અધ્યાય:સત્તરમો
ભગવદગીતા એટલે….//શ્રીસુરેશ દલાલ
વિચારપ્રેરિત કર્મ અને કર્મ પ્રેરિત વિચાર
આપણે ત્યાં ત્રણનો આંકડો વિશિષ્ટ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઉત્પત્તિ, સ્થિતિ, લય, સત્ત્વ,રજસ, તમસ, આકાશ, પૃથ્વી, પાતાળ, ત્રિભુવન, ત્રિલોચન. આમ ત્રણનું મહત્ત્વ છેગીતાના સત્તરમા અધ્યાયનું નામ શ્રધ્ધાત્રયવિભાગયોગ છે. અહીં ત્રય એટલે યજ્ઞ, દાન અને તપ. અર્જુન પ્રશ્નની કાંકરી નાખ્યા કરે છે. વર્તુળો ઊભાં થાય છે પણ એ વર્તુળો વમળનો આકાર લે એ પહેલાં કૃષ્ણ ઉત્તર આપીને વમલનું કમળમાં રૂપાંતર કરતા રહે છે. શ્ર્ધ્ધા એ ઉપરની કે ઉપરછલ્લી વસ્તુ નથી.એ તો એટલી હદે અંદરછલ્લી છે કે માણસના સ્વભાવ સાથે સંકળાયેલી છે. માણસ એટલે જ સત્ત્વ, રજસ અને તમસના ગુણોથી બંધાયેલો, ગંઠાયેલો.આ ત્રણે ગુણોને કારણે જ માણસ ભીતર ને ભીતર વિભક્ત થતો જાય છે. સ્વભાવનું મૂળ માણસના મનમાં છે. માણસનું મન એકલું નથી હોતું. એની સાથે એનું શરીર પણ સંકળાયેલું છે. શરીરની સાથે ઇન્દ્રિયો છે. શરીરનો આધાર માણસનો આહાર છે. ગીતાકારે કેટલું બધું વિચાર્યું હશે ! આહાર જ એવો હોય કે જેમાંથી વિકાર નહિ પણ વિચારપ્રેરિત કર્મ અને કર્મપ્રેરિત વિચાર જન્મે.શરીર અને મન એકમેક પર અસર કર્યા વિના રહેતાં નથી. શરીરનું અમુક અવધિ સુધી આયુષ્ય હોય છે. શરીર કે મન માંદું હોય તે ન ચાલે. માણસે રસાળ, સ્નિગ્ધ, પૌષ્ટિક અને રુચિકર ખોરાક લેવો જોઇએ. આવો ખોરાક 10:45
સાત્ત્વિક વ્યક્તિનું લક્ષણ છે. એક વર્ગ જીભથી જ જીવે છે એટલે કે સ્વાદથી જ જીવે છે. ખાટું, ખારું, ઊનું, તીખું, કડવું—આ બધાં રાજસી લક્ષણો છેતામસીઓ તો અપવિત્ર, વાસી, એંઠું ઇત્યાદિ ખાય છે. એમાં કોઇ વિવેક નથી હોતો. ગીતા એટલે વાણી અને વર્તનનું, સંસાર અને સમષ્ટિનું આધ્યાત્મિક વ્યાકરણ.જીવન તો બધા પાસે હોય છે પણજીવનનો અભિગમ બધા પાસે નથી હોતો. ગીતા યજ્ઞ
07:42
પર ભાર મૂકે. જે માણસ કર્તવ્યબુદ્ધિથી પ્રેરાઇને ફળની આશા વિના કામ કરે એની પ્રવૃત્તિ યજ્ઞ માટે છે. આ પ્રવૃત્તિ સાત્ત્વિક માણસો જ કરી શકે. સંસારમાં રજોટાયેલા રાજસી માણસોની નજર જેટલી ફળ પર હોય છે એટ્લી કર્મ પર નથી હોતી. આ બધા પોતા માટે કરે છે અને શ્રધ્ધાવિહીન લોક છે. હું આ જગતમાં જન્મ્યો, કેટલાંયનાં ઋણ સ્વીકાર્યા તો મારે જગતને કશું આપવું જોઇએ. લોકહિત માટે કશું કરવું જોઇએ એવી શ્રધ્ધાયુક્ત ભાવના હોય એની પ્રવૃત્તિ યજ્ઞનું રૂપ લે. આ યજ્ઞની ભાવના શરીરમાં લોહી થઇને વહેતી હોવી જોઇએ. આમ જોવા જઇએ તો મનુષ્યના આદર્શ વર્તનનો અહીં એક નકશો છે. માણસ સત્ય કહે પણ ખૂંચે એવું નહિ.