થોડોક વધુ મોંઘો પડ્યો હોત . કર્ણ પાસેથી આવડું મોટું વચન માગી લીધું, બદલામાં માતા પુત્રને શો આશીર્વાદ આપે છે? કુંતી પાંડવો ને જ ચાહતી હતી, કર્ણને નહિ.કર્ણને જ્યેષ્ઠ પાંડવ તરીકે સ્થાપી તેને રાજ્યગાદી આપવાનો નિર્ણય પણ આ પાંડવોનો જીવ બચે એ જ જોવાનો હતો. કર્ણે માતાની એ ઇચ્છા પરિપૂર્ણ કરી.
કર્ણ પ્રણામ કરે છે.ત્યારે કુંતી આશીર્વાદ આપે છે: કુંતી અહીં સહેજ પણ દંભ નથી કરતી. એ એને શતાયુ થવાનો કે એ ચિરંજીવ થાય એવો આશીર્વાદ આપતી નથી. એ તો કહે છે–
અનામયં સ્વસ્તિ. (ઉદ્યોગપર્વ:144:26) ’રોગરહિત રહેજે.’ કર્ણનાં વચન અને માતાનો પ્રતિભાવ – એ બંને નો વિચાર કરીએ ત્યારે કર્ણ મૂઠી ઊંચેરો માનવી તરીકે પ્રસ્થાપિત થયા વિના રહેતો નથી.
.
આધ્યાત્મિક દ્રુશ્ટિ એ અનામયં સ્વસ્તિ. આજ વાત ઉતમ છે…તેમા બધી જ સ્વસ્થતા આવી જાય છે