એના વ્યક્તિત્વમાં એક પ્રકારની ઋજુતા હોય, આત્મસંયમ અને ચિત્તની પ્રસન્નતા હોય. ક્યાંય વાણી વેડફે નહિ. મૌનનું પણ તપ હોય છે. દાન આપવાનો પણ એક વિવેક હોય છે. કુપાત્રને દાન ન અપાય. સ્વાર્થથી પ્રેરાઇને દાન ન અપાય. સત્તા કે મોભા માટે કે આપણી સમાજમાં પૂજા થાય એના માટે દાન ન અપાય. જેણે આપણા પર ઉપકાર કર્યો હોય એને દાન આપીને છૂટી જઇએ એ તો એક પ્રકારનો બદલો કહેવાય. દેશ, કાળ, વ્યક્તિ,માણસની પાત્રતા આ બધું ધ્યાનમાં રાખવું જોઇએ. તામસી લોકો તો તુચ્છકાર અને રુઆબથી પાત્ર—અપાત્રનો ભેદ કર્યા વિના દાન કરતા હોય છે. દાન આપનારા પણ દાનવો હોય છે.
દાન શુધ્ધ ભાવનાનો આવિષ્કાર છે. દાનની સાથે ૐ સંકળાયેલો છે. ૐનો એક અર્થ વિનોબાએ ‘હા’ કહ્યો છે. ‘હા’ એટલે માત્ર મારું નહિ, સમગ્ર સૃષ્ટિનું અને ઇશ્વરનું હોવાપણું. ૐ તત્સત્ આ પણ આ પણ ત્રણ શબ્દો. સત્ એટલે સત્ય તો ખરું પણ વિનોબાને સાતત્ય પણ અભિપ્રેત છે. ઇશ્વર જગત સાથે છે છતાં પણ તત્ એટલે કે તે છે. લગોલગ છે અને અલગ છે.એકાકાર છે અને અળગો છે. અહીં ગીતાકારે યજ્ઞ, દાન અને તપ દ્વારા છેવટે તો ૐ તત્સત્ ની
આરાધના કરવાની છે.
કયારેક કોઇને એમ લાગે કે ગીતાકારે સતત પૃથક્કરણ કર્યું છે. એકાંગી દૃષ્ટિથી જોઇએ તો એ પૃથક્કરણ લાગે. સર્વાંગી દૃષ્ટિથી જોઇએ તો અહીં કેવળ પૃથક્કરણ નથી પણ એ પૃથક્કરણને અંતે એક વિશિષ્ટ સંયોજન છે. ગીતામાં તર્ક એટલો બધો સૂક્ષ્મ છે કે જોતાંવેંત જ કાર્યકારણની કડી ન મળે. અહીં મોટી વાત તો એ છે કે માત્ર મનુષ્યના મનની વાત નથી કરી. મનુષ્યનું શરીર, શરીરનો આહાર—વિહાર એ બધાંને પણ લક્ષ્યમાં રાખ્યાં છે. ગીતાકાર તનોજ્ઞ અને મનોજ્ઞ છે. બાયૉલૉજી અને સાઇકોલૉજી અહીં અડખે પડખે છે. ગીતાકાર વૈદ્ય પણ છે અને મનની પેલે પારના વેદ પણ છે.
યજ્ઞ, તપ અને દાન—જે કાંઇ કરો તે એટલું સહજ હોય કે કર્યું છે એવું ન લાગે પણ થતું રહ્યું છે એવું હોય. પ્રત્યેક પળ વિરાટ યજ્ઞમાં આહુતિ રૂપે હોય.